Abtak Media Google News

રાજકોટના પટેલ પરિવારને સોયલ ખાતે માતાજીના દર્શન કરવા જતી વેળાએ નડ્યો અકસ્માત: પરિવારમાં શોક

રાજકોટ-જામનગર ધોરી માર્ગ પર આવેલા જાયવા ગામ નજીક કાર પલટી જતાં પિતા, પુત્રી અને ભાભીનું મોત નિપજયું જ્યારે મહિલા સહિત ૨ વ્યક્તિ ગંભીર રીતે ઘવાયા છે. રાજકોટનો પટેલ પરિવાર સોયલ ખાતે માતાજીના દર્શન કરવા જતી વેળાએ ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. આ બનાવની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વિગત મુજબ મુળ ધોરાજીના પીપલા ગામના વતની અને હાલ શહેરના અક્ષરધામ સોસાયટીમાં રહેતા કમલેશભાઈ બાબુભાઈ દલસાણીયા નામનો પટેલ પરિવાર ધ્રોલ નજીક સોયલ ગામ પાસે માતાજીના દર્શને જીજે૦૩કેસી-૭૬૬૬ નંબરની કારમાં જઈ રહ્યાં હતા ત્યારે જાયવા ગામ પાસે પહોંચ્યા ત્યારે ચાલક હિતેશભાઈ દલસાણીયાએ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી જતાં સર્જાયેલા અકસ્માતમાં કમલેશભાઈ બાબુભાઈ દલસાણીયા અને તેના પુત્રી પરીબેન (ઉ.૧૫) અને ભાભી ચેતનાબેન (ઉ.૪૨) સહિત ત્રણેયના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. જ્યારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ચાલક હિતેષભાઈ દલસાણીયા અને માધવીબેન કમલેશભાઈ સહિત બંને ઘવાતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની જાણ ધ્રોલ પોલીસ મથકના પીએસઆઈ સી.એમ.કાંટેલીયા સહિતના સ્ટાફને થતાં ઘટના સ્થળે દોડી જઈ કારના ચાલક સામે ગુનો નોંધી અને મૃતકોનું પીએમ કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવથી પટેલ પરિવારના ત્રણ સભ્યોના મોતથી શોકનું મોજુ ફેલાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.