Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ત્રીજી વર્ષ ગાંઠના અવસરે કર્યું સંબોધન: તમામ શાળાઓમાં છાત્રોએ વડાપ્રધાનનું સંબોધન નિહાળ્યું

દિલ્હીના પ્રગતિ મેદાનમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અખિલ ભારતીય શિક્ષણ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે શિક્ષણ જ દેશનું ભાગ્ય બદલવાની શક્તિ ધરાવે છે. દેશ જે ધ્યેય તરફ આગળ વધી રહ્યો છે તેને હાંસલ કરવામાં શિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ત્રીજી વર્ષગાંઠના અવસરે, શિક્ષા સમાગમનું ઉદ્ઘાટન કર્યું. પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968 માં અમલમાં આવી, બીજી 1986 માં આવી, જે 1992 માં સુધારવામાં આવી હતી. પ્રથમ એનઇપી કોંગ્રેસના શાસન દરમિયાન લાગુ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ 29મી જુલાઈથી શરૂ થઈને 30મી જુલાઈ સુધી ચાલશે. આ કાર્યક્રમનું આયોજન ભારતીય મંડપમમાં કરવામાં આવ્યું છે.

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ પીએમ શ્રી યોજના હેઠળ બજેટનો પ્રથમ હપ્તો બહાર પાડ્યો હતો. પીએમ આ પ્રસંગે 12 ભારતીય ભાષાઓમાં અનુવાદિત શિક્ષણ અને કૌશલ્ય અભ્યાસક્રમ પુસ્તકોનું વિમોચન કર્યું. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે વારાણસીમાં પહેલો શિક્ષા સમાગમ યોજાયો હતો..આઝાદી પછી બહુભાષી શિક્ષણની કલ્પના કરવામાં આવી હતી. પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ તેને પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતના જ્ઞાન પ્રવાહને આગળ વધારવા માટે કામ કરશે. તેનાથી ભારતના વિકાસને નવી દિશા મળશે.

આપણે પ્રાચીન શિક્ષણ-આધુનિક ટેકનોલોજી બંનેમાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે શિક્ષણ માટે સંચાર જરૂરી છે. મને આનંદ છે કે આ કાર્યક્રમ દ્વારા અમે અમારી ચર્ચા અને વિચારની પરંપરાને આગળ વધારી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અખિલ ભારતીય શિક્ષણ પરિષદની આ યાત્રામાં એક સંદેશ છુપાયેલો છે. આ પ્રાચીનતા અને આધુનિકતાના સંગમનો સંદેશ છે. આપણે પ્રાચીન શિક્ષણ અને આધુનિક ટેકનોલોજી બંનેમાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ.

દેશભરની સીબીએસઇ શાળાઓમાં હવે અભ્યાસક્રમ સમાન

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એનઇપીમાં પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ અને નવીનતા સુધીની દરેક બાબતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. 3 થી 8 વર્ષના બાળકો માટેનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જે ટૂંક સમયમાં અમલમાં આવશે. દેશભરની સીબીએસઇ શાળાઓમાં હવે અભ્યાસક્રમ સમાન રહેશે. હવે પુસ્તકો 22 ભારતીય ભાષાઓમાં હશે. ગ્રામ્ય વિસ્તારના પ્રતિભાશાળી યુવાનો માતૃભાષામાં અભ્યાસ કરીને લાભ મેળવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.