Abtak Media Google News

બિપરજોય વાવાઝોડા બાદ અસરગ્રસ્ત ગામોમાં રેકોર્ડ સમયમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો

તાજેતરમાં આવેલા બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યના દસથી વધારે જિલ્લાઓનાં ગામડાઓમાં વીજપુરવઠાને અસર થઈ હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના મોનિટરીંગ હેઠળ વીજતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે અસરગ્રસ્ત ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા રાત દિવસ એક કરીને રેકોર્ડ સમયમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે.

ઊર્જા વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ બિપરજોય વાવાઝોડુ 140 કિમી પ્રતિ કલાકની મહત્તમ નોંધાયેલ સ્પીડ સાથે લેન્ડફોલ થવાથી ભારે પવન તથા વરસાદને લીધે સૌરાષ્ટ્ર-કચ્છના પીજીવીસીએલ હેઠળના અસરગ્રસ્ત 8 જિલ્લાના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના અસરગ્રસ્ત 2 જિલ્લાઓ પાટણ તથા બનાસકાંઠાના વિસ્તારોના વીજ માળખાનું ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ક્ષતિગ્રસ્ત થયું હતું. જે અંતર્ગત ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનના વીજ માળખાના વીજ ટાવર, વીજ થાંભલાઓ, વીજ લાઈનો, ટ્રાન્સફોર્મર્સ અને વીજ જોડાણના સર્વિસ કેબલ વગેરેને ક્ષતિ પહોંચવાથી વીજ કંપનીઓને અંદાજે રૂ.1013 કરોડથી વધુનું નુકશાન થયું છે.

બિપરજોય વાવાઝોડાને કારણે ગેટકોના 400 કેવી, 220 કેવી તથા 132 કેવીની ક્ષમતાના 12 સબસ્ટેશનોનો વીજ પુરવઠો ખોરવાયો હતો, જે તમામ સબસ્ટેશનમાં વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવ્યો છે. તેમજ 66 કેવીના 243 સબસ્ટેશનોનો વીજપુરવઠો બંધ થયો હતો, જે પૈકી 240 સબસ્ટેશનોમાં વીજ પુરવઠો પુન: સ્થાપિત કરાયો છે. બાકી રહેતા 3 સબસ્ટેશનમાં (કરછ-2, દ્વારકા-1) અન્ય ફીડરો અને લીંક લાઈનથી હાલ વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવ્યો છે.

જ્યારે પીજીવીસીએલના સહુથી વધુ અસરગ્રસ્ત 8 જિલ્લાના તેમજ યુજીવીસીએલના બે જિલ્લાના 35 ટાઉન અને 4945 ગામોમાં વીજ પુરવઠો બંધ થયો હતો. આ પૈકી તમામ 35 ટાઉનમાં તેમજ 4917 ગામોમાં વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવ્યો છે. જ્યારે બાકી રહેલા 28 ગામોમાં વીજપુરવઠો પાડતી વીજ વિતરણ લાઈનોની આજુબાજુ ખૂબ પાણી ભરાવાના કારણે કામગીરી શરૂ થઈ શકી નથી, પરંતુ પાણી ઓસરતા વીજળીનો સપ્લાય પૂર્વવત કરાશે. ગેટકો અને તમામ ડિસ્કોમની 6000થી વધુ માણસો સાથેની કુલ 1089 ટીમો દ્વારા આ જિલ્લાઓમાં પુન:સ્થાપન કાર્ય માટે તમામ સંસાધનો સાથે દિવસ-રાત કામગીરી કરવામાં આવી હતી.

હોસ્પિટલો, વોટર વર્કસ, સરકારી કચેરીઓ અને કોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સરહદી વિસ્તારોમાં આર્મીના અગત્યના મથકો પરનો વીજ પુરવઠો પૂર્વવત કરવા રાજ્ય સરકાર દ્વારા ટોચની પ્રાથમિકતા આપવામાં આવી હતી. દરેક સ્થાનો પર સક્ષમ માર્ગદર્શન, દેખરેખ હેઠળ અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન કરી લાઇન પુન:સ્થાપનનું કાર્ય આયોજન બદ્ધ રીતે ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યુ છે. ઉપરાંત પીજીવીસીએલ ના 8 જિલ્લાઓમાં કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લા સિવાયના જિલ્લાઓના 90 ટકા અસરગ્રસ્ત ખેતીવાડી ગ્રાહકોનો વીજ પુરવઠો પુન:સ્થાપિત કરાયો છે. બાકીના બધા જિલ્લાઓના ખેતીવાડી ગ્રાહકોનો વીજ પુરવઠો તા. 30 જૂન, 2023 સુધીમાં ચાલુ કરાશે તેમજ પાણી ઓસરી ગયા હોય તેવા ગામોમાં વહેલી તકે વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.