Abtak Media Google News

તાલગાજરડા ખાતે પૂ. બાપૂના હસ્તે કવિ જવાહર બક્ષીના પુસ્તકનું વિમોચન કરાયું

જૂનાગઢની રુપાયતન સંસ્થાના ઉપક્રમે ચિત્રકુટધામ તલગાજરડા ખાતે  કવિ શ્રી જવાહર બક્ષીના પુસ્તક “નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા”નું વિમોચન પૂજ્ય બાપુના શુદ્ધ હસ્તે સંપન્ન થયું.દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પી.એચ.ડી.ની પદવી માટે તેમણે પ્રસ્તુત કરેલ મહાનિબંધને રૂપાયતન સંસ્થાએ મુદ્રિત સ્વરૂપે પ્રકાશિત કરેલ આ ગ્રંથ પૂજ્ય બાપુ દ્વારા લોકાર્પિત થયો.

Advertisement

કાર્યક્રમના શુભારંભે રૂપાયતન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હેમંતભાઈ નાણાવટીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું અને કહ્યું કે “આપણે કોઈએ નરસિંહ મહેતાને તો જોયો નથી,પણ આપણા માટે પૂજ્ય બાપુ જ નરસિંહ મહેતાનું પ્રગટ સ્વરૂપ છે ! બાપુએ નરસિંહ મહેતાને ઉતાર્યો છે, ઉજાળ્યો છે અને ગજાવ્યો પણ છે.તેમણે શ્રી બક્ષીના પુસ્તક ઉપરનું આવરણ ચિત્ર બનાવનાર શ્રીવૃંદાવન સોલંકીને પણ આ તકે આવકાર્યા.

આ પ્રસંગે શ્રી જવાહર બક્ષીએ પોતાના પ્રભાવી,પ્રવાહી અને પ્રસાદપૂર્ણ પ્રવચનમાં જણાવ્યું  કે નરસિંહના પદો પોતે જ સૌથી મોટો ચમત્કાર છે ! શ્રી બક્ષીએ કહ્યું કે સંયમથી  સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે,  જેનો આપણે પ્રસ્તુત પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે.

તેમણે જણાવ્યું કે નરસિંહ મહેતા ની  ૯૫% કવિતાઓ આનંદ સભર છે.નરસિંહ મહેતા જીવન માટે ’અનંત કબીર સંપૂર્ણપણે નિરાકાર વાદી છે, મીરા સંપૂર્ણપણે સાકાર વાદી છે; જ્યારે નરસિંહ મહેતા આ બંનેને બાથમાં લઈને જૂનાગઢના ચોકમાં ઉભો છે ! હિન્દુસ્તાન કોઈ પણ કવિ માં આ રીતે સો ટકા આધ્યાત્મિકતા અને સો ટકા ભૌતિક આનંદનું સંમિશ્રણ નથી જોવા મળતું.તેમણે નરસિંહ મહેતાને એક પૂર્ણ કવિ તરીકે પ્રસ્થાપિત કરી બતાવ્યા.

આ પ્રસંગે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતા પૂજ્ય બાપુએ કહ્યું કે જવાહરભાઈએ ગ્રંથ તૈયાર કર્યો, નિરુપમ નાણાવટીએ સહાયતા પૂરી પાડી,અને હેમંતભાઈ નાણાવટીએ પ્રકાશનનું જે સુંદર કાર્ય કર્યું, તે બદલ એમને સાધુવાદ કે ધન્યવાદ આપવાને બદલે પોતે નરસિંહ વાદ આપે છે.

તેમણે જણાવ્યું કે  અહીં આ લોકાર્પણ થયું  એનો જે આનંદ છે, એવો આનંદ કદાચ આપણને અન્ય કોઈપણ જગ્યાએ થયો ન હોત, એટલે મારે માટે તો “આજની ઘડી છે રળિયામણી” !

બાપુએ કહ્યું કે “હું શબ્દનો સાધક છું. હું શબ્દને જરાપણ આમથી આમ કરું તો સરસ્વતી વિણા વગાડે નહીં, મારા માથે વિના મારે ! કાવ્યરચનાનું બંધારણ તૂટે, તો ક્યારેક અર્થનો અનર્થ થઈ જાય.પરંતુ જવાહરભાઈએ તો શબ્દોને પોતાના અભ્યાસ અને અનુભવની ભૂમિકા પરથી પ્રગટ કર્યા છે.અભ્યાસ,યોગ અને યોગ્યતા તેમના પ્રવચનમાં  છે. આટલા અધિકારપૂર્વકનું, નરસિંહ મહેતા ઉપરનું આટલું શ્રેષ્ઠ પ્રવચન પોતે આટલા વર્ષમાં પહેલી વાર સાંભળ્યું !

બાપુએ કહ્યું કે નરસિંહ મહેતાને નાગરોએ બહુ સતાવ્યા છે, એવી આપણી ધારણા છે.નરસિંહ મહેતા એક એટલું ઊંચું વિભૂતિ-તત્વ છે કે તેને કોઈ સતાવી શકે જ નહીં .આજે ૬૦૦ વર્ષ પછી નરસિંહની કવિતાના નવા નવા અર્થો ને જવાહરભાઈએ ગ્રંથો અને શાસ્ત્રોના આધાર સાથે એવી રીતે મૂલવ્યા છે કે કોઈ એને કાપી શકે નહીં.આ નાગરનું કૂળ,મૂળ અને ધૂળ નરસિંહ મહેતાના છે !બાપુએ કહ્યું કે ’ધરા’થી ઉપર ઉઠીને ’અધરા’કેમ થવાય,એ વાત જવાહર ભાઈ જાણે છે અને એના આધારે એમનું આ દર્શન છે.અહીં લૌકિકતાથી મુક્ત થવાની વાત છે.સાંસારિક બંધનોમાં જકડી રાખવાની અહીં વાત નથી.આ વિજ્ઞાનની વાત છે,સાથે આધ્યાત્મિકતાની પણ ! અહીં આપણે જવાહરભાઈના પ્રવચન દરમિયાન એવી સ્થિતપ્રજ્ઞની સ્થિતિમાં પહોંચી ગયા હતા લોકો પુછે છે કે કથાથી સમાજમાં શું ફેર પડે છે? પરંતુ મારે સમાજમાં કોઇ ફેરફાર નથી કરવો હું તો મોબાઈલ વાન લઈને ઓપરેશન કરવા નીકળ્યો છું.વ્યાસપીઠ લેસરથી નહીં,નજરથી ઓપરેશન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.