Abtak Media Google News

આગામી દિવસોમાં ખેડુતોના પ્રશ્ર્નોનો ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ

સમગ્ર ઝાલાવાડ પંથકમાં વરસાદ ઓછો થતાં ખેડુતોમાં નારાજગી જોવા મળી હતી. ઝાલાવાડમાં વરસાદને કારણે અનેક ખેડુતોએ આપઘાત કર્યા છે. તેમજ ખેડુતોએ પાકવિમા જેવા અનેક પ્રશ્ર્ને સરકારને રજુઆતો પણ કરી છે પણ હજુ આ રજુઆત ધ્યાને લેતા ખેડુતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે ત્યારે ઝાલાવાડમાં દર વર્ષ બેન્કો ખેડુતો પાસે ફરજીયાત પાકવિમો કાપી લે છે પરંતુ વરસાદ ન થવા છતાં ખેડુતોને પાક વિમો મળતો નથી.આ ઉપરાંત અછતગ્રસ્ત જાહેર થવા છતાં બેન્કોએ અનેક ખેડુતોને પાકવિમામાં મશ્કરી કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પાકવિમાનો પ્રશ્ર્ન ન ઉકેલાતા ખેડુતો રોષે ભરાયા છે. સાયલાના મેળાના મેદાનમાં ખેડુતોની બેઠક મળી હતી. આ બેઠકમાં તાલુકાભરમાંથી ઉમટેલા ખેડુતોએ છેલ્લા બે વર્ષથી વરસાદની ખેંચ, પાક નિષ્ફળ જવો, કુવા, બોરના પાણી તળ ઉંડા જવાથી શિયાળુ પાક ન લઈ શકાય તેવી સ્થિતિ, ખેડુતોને વિમાનું વળતર, સાયલા તાલુકાને અતિ અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા છતાં ખેડુતોને કોઈ લાભ મળતો ન હોવાથી ખેડુતો મંડળીના ધિરાણ, બેંક ધિરાણ પણ ભરી શકે તેવી સ્થિતિમાં નથી. પાક વિમા, જમીન માપણી અને સરકારની નીતીરીતી સહિત ખેડુતોને લગતા પ્રશ્ર્ને ચર્ચા કરાઈ હતી.

ત્યારબાદ ખેડુત આગેવાન રૈયાભાઈ રાઠોડ, હરજીભાઈ પટેલ, પિન્ટુભાઈ જાડેજા, ડોડીયા રતનસિંહ, પાલભાઈ આંબલીયા, ત્રિકમભાઈ પટેલ, કરશનભાઈ ભગત સહિતના આગેવાનોએ રેલી યોજી સાયલા મામલતદાર જી. એમ. મહાવદીયાને આવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ખેડુતોના પ્રશ્ર્નોના સરકાર ઉકેલ નહીં લાવે તો તાલુકાના ખેડુતોએ નાછુટકે આંદોલન કરવાની ચીમકી પણ રજુઆતના અંતે ઉચ્ચારી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.