Abtak Media Google News

પડદા પાછળ રહી હત્યાને અંજામ અપાવનાર કાયદાને ઘોળીને પી જનાર કાવતરાખોરના ગળામાં કાયદાનો ગાળ્યો કસવા પોલીસે મોબાઇલ કોલ ડીટેઇલ સાથે ઠોસ પુરાવા એકઠા કરવા કવાયત

શહેરની ભાગોળે આવેલા ઠેબચડાના ગરાસીયા પ્રૌઢની હત્યાના મુખ્ય કાવતરાખોરના ગળામાં કાયદાનો ગાળ્યો મજબુત રીતે કસવા માટે પોલીસ દાર્શનિક સાહેદ ઉપરાંત સાયોગિક પુરાવા એકઠા કરવા કોલ ડીટેઇલ સહિતની વિગતો એકઠી કરવા કવાયત શરૂ કરી છે. હત્યાની ન્યાયિક અને તટસ્થ તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવી છે. ત્યારે હત્યાના ગુનામાં ઝડપાયેલા શખ્સોની ઉંડાણ પૂર્વક પૂછપરછ થાય તો તેઓને રાજકીય પીઠબળ હતુ કે કેમ તે અંગેની ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.

7537D2F3 18

સુપ્રિમ કોર્ટનો હુકમ હોવા છતાં કાયદાને ઘોળીને પી જનાર શખ્સો અભણ અને અજ્ઞાનીઓને ગેર માર્ગે દોરી જમીન પરત અપાવી દેવાના નામે પોતાના જ કુટુંબી સભ્યના નામે સાટાખત તૈયાર કરનાર કાયદાના તજજ્ઞ કાયદાની ચુંગાલમાં ફસાઇ ગયો છે. પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા ૧૨ શખ્સોની ધરપકડ કરી અન્ય શખ્સોને ઝડપી લેવા તેમજ હત્યારાઓ સામે મજબુત પુરાવા એકઠા કરવા કવાયત શરૂ કરી છે.

પોલીસે હત્યાના મુખ્ય કાવતરાખોર અક્ષિત છાયાની સંડોવણી બહાર આવતા તેના કોલ ડીટેઇલ સહિતની વિગતો એકઠી કરવાની કવાયત શરૂ કરી છે. અન બીજી તરફ અક્ષિત છાયાએ કોની કોની સાથે છેતરપિંડી કરી છે તે અંગેની વિગત એકઠી કરવાનું શરૂ કર્યુ છે.

અક્ષિત છાયાએ ઠેબચડાની જમીન હડપ કરવા માટેના હવાતીયા સહિતની સ્ફોટક વિગતો બહાર આવે તેમ છે ત્યારે અક્ષિત છાયાએ વાકચાતુર્યથી એક ધારાસભ્યને પણ શીશામાં ઉતાર્યાનું, ૨૦૦૨માં બોગસ પાવરનામાના આધારે આચરેલું જમીન કૌભાંડ, તેની ઓફિસમાંથી બોગસ દસ્તાવેજ સહિતના ડોકયુમેન્ટ પોલીસ દ્વારા કબ્જે કરાયા હોવાની તેમજ જુની કલેકટર કચેરીમાં પણ અક્ષિત છાયાએ સરકારી અધિકારી અન કર્મચારીઓ સાથે નજીકનો ધરોબો હોવાની ફેંક વાતો કરી કેટલાય અરજદારો સાથે છેતરપિંડી કર્યાનું સહિતની ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.

