Abtak Media Google News

પ્રેમી સાથે મળી પત્નીએ પતિનું કાસળ કાઢી નાખ્યું, દારૂ ઢીંચી ઝધડા કરતા પુત્રને પિતાએ પતાવી દીધો, માનસિક બિમાર સાસુને પુત્રવધુએ મોતને ઘાટ ઉતાર્યાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા

જામનગરમાંછેલ્લા ૧૫ દિવસમાં એક પછી એક હત્યાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે, હાલારમાં પાંચ હત્યાની ઘટના સામે આવી છે, જેમાં લોકડાઉન દરમ્યાન જામનગર જીલ્લામાં ત્રણ અને એક મર્ડરનો બનાવ દ્વારકા ખાતે નોંધાયો છે, આ હત્યાઓની પાછળ સબંધોનો લોહીયાળ અંત આવ્યો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

એક સપ્તાહના ટુંકાગાળામાં હત્યાની હાલારમાં પાંચ ઘટના સામે આવી છે જેમાં ગૃહકંકાશ-પારિવારીક બાબતો કારણભુત થઇ છે, લાલપુરના ખડબા ગામે પ્રેમી સાથે મળી પત્નીએ પતિનું કાસળ કાઢી નાખ્યુ હતું, હમુસરમાં દસ્તાના ઘા ઝીંકી પત્નીએ પતિનું ઢીમ ઢાળી દીધુ હતું, ધ્રોલના વાગુદડમાં પુત્રનું ગળુ દાબીને પિતાએ હત્યા નિપજાવી હતી, ગઇકાલે જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં શંકાશીલ પતિએ પત્નીની ટુંપો દઇ હત્યા કરી પોતે આપઘાત કરી લીધો હતો. જયારે જામનગરમાં થોડા દિવસ પહેલા શંકાસ્પદ વૃઘ્ધાના મૃત્યુના બનાવમાં પુત્રવધુએ હત્યા કયર્નિું નોંધાયુ હતું, એ પહેલા ધ્રોલમાં હત્યાર કરીને ફેંકી દેવાયેલો આદિવાસી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, આમ હાલારમાં હત્યાનો સિલસીલો ચાલી રહયો છે.

જામનગરના ધ્રોલમાં દારૂ  પીને ઘરમાં ઝઘડા અને મારકુટ કરતા પુત્રનું ગળુ દાબીને પિતાએ હત્યા કર્યાનું સામે આવતા પોલીસ દ્વારા આરોપી પિતાની ધરપકડ કરી કોર્ટ હવાલે કર્યો હતો, ગઇકાલે જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં મકાનમાંથી દંપતીની ભેદી રીતે લાશ મળી આવતા ચકચાર ફેલાઇ હતી, જેમાં પીઆઇ જલુ સહિતના સ્ટાફે તપાસ કરતા ચોંકાવનારી વિગતો ખુલી હતી, બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે  મોકલવામાં આવ્યા હતા. અહીં રહેતા મોહન બેચરભાઇ રાઠોડ (ઉ.વ.૬૦) નામના વૃઘ્ધે શંકાના લીધે ગૃહકંકાસ ચાલતો હોય જેમાં પત્ની રામીબેનની હત્યા કરી એ પછી પોતે ગળે ટુંપો ખાઇ આપઘાત કરી લીધો હતો, ઘટના સ્થળની તપાસ કરતા પોલીસને સ્યુસાઇડનોટ હાથ લાગી હતી જેમાં જણાવવામાં આવ્યુ છે કે માં-દિકરો ઘણા ટાઇમથી ખરાબ ધંધા કરે છે એટલે મેં મરવાનું પગલુ ભરેલ છે, આ પહેલા પણ ફાંસો ખાવાની કોશિષ કરી હતી ત્યારે પણ આ બાબત હતી તે સુધરતા નથી, મને મારી નાખવાની ત્રણેય અવાર નવાર ધમકી દે છે, બાયડીને મારી જરાય જર નથી, મારી દુશ્મન છે, જીવ લેવા આવી છે, એટલે એને પણ હું લેતો જાઉં છું, મને હેરાન કરે અને બીજાની હારે લાજ લુંટાવતી આવે, મારી અંતિમ ઇચ્છા પુરી કરજો એ સહિતની ચોંકાવનારી વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ગઇકાલે હનુમાન ટેકરી વિસ્તારમાં આ ઘટના સામે આવતા ચકચાર ફેલાઇ ગઇ હતી, દરમ્યાનમાં હનુમાન ટેકરી, મેલડી માતાના મંદિર સામે રહેતા હસમુખ મોહન રાઠોડ (ઉ.વ.૨૭) એ તેના પિતા મોહનભાઇ રાઠોડની સામે આઇપીસી કલમ ૩૦૨ મુજબ સીટી-સી માં ફરીયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યુ હતું કે આરોપી તેના પિતા થતા હોય ખુબ આકરા સ્વભાવ તેમજ શંકાસીલ હોય વારંવાર ઘરમાં ફરીયાદી તથા તેના ભાઇ અને માતા સાથે ઝઘડો કરતા હોય, સાંજના પણ ઝઘડો કરતા ફરીયાદી ઘરેથી જતા રહયા હતા.

આગળ જણાવ્યુ છે કે આરોપી તથા ફરીયાદીના માતા રામીબેન ઘરે એકલા હોય તે દરમ્યાન મોહનભાઇએ કોઇપણ કારણસર રામીબેનને ગળે ટુંપો આપી મોત નિપજાવી અને આરોપી પોતે પણ પંખા સાથે દોરી બાધી લટકી ગળા ફાંસો ખાઇ  લેતા મૃત્યુ નિપજયુ હતું. આ ફરીયાદના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જનતા કર્ફયુના બીજા દિવસે જામનગરના કિશાનચોકમાં  સુમરા યુવાનની રીક્ષામાં ટેપ વગાડવાની બોલાચાલીમાં હત્યા થઇ હતી, એ બનાવના બીજા દિવસે ધ્રોલમાં આદીવાસી યુવાનની હત્યાર કરીને ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી, હમુસરમાં પતિની હત્યા કરાઇ હતી, લાલપુરના ખડબામાં અને જામનગરમાં પુત્રવધુએ સાસુનુ દિવાલમાં માથુ ભટકાડીને ઢીમ ઢાળી દીધાનું પાછળથી તપાસમાં ખુલ્યુ હતું. આમ જુદી જુદી હત્યાની ઘટનાઓમાં સબંધો રકતરંજીત બન્યા હોવાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.