Abtak Media Google News

રાજ્યમાં વેપાર-ઉદ્યોગની વ્યાપક તકો ઉભી કરવા ઝડપથી પગલાં લેવાઈ રહ્યા છે. વેપાર-ઉદ્યોગોને સમૃદ્ધિ આપવા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ કનેક્ટિવિ આપવી ખુબ જરૂરી હોય છે તેવા સંજોગોમાં રાજ્ય સરકારે એરપોર્ટ ઓથોરિટી સાથે એમઓયુ કરી સૌરાષ્ટ્રના મોરબી, દ્વારકા, બોટાદ, રાજુલા સહીત રાજ્યના 11 સ્થળો પર ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવા કમર કસી છે.

પ્રવાસન, કનેક્ટિવિટી અને વેપાર-ઉદ્યોગની વ્યાપક તકો ઊભી કરવા રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચે એમઓયુ સંપન્ન

ગુજરાતમાં વિમાની મથકો-એરપોર્ટના વિકાસ માટે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે ગાંધીનગરમાં એમઓયુ સંપન્ન થયા છે. રાજ્યમાં એવિએશન સેક્ટરના વિકાસ સાથે એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ દ્વારા પ્રવાસન, રિજિયોનલ કનેક્ટિવિટી, વેપાર-ઉદ્યોગની વ્યાપક તકો ઊભી કરવાની રાજ્ય સરકારની નેમ સાકાર થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે એવિએશન સેક્ટરના વિકાસ અને એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થકી ટુરિઝમ, રિજિયોનલ કનેક્ટિવિટી, ટ્રેડ એન્ડ કોમર્સ તથા જોબ ક્રિએશનને વેગ આપવા એક નક્કર પગલું ભર્યું છે.

આ હેતુસર રાજ્ય સરકારના સિવિલ એવિએશન ડિપાર્ટમેન્‍ટ અને એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં એમઓયુ કરવામાં આવ્યા હતા. આ એમઓયુ અનુસાર ગુજરાત સરકાર એરપોર્ટ ડેવલપમેન્ટ માટે જરૂરિયાત મુજબની જમીન, વીજળી, પાણી, ફાયર સિક્યોરિટી જેવી યૂટિલિટી સેવાઓ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને પૂરી પાડશે.

એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા રાજ્યનાં ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ એરપોર્ટ ડેવલપમેન્‍ટની કામગીરી તથા વિસ્તરણની કામગીરી કરશે અને તે માટે થતો ખર્ચ પણ ભોગવશે. એટલું જ નહીં, એરપોર્ટના ઓપરેશન્સ અને મેન્ટેનન્સની કામગીરી, માસ્ટર પ્લાનિંગ, ડિઝાઇનિંગ પણ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરશે. આ કામગીરી તથા એમઓયુની અન્ય બાબતોના સંચાલન માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેનના વડપણમાં ૧૦ સભ્યોની રાજ્યસ્તરીય સંકલન સમિતિની રચના કરવામાં આવશે.

આ મહત્વપૂર્ણ એમઓયુ વેળાએ મુખ્ય સચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર તેમજ પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન સચિવ હારિત શુકલા અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે 10 સભ્યોની સમિતિ બનાવાશે

આ કમિટીમાં ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન સચિવ, મહેસુલ સચિવ, સિવિલ એવિએશન ડાયરેક્ટર તથા ગુજસેઇલના સી.ઇ.ઓ સહિત એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુત તથા ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ એમઓયુ પર ગુજરાત સરકાર વતી ગુજસેઇલના સી.ઈ.ઓ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વતી એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે હસ્તાક્ષર કર્યા હતા.

ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવા 11 સ્થળોની ઓળખ કરી લેવાઈ

રાજ્યમાં જે ૧૧ જેટલા સ્થળોની સૂચિત ગ્રીનફિલ્ડ એરપોર્ટની વિકાસ કરવા માટે ઓળખ કરવામાં આવી છે તેમાં અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, દ્વારકા, ધોરડો, રાજુલા, દાહોદ, અંબાજી, ધોળાવીરા તથા પાલીતાણાનો સમાવેશ થાય છે. આ સ્થળોએ ટેકનિકલ ફિઝિબિલિટી અને જમીનની ઉપલબ્ધિની સંભાવનાઓ ચકાસીને તેના આધારે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એરપોર્ટ ડેવલપ કરવા માટે જરૂરીયાત મુજબ આગળ વધશે.

ભાવનગર, કંડલા, પોરબંદર, કેશોદ, અમરેલી, માંડવી એરસ્ટ્રીપનું વિસ્તરણ કરાશે

હાલ જે હયાત એરપોર્ટમાં વિસ્તરણની જરૂરીયાત છે તેમાં ભાવનગર, કંડલા, પોરબંદર, સુરત, વડોદરા અને કેશોદના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એરપોર્ટ સમાવિષ્ટ છે. મહેસાણા, અમરેલી અને માંડવીની રાજ્ય સરકારની એર સ્ટ્રીપના વિસ્તરણની પણ જરૂરીયાત સુનિશ્ચિત કરવામાં આવી છે. એટલું જ નહીં, વડનગર, સિદ્ધપુર અને કેવડિયા ખાતે ટેક્નો-ઇકોનોમિક ફિઝિબિલિટી તથા જમીનની ઉપલબ્ધતાના આધારે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવાની સંભાવનાઓ પણ ચકાસશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.