લખધિરસિંહ જાડેજાની હત્યા રાજકીય દોરી સંચારથી થયાના આક્ષેપના કારણે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા આજી ડેમ પોલીસ પાસેથી તપાસ લઇ ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવી છે. ત્યારે પોલીસે મુખ્ય કાવતરાખોર ગણાતા અક્ષિત છાયાના મોબાઇલ નંબરની કોલ ડીટેઇલના આધારે મકકમતાથી તપાસને આગળ ધપાવવામાં આવી રહી છે. ગત તા.૧૨ જાન્યુઆરીએ ૫૬૪ બોટલ વિદેશી દા‚ ઠેબચડાના ખીમા નાથાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઇ હતી. ત્યારે પોલીસે સ્થળની માલીકી અંગે પુરતી ચકાસણી કર્યા વિના બુટલેગરના કહેવા મુજબની વિગતો એફઆઇઆરમાં લખી હોવાથી ખીમા નાથા તાત્કાલીક જામીન પર છુટકારો થયો હતો. આ અંગે પણ ઉંડી તપાસ થાય તો કેટલીક ચોકવાનારી વિગતો પ્રકાશમાં આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.

  • અક્ષિત છાયાની છેતરપિંડીનો ભોગ બનનારની વહારે ‘અબતક’

ઠગાઇના આધાર, પુરાવા સાથે વિગત આપનારને ન્યાય અપાવવા ‘અબતક’ દ્વારા સહયોગ અપાશે પોતાની જાતને કાયદાના ‘તજજ્ઞ’ ગણાવી અનેક નિર્દોષ નાગરિકોને શીશામાં ઉતારવા માટે પંકાયેલા અક્ષિત છાયા સામે ઠેબચડાના ગરાસીયા પ્રૌઢની હત્યાના મુખ્ય કાવતરાખોર તરીકેની સંડોવણી બહાર આવતા તેને અનેક કૌભાંડો આચર્યાનું સામે આવ્યું છે ત્યારે અક્ષિત છાયા દ્વારા કરાયેલી છેતરપિંડી, વિશ્ર્વાસઘાત અને ઠગાઇનો ભોગ બનનારની વહારે ‘અબતક’ આવ્યું છે. છેતરપિંડીનો ભોગ બનનારે પોતાના આધાર, પુરાવા સાથેની વિગતો રજુ કરનારને ‘અબતક’ દ્વારા ન્યાય અપાવવા પુરતો સહયોગ આપવામાં આવશે. વિશ્ર્વાસઘાતનો ભોગ બનનારે ‘અબતક’ મિડીયા હાઉસનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.

  • હત્યાની ઘટના પહેલા અને પછીની મોબાઇલની કોલ ડીટેઇલ તપાસો: રાજભા ઝાલા

હત્યા પાછળ રાજકીય દોરી સંચારની આશંકા વ્યકત કરી તટસ્થ તપાસની માગ કરતા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રાજભા ઝાલા ઠેબચડા લખધિરસિંહ જાડેજા નામના ગરાસીયા પ્રૌઢની થયેલી હત્યા પાછળ રાજકીય દોરી સંચાર હોવાની શંકા વ્યક્ત કરી ઝડપાયેલા શખ્સોના તેમજ કાવતરામાં સંડોવાયેલા શખ્સોના મોબાઇલની કોલ ડીટેઇલ અંગે ઉંડી તપાસ કરવામાં આવે તો તેઓને કયા રાજકીય નેતાનું પીઠ બળ હતું તે અંગેની કેટલીક સ્ફોટક વિગતો બહાર આવે તેમ હોવાથી પોલીસે તટસ્થ અને ન્યાયિક તપાસની સ્ટેડીંગ કમિટીના પૂર્વ ચેરમેન રાજભા ઝાલાએ માગ કરી છે.

પોલીસની હાજરીમાં હત્યા થતા હત્યારાઓને રાજકીય દોરી સંચાર હોવાની શંકા ઉપજે તે સ્વભાવીક છે ત્યારે પોલીસે સત્ય વિગતો બહાર લાવવા હત્યાના ગુનામાં ઇન્ડાયરેક સંડોવાયેલા શખ્સો, રાજકીય વગ ધરાવતા શખ્સો સહિતના તમામ સામે કાયદાકીય કાર્યવાહી કરી ગરાસીયા પરિવારને ન્યાય અપાવવા રાજભા ઝાલાએ માગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.