Abtak Media Google News

આંગડીયા પેઢીમાં જાલીનોટ ધાબડી હવાલા મારફતે અસલી નોટ મેળવવાના

ખૌફનાક કૌભાંડ: રૂ.35 લાખનું નકલી ચલણ ઘુસાડી દીધાની શંકા: જાલીનોટના

હવાલા દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા શખ્સો સુધી પહોચ્યું હોવાની આશંકા

દેશના અર્થ તંત્રને ખોખલુ કરવાના ખૌફનાક કૌભાંડનો રાજકોટમાં પર્દાફાસ થયો છે. શહેરના સોની બજારમાં આવેલી જુદી જુદી આંગડીયા પેઢીમાં જાલીનોટ ધાબડી હવાલા મારફતે અસલી નોટ મેળવવાના કૌભાંડનો આંગડીયા પેઢીના કર્મચારીની સજાગતાથી પર્દાફાસ થયો છે. જાલીનોટ કૌભાંડ અંગે એક શખ્સને પોલીસ હવાલે કરાયા બાદ તેની સાથે સંડોવાયેલા અન્ય છ શખ્સોની પોલીસે અટકાયત કરી પૂછપરછ કરતા મહારાષ્ટ્રના પુના સુધી પગેરુ નીકળ્યું હતું. એ ડિવિઝન પોલીસની એક ટીમ તાત્કાલિક પુના જઇ જાલીનોટના સપ્લાયર કમલેશની અટકાયત કરી રાજકોટ લાવી રહી છે.

પુનાના કમલેશ જાલીનોટ પ્રિન્ટ કરી રાજુલાના ભરતને રુબરુ આપી જતો: સોની બજારમાં જુદા જુદા આંગડીયા પેઢીમાં હવાલો આપવા જમા કરાવી કૌભાંડ આચર્યુ

ભરતની ગેંગ દ્વારા આંગડીયામાં જમા કરાવેના નાણા કયાં શહેરમાં અને કોને મોકલાતા: દેશના અર્થતંત્રને ખોખલા કરવાના કૌભાંડના મુળ સુધી પહોચવા એનઆઇએની મદદ લેવી જરૂરી

કમલેશ જાલીનોટ પિન્ટ કરી રાજકોટ રુબરુ આપી જતો હતો ત્યાર બાદ રાજુલાના ભરત તેના અન્ય સાગરીતો સાથે મળી આંગડીયા પેઢીમાં જમા કરાવી અન્ય શહેરો હવાલા મારફતે અસલી નોટ મેળવવામાં આવતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જાલીનોટનો હવાલો કોણ મેળતુ કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું છે અને અન્ય કોણ સંડોવાયું છે. તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. દેશ દ્રોહી પ્રવૃતિ સમાન જાલીનોટ કૌભાંડના મુળ સુધી પહોચવા માટે એનઆઇએની મદદ લેવામાં આવે તો કેટલીક ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેમ સુત્રો જણાવી રહ્યા છે.

વિગતો અનુસાર રાજકોટની 10થી 12 આંગડિયા પેઢીમાં જાલીનોટ ઘૂસાડી અન્ય શહેરમાંથી અસલી ચલણી નોટ મેળવી લેવાનું કૌભાંડ રાજકોટ ક્રાઈમ બ્રાન્ય અને એ-ડિવિઝન પોલીસે ઝડપી લઈ સાત શખ્સની અટકાયત કરી ગુરુવાર મોડીરાત સુધી તમામની આકરી પુછપરછ કરવામાં આવતા ચોંકાવનારી હકકીત બહાર આવી છે.એ-ડિવિઝન વિસ્તારમાં આવેલી એક આંગડિયા પેઢીમાં ભરત નામનો શખ્સ 5 લાખ રૂપિયા અન્ય શહેરમાં આપવા માટે આપી ગયો હતો. જ્યારે આ તમામ નોટ નકલી હોવાનું જણાતા આંગડિયા પેઢીના સંચાલકે એ-ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો હતો.

ત્યારબાદ જે વ્યક્તિ 5 લાખ રૂપિયાની જાલીનોટ આપી ગયો હતો. તેને પોલીસ મથકે બોલાવીને પ્રાથમિક પુછપરછ કરતા છેલ્લા કેટલાક દિવસોમાં રાજકોટ શહેરની 10થી 12 આંગડિયા પેઢીમાં 35 લાખ રૂપિયાન જાલીનોટો ઘૂસાડી દઈ અન્ય જે શહેરમાં આંગડિયા મારફત રૂપિયા મોકલાવ્યા હોય ત્યાંથી રોકડી લેવામાં આવતું હોવાનું સ્પષ્ટ થયું હતું.

જેથી ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ એ-ડિવિઝન પોલીસ મથક દોડી ગયા હતા. અને પોલીસ કસ્ટડીમાં રહેલા ભરત નામના શખ્સની આકરી પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો. અને છેલ્લા કેટલાક દિવસોમાં 35 લાખની જાલીનોટ આંગડિયા મારફતે ઘૂસાડી દીધી હોવાની કબુલાત આપી હતી.આખું નેટવર્ક કેવી રીતે ચાલતું હતું અને તેમાં કોણ-કોણ સંડોવાયા છે તે અંગે પણ ભરતે વટાણા વેરી નાખતા એક બાદ એક અન્ય છ શખ્સને સકંજામાં લેવાયા હતા.આ તમામની પુછપરછ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે પુના નો કમલેશ નામનો શખ્સ રાજકોટ આવી ભરતને નકલી નોટો આપી જતો હતો જે નકલી નોટ ભરત જુદા જુદા આંગડિયા મારફત જુદી જુદી જગ્યાએ મોકલાવી નકલી નોટોને અસલી નોટોમાં ફેરવતો હતો. જેમાં તેઓ જે રકમ જમા કરાવતા તેમાં અડધી જ નકલી નોટો આપતા હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.

જાલીનોટનુ કમિશન દેશ વિરોધ્ધ પ્રવૃતિ માટે અને ત્રાસવાદીઓને આર્થિક મદદ થતી હોવાથી 2016માં રુા.500 અને 1000ના દરની નોટ રદ કરવામાં આવી છે. ત્યારે દેશના અર્થતંત્રને ખોખલુ કરતા ભરત જેવા શખ્સો માત્ર કમિશન મેળવતા હોય છે. તે કોના દોરી સંચારથી આ પ્રવૃતિ કરી રહ્યો તે અંગેની વિગતો બહાર લાવવી જરુરી છે. રાજુલાના ભરતની સાથે બાબરાના તેજશ લોહાણા અને રાજકોટના સરદારજી સહિત પાંચ શખ્સોની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે તમામની અટકાયત કરી છે.

રાજુલાના ભરતે રાજકોટનના યાજ્ઞિક રોડ પર આવેલી પીએમ આંગડીયા પેઢીમાં અને સોની બજારની અન્ય એક આંગડીયા પેઢીમાં જાલીનોટ જમા કરાવ્યાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે અત્યાર સુધીમાં તેની પાસેથી 230 જેટલી 500ના દરની જાલીનોટ કબ્જે કરી છે. ભરતની ગેંગ દ્વારા જામમનગરની એક બેન્કમાં પણ જાલીનોટ ધાબડી દીધાનું બહાર આવતા પોલીસની એક ટીમ જામનગર પહોચી ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.