Abtak Media Google News

સીધા કરવેરાની આવકની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં પાંચમા ક્રમે છે. વર્ષ 2018-19માં દેશમાં સીધા કરવેરા પેટેની આવક રૂ.11,37,685.41 કરોડ હતી, જેમાંથી ગુજરાતમાંથી રૂ. 49,021.69 કરોડની આવક થઈ હતી.

સીધા કરવેરાની આવકની દ્રષ્ટિએ ગુજરાત કરતાં આગળનું સ્થાન ધરાવતાં રાજ્યોમાં મહારાષ્ટ્ર (રૂ. 4,25,390.84 કરોડ), દિલ્હી (રૂ. 1,66,405.42 કરોડ), કર્ણાટક (રૂ. 1,19,796.51 કરોડ) અને તામિલનાડુ (રૂ. 74,238.94 કરોડ)નો સમાવેશ થાય છે. કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે આ માહિતી જુલાઈ 9, 2019ના રોજ રાજ્યસભામાં સાંસદ શ્રી પરિમલ નથવાણીએપૂછેલા પ્રશ્નના ઉત્તરમાં રજૂ કરી હતી.

સદનમાં રજૂ કરવામાં આવેલા નિવેદન અનુસાર, જુલાઈ 28, 2019ની સ્થિતિએ કુલ 46,10,20,587 પૅન ધારકો છે, જેમાંથી 6,31,84,403 પૅન ધારકોએ આકરણી વર્ષ 2018-19માં આવકવેરા રીટર્ન ભર્યું હતું. ગુજરાતમાં કુલ 2,55,70,715 પૅન ધારકો છે, જેમાંથી 62,27,487 પૅન ધારકોએ આકરણી વર્ષ 2018-19માં આવરવેરા રીટર્ન ભર્યું હતું.

મંત્રીએ આપેલા જવાબ અનુસાર, સરકારે આવકવેરા કરદાતાઓનો બેઝ વધારવા માટે અનેક પગલાંઓ લીધા છે, જેમાં આવકવેરા વિભાગ દ્વારા નોન-ફાઇલર મોનિટરીંગ સિસ્ટમ (એન.એમ.એસ.)નો અમલ કરવામાં આવ્યો છે, જે આંતરિક માહિતી અને ત્રાહિત પક્ષો પાસેથી મેળવવામાં વ્યવહારોની માહિતીનુંપૃથક્કરણ કરે છે અને એવી વ્યક્તિઓ/પેઢીઓને ઓળખી કાઢે છે જેમણે ઊંચા મૂલ્યના નાણાંકીય વ્યવહારો કર્યા છે પરંતુ આવકવેરા રીટર્ન ભર્યું નથી.

નથવાણી દેશમાં આકરણી વર્ષ 2018-19માં મેળવવામાં આવેલી આવકવેરાની રકમ, દેશમાં નોંધાયેલા પૅન ધારકોની સંખ્યા અને સરકાર દ્વારા આવકવેરા કરદાતાઓનો બેઝ વધારવા માટે લેવામાં આવેલા પગલાંઓ અંગે જાણવા માંગતા હતા.

નાણાંકીય વિગતોના એકત્રીકરણ અને ચકાસણીની વ્યવસ્થાને વિસ્તૃત બનાવીને સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ ટ્રાન્સેક્શન (એસ.ટી.એફ.)ના રૂપમાં બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ તથા વ્યાવસાયિક પ્રતિષ્ઠાનોમાંથી ઊંચા મૂલ્યના ખર્ચાઓની માહિતી મેળવવની પ્રક્રિયાને આવરી લેવામાં આવે છે, એમ મંત્રીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટી.ડી.એસ. અને ટી.સી.એસ.નો વ્યાપ વધારીને વધારે કરપાત્ર વ્યવહારોને તેમની મર્યાદામાં લાવવામાં આવ્યા છે અને મિલકતો, શેર, બોન્ડ, વિમો, વિદેશ યાત્રા અને ડિમેટ એકાઉન્ટ વગેરે જેવા નિશ્ચિત વ્યવહારો માટે પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (પૅન) જણાવવાનું ફરજિયાત કરવામાંઆવ્યું છે.

નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, કર વહિવટમાં કર પાલન અને માહિતીના અસરકારક ઉપયોગ માટે દરમ્યાનગીરી વિનાની માહિતી સાથેના અભિગમને મજબૂત બનાવા આવકવેરા વિભાગે પ્રોજેક્ટ ઇનસાઇટનો પ્રારંભ કર્યો છે. આ સંકલિત પ્લેટફોર્મ કર-બેઝને વિસ્તૃત બનાવવામાં અને કરચોરોનેપકડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.