Abtak Media Google News

મોબાઈલ લેબ ટેકનોલોજીથી મહારાષ્ટ્રમાં ટેસ્ટટયુબ વાછરડાનો જન્મ: સ્વદેશી ગાયોને બચાવવાની આશા જાગી

ગુજરાતની ગીર ગાય પ્રજાતિને બચાવવાની દિશામાં મોટી સફળતા મહારાષ્ટ્રમાં મળી છે. દેશમાં પહેલી વખત મોબાઈલ લેબ ટેક્નોલોજીથી ટેસ્ટટ્યૂબ વાછરડાનો જન્મ થયો છે. આ સફળતાથી સ્વદેશી પ્રજાતિની ગાયોને બચાવી શકાશે તેવી આશા જાગી છે. સામાન્ય રીતે માણસોમાં ઇન્ફર્ટિલિટીની સમસ્યા હોય ત્યારે આઈવીએફનો (ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન) સહારો લેવામાં આવે છે. હવે ગાયોની દેશી જાતોના સંવર્ધન માટે પણ ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. પુણે નજીક ઈંદાપુરમાં વ્યવસાયે ગોપાલક માજિદ ખાન રહે છે. તેમની ગીર ગાય રતનનાં અપરિપક્વ અંડકોશ ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવ્યો. ત્યારબાદ ચોક્કસ તાપમાને ગીર સાંઢના વીર્યથી તેનું ફલન કરાવવામાં આવ્યું.

ગીર ગાય તેના જીવનકાળમાં ૨૦૦ વાછરડાંને જન્મ આપી શકશે

નિષ્ણાંત કહે છે, સ્થાનિક પ્રજાતિની ગાયો દૈનિક દસ લિટર દૂધ આપે છે. જ્યારે ગીર ગાયો રોજનું ૨૦ લિટર દૂધ આપે છે.તેઓ કહે છે, દેશી પ્રજાતિની ગાયોને બચાવવી હોય તો આઈવીએફ સિવાય કોઈ વિકલ્પ નથી. ગીર ગાય તેના જીવનમાં ૧૦-૧૨ વાછરડાંને જન્મ આપી શકે છે. જ્યારે આઈવીએફ તથા સરોગસી દ્વારા જીવનકાળમાં ૨૦૦ જેટલા વાછરડાં પેદા થઈ શકે છે. વારંવાર નિષ્ફળતા બાદ સફળતા મળી હોવાથી તથા ડો. વિજયપત સિંઘાનિયાના ટ્રસ્ટે સહાય કરી હોવાથી માજિદ ખાને વાછરડાનું નામ “વિજય રાખ્યું છે.જે.કે. ટ્રસ્ટના સીઈઓ ડો. શ્યામ ઝંવરના કહે છે, ચાલુ વર્ષે આઈવીએફ દ્વારા બે હજાર વાછરડાં પેદા કરવાનું લક્ષ્યાંક છે. આ પદ્ધતિથી પુંગનુર અને “થારપારકર ગાયોને બચાવવા પ્રયાસરત છીએ.

આ વર્ષે બે હજાર ગર્ભાધાનનું લક્ષ્ય

પશુ ચિકિત્સક અને વૈજ્ઞાનિક ડો. શ્યામ ઝંવર જે.કે. ટ્રસ્ટના સીઈઓ અને ડો. વિજયપત સિંઘાનિયા તેના અધ્યક્ષ છે. ૧૯૭૪માં પશુ ચિકિત્સા શાસ્ત્રમાં ગ્રેજ્યુએટ ડો. શ્યામે ઘેટાં-બકરાં અને ગૌવંશમાં ભ્રૂણ પ્રત્યારોપણ પર મહાશોધ નિબંધ લખ્યો. આ વિષય પર તેમણે દેશમાં પહેલી વખત પીએચડીની ડિગ્રી હાંસલ કરી છે. ડો. ઝંવર જણાવે છે કે આ વર્ષે આઈવીએફ દ્વારા આશરે બે હજાર ગર્ભાધાનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.તેમના કહેવા પ્રમાણે, ચાર આઈવીએફ મોબાઈલ લેબ છે. દરેકની કિંમત આશરે એક કરોડ રૂપિયા છે.

પૂંગનૂર જાતિની ગાયોના સંવર્ધનનો પ્રયાસ

ડો. ઝંવરે જણાવ્યું કે અમે તિરુપતી પાસે ૩૩ ઇંચ ઊંચાઈ ધરાવનારી ગાયની જાતિ “પૂંગનૂરની આઈવીએફ મોબાઈલ લેબ ટેક્નોલોજી દ્વારા વધારવા માટે કાર્યરત છીએ. પૂંગનૂર ગાયો દુનિયામાં ગાયની સૌથી નાની પ્રજાતિઓમાંથી એક હોવાનું માનવામાં આવે છે.આ પ્રજાતિની ૨ હજાર જેટલી જ ગાયો બચી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુને અમે પ્રેઝન્ટેશન આપ્યું. ત્યારબાદ આંધ્ર યુનિવર્સિટીએ અમને આ કામ સોંપ્યું. ભારત સરકારે રાષ્ટ્રીય ગોકુલ મિશન દ્વારા દેશી ગાયોની ગીર, થારપારકર જેવી પ્રજાતિ પર મોટાપાયે કાર્ય શરૂ કર્યું છે.હવે મહારાષ્ટ્ર સરકાર પણ તેમાં રસ લઈ રહી છે.પૂણે પાસે “થારપારકર પ્રજાતિની ગાયોની સંખ્યા વધારવાના અણ્ણા ભરેકર કાર્યરત છે. તેમણે પણ જે.કે. ટ્રસ્ટના ડો. ઝંવરની મોબાઈલ લેબ ટેક્નોલોજીનો સહારો લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.