Abtak Media Google News

જામનગરમાં જાજરમાન રોડ-શોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ઉમળકાભેર આવકારતા શહેરીજનો: 1448 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહુર્ત

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જામનગરને રૂ. 1448 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપતા  જણાવ્યું કે,નરેન્દ્ર-ભૂપેન્દ્રની ડબલ એન્જીન સરકારે ગુજરાતમાં માળખાગત વિકાસ સાથે ખેડૂતોના ક્લ્યાણ માટે અવિરત ગતિએ વિકાસના કામો કર્યા છે. મા નર્મદા આજે સ્વયં પરિક્રમા કરી આશિર્વાદ આપી રહી છે તેને સૌની યોજના થકી સૌરાષ્ટ્રની બદલાયેલી તસ્વીરની ફળશ્રુતિ કહી હતી.

ખેડૂતોને આજે તેની ઉપજના પુરા ભાવ મળી રહ્યા છે તેમ પણ સહર્ષ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રોડ-શો દરમ્યાન મળેલા બહેનો-માતાઓના આશીર્વાદનો ઋણસ્વીકાર કર્યો હતો અને “છોટી કાશી” એવા જામનગર ખાતે મળેલા સત્કાર થકી ભરૂચથી જામનગર સુધીના વિસ્તારને સમૃધ્ધ બનાવવાની નેમ વ્યકત કરી હતી.

Img 20221010 Wa0533

શુભારંભ કરાયેલા જામનગરના આઠ પ્રકલ્પોની માહિતી વડાપ્રધાન  મોદીએ તેમના વક્તવ્યમાં વણી લીધી હતી. તાજેતરમાં જ ભુજીયા ડુંગર ખાતે નિર્માણ પામેલ સ્મૃતિવનની મુલાકાત લેવા વડાપ્રધાન મોદીએ જામનગરવાસીઓને હિમાયત કરી હતી. જયાં વિનાશકારી ભૂકંપમાં શહીદ થયેલા જામનગરવાસીઓનો ઉલ્લેખ કરાયો છે. અન્ય વૈશ્વિક સ્મારકોની સમકક્ષ બનાવાયેલું આ સ્મૃતિવન ગુજરાતની ખમીરવંતી જનતાની ગૌરવપૂર્ણ ખુમારીનું પ્રતિક છે

બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન જામનગરના રાજવી  જામ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના નાગરિકોને આશ્રય આપ્યાનો સગર્વ ઉલ્લેખ કરતાં વડાપ્રધાન  મોદીએ યુક્રેનના યુધ્ધમાં ભારતીય નાગરિકોને પોલેન્ડની ધરતી પરથી સુરક્ષિત પરત ભારત મોકલવાની શુભ ભાવના બદલ પોલેન્ડ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી અને જામનગરના હાલના રાજવી   શત્રુશલ્યજી મહારાજના દીર્ઘાયુ માટે શુભેચ્છા વ્યકત કરી હતી.

Img 20221010 Wa0531

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રદ કરેલા 2000થી વધુ કાયદાઓ અંગે જણાવ્યું હતું કે “ઈઝ ઓફ ડુઈન્ગ બિઝનેસ”ની નીતિ ને વરેલી રાજ્ય સરકાર  વેપારી આલમને મદદરૂપ થવા આ પગલું ભર્યું છે જેનાથી ગુજરાતની ખમીરવંતી પ્રજાને મોટો ફાયદો થશે. હાલના સમયને અનુરૂપ ન હોય તેવા આવા અન્ય કાયદાઓ પ્રત્યે સરકારનું ધ્યાન દોરવા વડાપ્રધાનએ ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.

દેશને 250 વર્ષ સુધી ગુલામ રાખનાર બ્રિટનને વૈશ્વિક અર્થતંત્રમાં છઠ્ઠા સ્થાનેથી પરાજિત કરી ભારતને પાંચમા સ્થાને પહોંચાડવાનું શ્રેય વડાપ્રધાનશ્રીએ સ્થિર અને મક્કમ ગતિથી આગળ વધતા ભારતીય અર્થતંત્ર તથા દેશના શ્રમિકો-વેપારીઓ-ખેડૂતોને આપ્યુ હતુ. તાજેતરમાં જ ગુજરાત રાજયએ અમલી બનાવેલી નવી ઔદ્યોગિક નીતિ થકી રાજ્યમાં નવા સ્ટાર્ટઅપ અને એમ.એસ.એમ.ઈ. સેક્ટરને ફાયદો થશે એવો આશાવાદ પણ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈએ આ પ્રસંગે ઉચ્ચાર્યો હતો. જૈવ વિવિધતાથી સભર જામનગરના દરિયાઈ વિસ્તારના સંરક્ષણ અને ઇકો ટુરીઝમના વિકાસ માટે મુખ્યમંત્રી એ આદરેલા પ્રયત્નોની વડાપ્રધાનશ્રી મોદીએ ભરપૂર સરાહના કરી હતી તથા આ સંદર્ભમાં દરિયાઈ પટ્ટી પર ઉભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામોની સફાઈ બદલ મુખ્યમંત્રી ના પ્રયત્નોને બિરદાવ્યા હતા. ભાઈચારાથી ખભે ખભો મિલાવી દેશના વયસ્ક નાગરિકો માટે વિઘ્નનરહિત માર્ગનું નિર્માણ કરવા વડાપ્રધાન એ યુવાનોને આહવાન કર્યું હતું.

