Abtak Media Google News

ભારત-ચીન સરહદ વિવાદની અસર સસ્તા ચીની ઉત્પાદનોના વેચાણ પર પણ પડી રહી છે. આ વખતે ભારતમાં ઘણા દુકાનદારો અને રિટેલરો દિવાળીથી સંબંધિત ચાઇનીઝ ઉત્પાદનોનો બહિષ્કાર કરી રહ્યા છે. ચીનને આ બહિષ્કારથી બળતરા થઈ છે. ચીન સરકારની સામ્યવાદી પાર્ટીના મુખપત્ર તરીકે ઓળખાતા ગ્લોબલ ટાઇમ્સે આ વિશે એક લેખ પ્રકાશિત કર્યો છે.

આ લેખનું શીર્ષક છે- શું છાણમાંથી બનેલા દીવડા ભારતમાં દિવાળી વધુ સારી બનાવશે? ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે, ભારત-ચીનનાં સંબંધો આ વર્ષે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે અને તે સરળતાથી સમજી શકાય છે કે આ વખતે ચીની ચીજોનો દર વખતે કરતા વધુ બહિષ્કાર છે. અખબારે દાવો કર્યો છે કે તે ચીની ઉદ્યોગપતિઓ કરતા ભારતીયોને વધુ નુકસાન કરશે. ગરીબ ભારતીયો માટે દિવાળી ઉજવવી મુશ્કેલ બનશે.

આ લેખમાં લખ્યું છે, કેટલાક લોકો ભારતમાં બનેલા માલ માટે વધુ પૈસા આપવા તૈયાર થઈ શકે છે જેથી દેશના ઉત્પાદન ક્ષેત્રને ટેકો મળે. જો કે, ઘણા ગ્રાહકો આ સ્થિતિમાં નહીં હોય અને તેમને ફક્ત ખરાબ લાઇટથી જ ચલાવવું પડશે. અખબારે હાસ્યાસ્પદ રીતે લખ્યું છે કે ચીનના આધુનિક ઉત્પાદનોનો બહિષ્કાર કરવાના ભાવ રૂપે ઘણા ભારતીયોએ જૂના જમાનાના દીવડા સાથે કામ કરવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.