Abtak Media Google News

રાજયમાં છેલ્લા ઘણા સમયથી હૃદય રોગના હુમલાથી મોત થવાના કિસ્સામાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે આજે રોજ કેશોદમાં વધુ એક ઘટના સામે આવી છે જેમાં પ્રૌઢ ને હ્રદય રોગનો હૂમલો આવતાં તેમનું મોત નીપજ્યું હતું. વડીલનો આશરો પરિવારમાંથી જવાથી પરીજનોમાં આક્રંદ છવાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના કેશોદ બાયપાસ પાસેની છે જ્યાં વોકિંગમાં નીકળેલાં નિમ્બાર્ક સુધિરકુમાર જયસુખલાલ ( ઉ.વ. 56 )ને હ્રદય રોગનો હૂમલો આવતાં મોત નીપજ્યું હતું. પ્રૌઢ રસ્તામાં બેભાન અવસ્થામાં પડી જતા રાહદારીઓએ 108ની ટીમને જાણ કરી હતી અને તેમને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુધિરકુમારને સરકારી હોસ્પિટલ ખાતે લવાતાં ડોકટરે મોત થયાનું જાહેર કર્યું હતું

મરણ જનાર સુધિરકુમારને કેશોદના ફુવારા ચોકમાં પાનનો ગલ્લો ચલાવતાં હતા. તેઓ દરરોજના ઘટનાક્રમ મુજબ પ્રૌઢ સાયકલ લઈ વોકિંગમાં જતાં ત્યારે અચાનક હુમલો આવ્યો અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને બાજુમાં સાયકલ મળી આવી હતી ત્યારે પ્રૌઢને ગંભીર ઇજા ન હોય છતાં અકસ્માત તો નથી ને ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.