Img 20221010 Wa0530

વડાપ્રધાન  મોદીએ  પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના થકી કોરોનાકાળથી 80 કરોડ લોકોને મફત રાશન મળી  રહ્યાનું  જણાવી ગરીબના ઘરમાં ચુલો સળગતો રહેવો જોઇએ તેવી નેમ વ્યકત કરી  વન નેશન વન રાશન કાર્ડ ની ફળશ્રુતી જણાવી હતી.

સૌરાષ્ટ્રમાં 25 વર્ષ અગાઉ પાણી માટે વલખા મારવા પડતા અને આજે મા નર્મદા સ્વયં ગુજરાત-સૌરાષ્ટ્રની પરીક્રમા કરી ખેડૂતોને જન-જનને સમૃધ્ધિના માર્ગે લઇ જવા આશીર્વાદ આપી રહી છે તેમ જણાવી વડાપ્રધાને  સૌની યોજના ડબલ એન્જીનની સરકારે સાકાર કરી છે તેમ જણાવ્યું હતું.

વડાપ્રધાન  મોદીએ જામનગરની જાહોજલાલીને નવી ઉંચાઇ સુધી લઇ જવી છે તેમ જણાવી 36 હજાર કરોડના ખર્ચે નિર્માણ પામનાર કોરીડોરથી જામનગરના વેપાર-ધંધા ઉત્તર ભારત સાથે જોડાશે અને જામનગરની વૈશ્વિક ઓળખ વધુ મજબુત બનશે તેમ પણ કહ્યું હતું.

દેશની ઓઇલ રીફાઇનરીમાં જામનગરનો 35 ટકા હિસ્સો છે તે સગૌરવ જણાવી જામનગરને સૌભાગ્યનગરી ગણાવી વડાપ્રધાને જામનગરના હસ્તકલા, બ્રાસ, બાંધણી, કંકુ, ચુડી સહિત નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહક સહાય આપી ગુજરાત સરકારે ગુજરાતને વધુ તેજ દિશામાં આગળ વધવા વિકાસલક્ષી ઉદ્યોગનીતિ અમલમાં મુકી છે

ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસની નવી મિસાલ કાયમ કરી છે તેમ જણાવી જામનગર – રાજકોટનો એન્જીનીયરીંગ સ્પેર પાર્ટસના ઉદ્યોગો પીનથી માંડીને એરક્રાફટના સ્પેર પાર્ટસ બનાવે છે અને હવે ઇકો-ટુરીઝમથી ઉદ્યોગ સાહસીકોને નવી તકો મળશે.

જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીન સાથે આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય સ્થાન મળી રહ્યું છે તેમ જણાવી જામનગરની ઉદ્યમશીલતા ભારતના ખૂણે-ખૂણે સ્થાપિત થશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના  સંકલ્પથી સિધ્ધિ ના વિકાસ પ્રકલ્પો વર્ણાવતા સગૌરવ જણાવ્યું કે, એક સમયે સૌરાષ્ટ્રમાં પીવાના પાણી માટે ટ્રેઇનો દોડતી    નરેન્દ્રભાઇ મોદીએ સૌરાષ્ટ્રની તસ્વીરને પાણીદાર બનાવવા સંકલ્પ લીધો અને  સૌની   યોજના અમલમાં મુકી અડગ મનના મુસાફરને હિમાલય નથી નડતો,  એ પંક્તિ સાર્થક કરી છે.

મુખ્યમંત્રી એ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન  સૌની  યોજનાની ફળશ્રુતિ જણાવતા વધુમાં કહ્યું કે, નર્મદાના વહી જતા નીરને સૌરાષ્ટ્રમાં પહોંચાડવાના આ ભગીરથ કાર્યને લીધે સૌરાષ્ટ્રના 115 જળાશયોમાં નર્મદાના નીર આવી રહ્યા છે અને ઉમેર્યું હતું કે,  જામનગર જિલ્લાને સૌની યોજના લીંક-3 પેકેજ-7 અને લીંક-1 પેકેજ-5 લોકાર્પિત થતાં 2 લાખ લોકોને લાભ મળવાની સાથે 141 ગામોને પીવાનું પાણી મળશે.

