Abtak Media Google News

રાજકોટ શહેર પોલીસ દ્વારા આજ રોજ 26મી જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ પોલીસ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 56થી વધુ એન.ડી.પી.એસ.ના ગુનાઓને શોધી કાઢી 110થી વધુ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો બીજી તરફ 26મી જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી નિમિતે પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને યુવાધન દ્વારા સંકલ્પ પત્ર પર સહિ કરીને સંકલ્પ લેવામાં આવ્યું હતું.

રાજકોટ શહેર પોલીસ પણ રાજકોટ શહેરની જાહેર જનતા યુવાધન જેઓ નશાકારક પદાર્થોનું સેવન ન કરે અને જાગૃત થાય તે માટે લોકજાગૃતીના અગાઉ સેમીનાર પણ રાખવામાં આવેલ તે જ રીતે લોકોમાં જાગૃતી ફેલાવવા સાથે નશાકારક પદાર્થોનું વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર મીણા ઝોન-1, નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા ઝોન-2 નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં નશાકારક પદાર્થોનું વેચાણ સદંતર બંઘ થાય અને યુવાધન નશાકાર પદાર્થોનું સેવન કરતા અટકે તે માટે જાગૃતી કાર્યક્રમો સાથે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેરમાં સને 2016 થી સને 2018 એટલે કે ત્રણ વર્ષ દરમ્યાન રાજકોટ શહેરમાં એન.ડી.પી.એસ. એકટ હેઠળ કુલ 6 ગુન્હાઓ શોધી કઢાયા હતા. જયારે સને 2019 થી સને 2021 એટલે કે અઢી વર્ષના સમય ગાળા દરમ્યાન રાજકોટમાં કુલ 50 એન.ડી.પી.એસ.ના ગુન્હાઓ શોધી કઢાયા છે. જે ગુન્હાઓમાં કુલ 110 આરોપીઓ પકડી પાડી આરોપીઓ પાસેથી કુલ કિ.રૂા.1,98,74,180/- નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જે મુદામાલમાં ગાંજો, કોકેઇન, એફેટેમાઇન, ચરસ, એમ.ડી. વિગેરે મુદામાલ કબજે કરવામાં આવ્યા છે.

નશાકારક પદાર્થોનું વેચાણ તથા હેરફેર કરતા ઇસમોને રાજકોટ શહેર પોલીસ દ્વારા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. જે આરોપીઓ દ્વારા કરવામાં આવતી અસમાજીક પ્રવૃતીથી સમાજમાં યુવાધન ને ખુબ જ નુકશાન થાય તેમજ તેના પરિવારજનોની આર્થીક પાયમાલી સર્જાય તેવા સમાજ વિરોધી ગુન્હાઓ આચરતા ઇસમો જેઓ ગુન્હામાં જામીન મુકત થતા તેઓ ફરી આવી ગેરકાયદેસરની પ્રવૃતિ આચરે નહીં તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચના તથા માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા નારકોટીકસની આવી અસામાજીક પ્રવૃતિ આચરતા અગાઉ પકડાયેલ આરોપીઓ પૈકી સને 2020 માં કુલ 6 ઇસમો તથા સને 2021 માં આજદિન સુધીમાં કુલ 8 ઇસમોને નારકોટીકસ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સીસના ગેરકાયદેસર વ્યાપાર અટકાવવા બાબત (પી.આઇ.ટી.એન.ડી.પી.એસ.) એકટ 1988 હેઠળ ડીટેઇન કરી ગુજરાત રાજયની અલગ-અલગ જેલમાં ધકેલવામાં આવ્યા છે.

અગાઉ રાજકોટ શહેર પોલીસ તથા સૌરાષ્ટ્ર યુનીવર્સીટી તથા ઇન્ડીયન મેડીકલ એશોસીએશન દ્વારા ‘હોપ’કાર્યક્રમ અંતર્ગત વિધાર્થીઓ શૈક્ષણિક સ્તરે તંદુરસ્ત વાતાવરણ ઉભુ કરે અને નશાખોરી નાબુદી માટે પ્રયત્નશીલ રહે કેમ કે 14 થી 24 વર્ષની વયના વિધાર્થી સમૂહને પ્રથામીકતા આપવાથી તેઓ ભ્રામકતા, બીન તંદુરસ્તીનો શિકાર ન બને તથા અન્યના પ્રભાવમાં ન આવે તે માટે રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી સંલગ્ન આશરે 100 જેટલી સ્કુલ કોલેજોમાં સેમીનાર રાખવામાં આવ્યા હતાં. આ સેમીનારમાં આશરે 1,00,000 જેટલા વિધાર્થીઓ સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો.

નાશામુકત ભારત અભિયાન અંતર્ગત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ ઉજવણીના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર કચેરી ખાતે નશામુકત થવા સંકલ્પ પત્ર સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પોતે તથા પોતાના પરીવારજનો તથા મીત્રો તથા સંપર્કમાં આવનાર તમામ લોકોને નશામુકત થવા પ્રેરીત કરવા સંકલ્પ લેવામાં આવ્યા હતાં. આ સંકલ્પ પત્ર સહી ઝુંબેશમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ દ્વારા સંકલ્પ પત્ર ઉપર સહી કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ રાજકોટ શહેરમાં અલગ-અલગ જગ્યાએ બેનરો લગાવી લોકજાગૃતિ ફેલાવવામાં આવેલ છે.

રાજકોટ શહેર પોલીસ દ્વારા નશાકારક પદાર્થોનું વેચાણ હેરફેર કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં કોરોના વાયરસના કારણે સ્કુલ કોલેજો બંધ હોય જેથી આવનારા સમયમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા સ્કુલ કોલેજોમાં વર્ચ્યુઅલ સેમીનાર દ્વારા વ્યસન મુકિત અંગે સેમીનાર યોજી લોકજાગૃતી ફેલાવવામાં પણ આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.