Abtak Media Google News

પહેલા આર્ટસ – કોમર્સ અને વિજ્ઞાન હતું, આજે તે ઉલ્ટુ થઇ ગયું છે: જીવનમાં વિવિધ કલાના રંગોનું મહત્વ છે, તેમ શિક્ષણમાં આર્ટનું મહત્વ છે: આજે શિક્ષણમાં સંગીત – ચિત્ર – રમત ગમત જેવા વિષયો સાઇડ લાઇન થઇ ગયા છે

આજના યુગમાં વિજ્ઞાન અને કોમર્સના શિક્ષણની માંગ વધી રહી છે, તેથી આર્ટસમાં જવા કોઇ તૈયાર નથી: ઇત્તર પ્રવૃત્તિ કે સહઅભ્યાસિક પ્રવૃતિમાં કલા શિક્ષણની વિશેષ જરૂરીયાત હોય છે: મોટાભાગના ગ્રંથોમાં કલાની સંખ્યા 64 દર્શાવાય છે, પણ પ્રબંધ કોશ જેવા ગ્રંથોમાં 7ર કલાઓની યાદી જોવા મળે છે

શિક્ષણમાં બાળકનાં સંર્વાગી વિકાસનું ઘણું મહત્વ છે. ખાલી પરીક્ષામાં 99 ટકા આવી ગયા એટલે હોંશિયાર નથી થઇ જવાતું. શિક્ષણ ઉપરાંત વિવિધ કલામાં નિપુણતા મેળવીએ એજ સાચો  વિકાસ છે. વિજ્ઞાન- ગણિતમાં ભલે થોડા ઓછામાં માર્ક આવે પણ જો બીજી કલા હસ્તગત કરી હશે તો તે વિદ્યાર્થી જીવનયાત્રામાં પાછો ન પડે, જુની પઘ્ધતિમાં આર્ટસ- કોમર્સ અને વિજ્ઞાન હતું આજે તે વિકસતા દેશમાં વિજ્ઞાન – વાણીજયને કલા થયું. કલા કયારેય અંતિમ હોય જના શકે. તે જીવન જીવવાનો આનંદ નિજાનંદ છે જે હંમેશા પ્રથમ જ હોવો જોઇએ. ભણતર પણ ગણતર સાથેનું હોવું જોઇએ. સારુ બોલી શકે, કલ્પનાથી લખી શકે કે સારૂ ગાઇ વગાડી શકે તે કલાનો જીવન સાથે જોડતો સંર્વાગી વિકાસનો એક રસ્તો જ છે. કલા અને સાહિત્ય એ બન્ને એક બીજાથી અલગ છે. વિદ્યાર્થીના જીવનમાં કલા તો જગત છે, એટલે કલા જગત કહેવાય છે.

કલા (આર્ટસ) શિક્ષણ બાળકના ભવિષ્ય અને સમાજ સુખાકારી માટે પણ આવશ્યક છે. સંગીત, ચિત્ર, રમતગમત કે તેના જેવી વિવિધ આનુસાંગિક પ્રવૃતિ પ્રોજેકટને આપણે કલા કહીએ છીએ પણ ના… કલાનું તો વિશ્વ છે. તે પૈકી જેટલું બાળક થી શકે તેટલો તેનો સંર્વાગી વિકાસ ઝડપી થાય. કલા વગર ખાલી શિક્ષણથી બાળકોનો સંર્વાગી વિકાસ શકય જ નથી. કલા શબ્દ એટલો વિશાળ છે કે તેની વ્યાખ્યા કરવી શકય નથી. ગમે તેવી વ્યાખ્યા કરો તો તે એક પક્ષને તો સ્પર્શીને જ રહે છે. ભારતીય પરંપરા અનુસાર કલા એવી બધી પ્રક્રિયાઓને કહેવાય જેમાં કૌશલ્યોનો વિકાસ થતો હોય. લાઇફ સ્કીલનું શિક્ષણમાં બહુ જ  મહત્વ છે. દા.ત. સાવનાનું બાળક પેન્સીલ પકડતી વખતે તેના આંગળાઓની વિવિધ સ્કીલ ધીમે ધીમે વિકસાવે છે. કલા હસ્તગત થયા બાદ તે ખુબ ઝડપથી ને સારા અક્ષરો સાથે ચિત્રો પણ બનાવે છે. કલાના શિક્ષણમાં તમારી બધી કલ્પનાઓ કામે લાગતા મગજનો વિકાસ થાય છે.

કલાનો શબ્દ પ્રયોગ કદાચ સૌથી પહેલો ભારતનાં નાટય શાસ્ત્રમાં જ થયો હોય એમ મળી આવે છે. બાદમાં વાત્સ્યાયન અને ઉશનસ જેવા ઋષિઓએ ક્રમશ: પોતાના ગ્રંથ કામ સૂત્ર તેમજ શુક્રનીતિમાં કલાનું વર્ણન કર્યુ હતું. પછી તો જૈન ગ્રંથ પ્રબંધ કોશ, કલાવિલાસ, લલિત વિસ્તર જેવા અનેક ગ્રંથોમાં કલાનું વર્ણન જોવા મળે છે. મોટાભાગના ગ્રંથોમાં કલાઓની સંખ્યા 64 દર્શાવાય છે, પણ પ્રબંધ કોશ જોવા ગ્રંથોમાં 7ર કલાઓની યાદી જોવા મળે છે. તો લલિત વિસ્તરમાં 86 કલાઓના નામ ગણાવ્યા છે. કાશ્મીર પંડિત ક્ષેમેંદ્રે પોતાના ગ્રંથમાં સૌથી વધુ કલાઓનો ઉલ્લેખ કર્યો છે.

