Abtak Media Google News

‘તારો પતિ હવે મારો છે’ પીએસઆઈની પ્રેમિકાએ પરિણીતાને દીધી ધમકી: પતિ સહિત ત્રણ સામે નોંધાતો ગુનો

કાયદાના રક્ષક જ જ્યારે ભક્ષક બની જાય ત્યારે આમ જનતાના મનમાં અનેક સવાલો પેદા થાય છે. એવી જ રીતે બોટાદમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા કાયદાના રક્ષક સામે જ તેની પત્નીએ ફરિયાદ નોંધાવતા પોલીસ બેડામાં ખડભડાત મચી ગયો છે. રાજકોટમાં જામનગર રોડ પર ઘંટેશ્વર પાસે આવેલા વર્ધમાનનગરમાં રહેતી અને વકીલાતનો અભ્યાસ કરેલી પરિણીતાએ પોતાના પીએસઆઈ પતિ અને સાસુ-સસરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ પતિએ પ્રેમિકાના કારણે પત્ની પર ત્રાસ ગુજારતો હોવાનું અને પ્રેમિકાએ પણ પરિણીતાને ધમકી દીધી હોવાનું સામે આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઘંટેશ્વર એસઆરપી કેમ્પ સામે વર્ધમાનનગર સિલ્વર બંગ્લોઝમાં છેલ્લા છ મહિનાથી બે સંતાન સાથે રહેતા પ્રિયદર્શીબેને બોટાદ પોલીસમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા પતિ અશોક ભવાન પરમાર, રાજકોટ પેડક રોડ ન્યૂ શક્તિ સોસાયટીમાં રહેતા સસરા ભવાનભાઇ જેઠાભાઇ પરમાર અને સાસુ દેવુબેન સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બી.એ., એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કરનારી પરિણીતાની ફરિયાદ મુજબ, તેના લગ્ન 2002માં અશોક સાથે થયા છે. લગ્નજીવન દરમિયાન સંતાનમાં પુત્ર અને પુત્રી છે. પતિને પીએસઆઇ તરીકે બઢતી અમરેલીથી મળતા લુણાવાડા બદલી થઇ હતી.

બે મહિના રોકાયા બાદ પતિની બદલી બોટાદમાં થઇ હતી અને તેઓ છેલ્લા પાંચ વર્ષથી ત્યાં ફરજ પર છે. પતિને દારૂ પીવાની ટેવ હોય પુત્રના જન્મ બાદ સામાન્ય બાબતે પોતાને માર મારી ગાળો ભાંડતા હતા. છોકરા સામે ઝઘડો કરવાની ના પાડતા તેઓ વધુ ઉશ્કેરાય જઇ વધુ માર મારતા હતા. બાદમાં દીકરીનો જન્મ થયો હતો. દરમિયાન પુત્રને રાજકોટમાં ડિપ્લોમાના અભ્યાસમાં એડમિશન મળતા પોતે બંને સંતાનને લઇ છ મહિના પૂર્વે રાજકોટ આવી ગઇ હતી.તે દરમિયાન ગત તા.20મી ઓક્ટોબરની સાંજે પતિ અશોક ઘરે આવ્યા હતા. બીજા દિવસે પતિએ પોતાને અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાનું અને તેને સાથે રાખવા માગે છે. તેની સાથે મૈત્રીકરાર કરી લીધા હોવાની વાત કરી હતી. તેમજ મારે તેની સાથે રહેવું હોય તને રાખવી નથી તેવું પણ કહ્યું હતું. જેથી પોતે અને બંને સંતાન ક્યાં જશે તેમ કહેતા ઉશ્કેરાય ગયા હતા અને મારે તું કે તારા છોકરા નથી જોઇતા. મેં મૈત્રીકરાર કર્યા છે તેમાં લખ્યું છે કે તું મરી ગઇ છો એટલે આજે તને જાનથી મારી નાંખવા માટે આવ્યો હોવાનું કહી પીએસઆઈ પતિએ માર માર્યો હતો.

ત્યાર બાદ પતિએ છરી કાઢી હુમલો કરવા પોતાની પાસે દોડીને આવતા પોતે રૂમમાં જઇ દરવાજો બંધ કરી દીધો હતો. બાદમાં પતિ જતા રહેતા બનાવ અંગે સાસુ-સસરાને જાણ કરી હતી. ત્યારે સસરા ભવાનભાઇએ તમને શું વાંધો છે, તે ગમે તેની સાથે સંબંધ રાખે, મારો દીકરો તમને ખાધાખોરાકી તો આપે છેને તેવી વાત કરી વાતને ઉડાવી દીધી હતી. જેથી પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

તો બીજી તરફ પીએસઆઇ પતિએ ઘરે આવી માર મારી ધમકી આપ્યા બાદ સાસુ-સસરાને બનાવની વાત કરી હતી. પરંતુ તેમને પણ તેમના પુત્રની કરતૂતને છાવરી હતી. ત્યાર બાદ પતિને જે રાજકોટની મહિલા સાથે આડા સંબંધ છે તે મહિલાએ પોતાને ફોન કરીને કહ્યું કે, તારો પતિ હવે મારો છે, તારાથી જે થાય તે કરી લેજે, તારી પાસે હવે કોઇ નહિ આવે, તારા પતિને લઇને હું જતી રહીશ બાદમાં અમે તારા હાથમાં નહીં આવીએ. તારો પતિ પીએસઆઇ છે, તેનું તું કંઇ બગાડી શકીશ નહિ તેવી ગર્ભિત ધમકી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.