જામનગર મહાનગરપાલિકાના વડાપ્રધાન ના હસ્તે લોકાર્પણ કરાયેલા વિકાસ કાર્યો વિશે જણાવતા તેમણે ઉમેર્યું હતું કે સરકાર શહેરીકરણને અવસરરુપે લઈ રાજ્યના શહેરો સ્વચ્છ, ટ્રાફિકની સમસ્યાથી મુક્ત અને શ્રેષ્ઠ આરોગ્યસેવાઓથી યુક્ત બને તે મુજબ  તેમને સ્માર્ટ સસ્ટેનેબલ સીટી તરીકે વિકસાવવાની દિશામાં કામગીરી થઈ રહી છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીના  વડાપ્રધાન બનવાથી ગુજરાતને વિકાસના માર્ગે આગળ વધવામાં થયેલા ફાયદાઓ વિશે વાત કરતા મુખ્યમંત્રીએ  સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ડબલ એન્જીન સરકારના પરિણામે ગુજરાત આજે ડબલ સ્પીડ અને સ્કેલ પર આગળ વધી રહ્યું છે અને અનેક આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રોજેક્ટ ગુજરાતમાં આવી રહ્યા છે. વિકસિત અને જળ સમૃદ્ધ ગુજરાતના નિર્માણ થકી વિકસિત ભારતના નિર્માણનું સપનું પૂર્ણ કરવા અમે સંકલ્પબદ્ધ છીએ તેમ મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

જિલ્લા પ્રભારીમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત થનાર વિવિધ વિકાસ પ્રકલ્પો વિશે વિસ્તારપૂર્વક વાત કરતા આ પ્રકલ્પોથી આંતરમાળખાકીય સુવિધાઓ અને જનસુખાકારીમાં થનારા વધારા વિશે જણાવ્યું હતું.

કેબિનેટ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં ભ્રષ્ટાચારમુક્ત પારદર્શી વ્યવસ્થા અમલમાં આવી છે તેમજ દેશવાસીઓ અને દેશની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય મળ્યું છે. ખેડુતોની આવક બમણી કરવા માટે અમલમાં મુકેલી યોજનાઓ સહિતની જનકલ્યાણકારી યોજનાઓ અને નિર્ણયો વિશે વાત કરતા  તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ થયેલા વિકાસકાર્યો થકી વિશ્વભરમાં ભારત દેશનો ડંકો વાગ્યો છે.

વડાપ્રધાનના હસ્તે આજે રૂ. 729.15 કરોડના ખર્ચે 1,20,000 થી વધુ લોકોને પીવાના પાણી તથા આશરે 71,967 એકર વિસ્તારને સિંચાઇની સુવિધા ઉપલબ્ધ કરાવતી સૌની યોજના લીંક-3/પેકેજ-7 તથા રૂ. 314.69 કરોડના ખર્ચે 65,000થી વધુ લોકોને પીવાનું તથા આશરે 31,843 એકર વિસ્તારને સિંચાઇ માટે પાણી પૂરી પાડતી સૌની યોજના લીંક-1/પેકેજ-5, હરિપર ગામે  રૂ. 176.89 કરોડના ખર્ચે 40 મેગાવોટની ક્ષમતા ધરાવતા આધુનિક ફોટો વોલ્ટીક સોલાર પ્રોજેક્ટ અને જામનગરમાં પટેલનગર ખાતે રૂ. 99 લાખના ખર્ચે વાલ્મીકિ સમાજ કમ્યુનિટી હોલ સહિતના વિકાસ કાર્યો  લોકાર્પિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રૂ. 39.24 કરોડના ખર્ચે કાલાવડ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના, રૂ. 24.74 કરોડના ખર્ચે મોરબી-માળીયા-જોડિયા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના,  કુલ રૂ. 107 કરોડના ખર્ચે તૈયાર થનારા લાલપુર બાયપાસ ઓવરબ્રિજ તથા હાપા માર્કેટિંગ યાર્ડ રેલવે ઓવરબ્રિજ,  રૂ. 56 કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક તથા પમ્પીંગ મશીનરી રીફરબીશ વર્ક (4-કમ્પોનન્ટ) સહિતના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત પણ  વડાપ્રધાનશ્રીના હસ્તે આજે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ સાંસદ શ્રી સી. આર. પાટીલે વડાપ્રધાનશ્રીનું  જામનગરની વિશ્વવિખ્યાત બાંધણીનો ખેસ ઓઢાડી તેમજ સાંસદશ્રી પૂનમબેન માડમે દ્વારકાધીશના 24 શણગાર દર્શાવતી કલાત્મક પિછવાઈની ભેટ તેમજ બાંધણીના ખેસ દ્વારા ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આ અવસરે વડાપ્રધાનશ્રીનું શંખ, ચાંદીની તલવારની ભેટ, હાલારી પાઘડી પહેરાવી પરંપરાગત ઢબે ઉષ્માભર્યુંઅભિવાદન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ કાર્યક્રમમાં  રિમોટ દ્વારા ઈ – તકતીનું અનાવરણ કરીને 1448 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા.

આ પ્રસંગે કેબિનેટમંત્રીઓ   ઋષિકેશ પટેલ,   વિનોદ મોરડીયા, સાંસદો   સી.આર. પાટીલ,  પૂનમબેન માડમ, ધારાસભ્યઓ ધર્મેન્દ્રસિંહ જાડેજા,  આર.સી.ફળદુ, મેયર  બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, કલેકટર   ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, કમિશનર  વિજય ખરાડી, પદાધિકારીશ્રીઓ, અધિકારીઓ, મહાનુભાવો તેમજ વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.