વિવિધ કલાઓમાં 64 જનપયોગી, 32 ધર્મ અર્થ, કામ, મોક્ષ, સંબંધી, 3ર માત્સર્ય, શીલ, પ્રભાવમાન સંબંધી, 64 સ્વચ્છ કારિતા સંબંધી, 64 વેશ્યાઓ સંબંધી, 10 ભેષ જ, 16 કાયસ્થ તથા 100 સાર કલાઓની નોંધ જોવા મળે છે. સૌથી અધિક પ્રમાણિક સુચિ ‘કામસૂત્ર’ માં જોવા મળે છે. યુરોપિયન સાહિત્યમાં પણ કલા શબ્દનો પ્રયોગ શારીરિક કે માનસિક કૌશલ માટે જ વધુ થયેલા જોવા મળે છે. ત્યાં આગળ પ્રકૃતિ અને કબાનું કાર્ય ભિન્ન છે.

કલાનો અર્થ છે રચના કરવી જે કૃત્રિમ હોય, પ્રાકૃતિક સૃષ્ટિ અને કલા બન્ને ભિન્ન છે. કલા મનુષ્ય કરે ને કુદરત પણ કલા અને વિજ્ઞાન વચ્ચે પણ અંતર છે. જીવન ઉર્જાનો મહાસાગર છે જયારે અંતર ચેતના જાગૃત થાય ત્યારે ઉર્જા જીવનને કલાના રૂપમાં ઉપસાવે છે. કલાજીવનને ‘સત્યમ શિવમ સુન્દરમ’ થી સમન્વિત કરે છે. જેના દ્વારા જ બુઘ્ધી આત્માનું સ્વરુપ ઝળકે છે.

રવિન્દ્રનાથ ઠાકુર કહે છે કે ‘કલામાં મનુષ્ય પોતાના ભાવોની અભિવ્યકિત કરે છે’  તો પ્લેટો કહે છે કે કલા સત્યની અનુકૃતિ છે’ ટોલ્સ ટોયના શબ્દોમાં ‘આપણાં ભાવોની ક્રિયા, રેખા, રંગ, ઘ્વનિ કે શબ્દ દ્વારા એવી રીતે અભિવ્યકિત કરો કે, એને જોવામાં અને સાંભળવામાં પણ એ જ ભાવ પ્રગટ થાય એ જ કલા કહેવાય, સંગીત કલા મનને સૌથી નિજાનંદ આપતી કલા છે.

“સંગીત હે શકિત ઇશ્વર કી,
હર સુર મેં બસે હે રામ,
રાગી તો ગાયે રાગિની,
રોગિ કો મિલે આરામ”

અંજન્તાની ગુફાઓના ચિત્રો, કલાકૃતિ કલાના અદભુત નમુના છે. ભારતીય કલાનો ઇતિહાસ ભિંત ચિત્રોથી શરુ થયો હતો. કલાઓની યાદીઓ સાથે બહું ઓછી કલાનો સંબંધ લલિત કલા કે ફાઇન આર્ટસ સાથે જોવા મળે છે. લલિત કલામાં ચિત્રકલા, મૂર્તિકલા આદિને તેના સૌદર્યશાસ્ત્ર સાથે સંબંધિત છે. નવા શિક્ષણ નિતિ-2020માં સ્કીલ બેઇઝ એજયુકેશન સાથે વિવિધ કલા પરત્વે પણ શિક્ષણ સાથે સાંકળીને નવા રંગરુપ સાથે જયારે અમલ થશે ત્યારે છાત્રો વિવિધ કલાના રંગે ભણતા ભણતા રંગાઇ જશે.

શિક્ષણ સંકુલોએ પ્રારંભથી જ શિક્ષણ સાથે વિવિધ કલાનો સમન્વય કરીને છાત્રોને શિક્ષણ આપવું જોઇએ.  શિક્ષક જેટલો કલા રસિક તેટલો જ બાળકોનો વિકાસ ઝડપી બને. શિક્ષણની વિવિધ પઘ્ધતિઓ નાટય પઘ્ધતિ, વાર્તા કે ચિત્ર પઘ્ધતિ વિગેરે એક કલાનો ભાગ છે. કવિતા ગાન પણ એક ગાયન કલા છે જેમાં બાળકોને સુર, તાલ, લય, આરોહ, રાગ, ભાવ જેવી ઘણી કલાઓ સથે વિવિધ ગુણોનું સિંચન થાય છે. શિક્ષણ કલા વગર રસમય કયારેય ન બની શકે.  કારણ કે બાળકને શિક્ષણ આપવી એ પણ એક કલા જ છે. સહ અભ્યાસિક તમામ પ્રવૃતિના મુળમાં કલા સમાયેલી છે. બોડી લેંન્ગવેજ પણ વાકચાતુર્યની કલા છે.છાત્ર ખોટું પણ બોલે ને સાચા જેવો અભિનય કરે ત્યારે તેનામાં કલાના ગુણો વિકસી રહ્યા છે, એવું માની શકાય. બાળકને જયારે તમે વસ્તુ કે ચિત્ર જોઇને બોલવાનું કહો છો ત્યારે તેની વિચારવાની શબ્દો ગોઠવણ અનુભવો જેવી તમામ કલાઓ સાથે મૌખિક અભિવ્યકિત ખીલે છે. જે આખરે તો કલા જ છે.

“શિક્ષણમાં જયારે કલા ભળે ત્યારે કલામય શિક્ષણ બને, અને જીવન કલા નિખરી ઉઠે છે”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.