Abtak Media Google News

શહેરના જરૂરીયાતમંદ નાગરીકોના આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજીક વિકાસ ક્ષેત્રે છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ રોટરી કલબ ઓફ રાજકોટ મીડ ટાઉન તથા અમદાવાદ સ્થિત ગુજરાતની નામાંકિત આસ્થા ઓન્કોલોજી એશોશિએટસ હેલ્થકેર ગ્લોબલ (એચસીજી)નાં સંયુકત ઉપક્રમે છેલ્લા એક દસકાથી સમગ્ર વિશ્ર્વને ભરડામાં લઈ લેનાર રોગ કેન્સરને નાથવા દર મહિનાનાં બીજા તથા ચોથા શનિવારના તા.૨૩ના રોજ ટ્રસ્ટના ભવન ખાતે કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ હાથ ધરાયો છે. પુજીત રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે આ નિદાનની સેવાનો રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છના પેશન્ટ પણ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લાભ લઈ શકશે. પરિણામે તેમનો અમદાવાદ જવા આવવાનો ખર્ચ તથા સમય બચી જશે.

જે અંતર્ગત પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ કિલ્લોલ ૧ મયુરનગર, રાજકોટ મહાનગરપાલીકા પૂર્વઝોન કચેરી સામે, ભાવનગર રોડ, ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન સવારે ૯ થી ૧૧ વાગ્યા સુધી અપાશે અને રજીસ્ટ્રેશન રૂબરૂ અથવા ફોનથી પણ કરાવી શકાશે. આ કેમ્પમાં ગુજરાતના સુપ્રતિષ્ઠિત તબીબી ડો. દુષ્યંતભાઈ માંડલીક જે અંતર્ગત મો, ગળુ, જડબુ સહિત તમામ પ્રકારના કેન્સરનું નિદાન કરી અપાશે. જેનો વિનામૂલ્યે લાભ લેવા ટ્રસ્ટના ચેરમેન તથા ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ અનુરોધ કર્યો છે.

આ માટે લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ, લાંબો સમય અવાજ બેસી જવો, ખોરાક-પાણી ગળવામાં પડતી તકલીફ, ગળામાં સતત દુખાવો ચાલુ રહેવો, મો ખોલવામાં કે જીભને હલાવવામાં તકલીફ થવી, શરીરમાં કોઈપણ જગ્યાએ ગાંઠ હોવી, લાંબા સમયથી ખાંસી હોવી, ગળફામાં લોહી નીકળવું, ઝાડા પેશાબની હાજતમાં અસામાન્ય ફેરફાર, મળ-મૂત્ર વાટે લોહી નીકળવું, સમજી ન શકાય તેવો તાવ અને વજન ઘટવું, સફેદ પાણી, મોનોપોઝ પછી બ્લીડીંગ ગાયનેક કેર માટે ગર્ભાશયમાં ગાંઠ, ઓવેરીયન કેન્સર (અંડાશયની કેન્સર) ગર્ભાશયના મુખ પર ચાંદી વગેરેનું નિદાન કરાવવા જણાવાયું છે.

આરોગ્ય ક્ષેત્રે જરૂરીયાતમંદ પ્રજાજનોની સેવાઓ માટે પુજીત રૂપાણી ટ્રસ્ટના મુખ્ય બિલ્ડીંગમાં ઓપીડી સેન્ટર પણ કાર્યરત છે. જેમાં માત્ર પાંચ રૂપીયામાં નિદાન તથા સારવારનોલાભ મેળવી શકાય છે. તથા શહેરના નિષ્ણાંત તબીબોની સેવાઓ પણ મેળવી શકાય છે. દર બુધવારે વિનામૂલ્યે નિદાન તથા સારવાર મેળવી શકાય છે. આ ઉપરાંત ટ્રસ્ટમાં રાહતદરે લેબોરેટરી, એકસ રે તથા ફીઝીયોથેરાપીની સુવિધાઓ ઉપલબ્ધ છે. ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટીઓ પ્રવિણભાઈ રૂપાણી, અંજલિબેન રૂપાણી, રંજનબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, મેહુલભાઈ રૂપાણી, રાજેશભાઈ રૂપાણી તથા અમિનેશભાઈ રૂપાણી સહિતના ઓના માર્ગદર્શન હેઠળ ચાલતા આ પ્રોજેકટમાં સેવાઓ આપવા માટે ટ્રસ્ટની મેડીકલ કમિટીના મેમ્બર્સ અંજલીબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડો.નયનભાઈ શાહ, ડો.વિભાકરભાઈ વચ્છરાજાની દિવ્યેશભાઈ પટેલ તથા બીપીનભાઈ વસા કાર્યરત છે.

વિશેષ વિગત માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન નં. ૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.