Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગર તાલુકાના કનસુમરા ગામના પાટીયા પાસે એક ઝુપડામાં ગઈ રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. એક પરપ્રાંતિય યુવાને પોતાની પત્ની પર ચારિત્ર અંગે શંકા કુશંકા કરી માથામાં લાકડાના હાથા વાળા કુહાડા ના ચાર ઘા ઝીંકી દઈ હત્યા નીપજાવી હતી, ત્યારબાદ પોતે પણ ઈલેક્ટ્રીક થાંભલામાં સુતર ની દોરી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં ભારે અરેરાટી ફેલાઈ છે. આ બનાવ બાદ પોલીસ તંત્ર દોડતું થયું છે.
આ બનાવ ની વિગત એવી છે કે જામનગર નજીક કનસુમરા ગામમાં એક ખાનગી પ્લોટ માં ઝૂંપડું બાંધીને રહેતા અને મૂળ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના હીડીબડી ગામના વતની નેભાભાઇ કલાભાઈ ખરાડી નામના ૪૮ વર્ષના પરપ્રાંતીય શખ્સે પોતાની પત્ની ના માથા પર કુહાડાના ચાર જેટલા પ્રહાર કરી દઈ હત્યા નિપજાવી હતી.

Advertisement

લોહીથી લથબથ મહિલાનું ઘટના સ્થળેજ મૃત્યુ નિપજ્યું હતું, અને બનાવ હત્યામાં પલટાયો હતો. ત્યારબાદ હત્યારા પતિ નેવાભાઈ કલાભાઈ ખરાડી, કે જે બનાવથી થોડે દૂર ઇલેક્ટ્રીક થાંભલામાં ખાટલો બાંધવા માટેની સુતર ની દોરી થી ગળાફાંસો ખાઈ લઇ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.
જેથી આ ગોઝારી ઘટનામાં પતિ પત્ની બંનેના મૃત્યુ નીપજ્યા હતા. સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર વિજય નેવાભાઈ ખરાડીએ પોલીસને જાણ કરતા પંચકોશી બી. ડિવિઝનના પી.એસ.આઇ.એમ.વી. મોઢવાડિયા તેઓની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને એક પછી એક બંને મૃતદેહોનો કબજો સંભાળ્યો હતો, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે વિજય ખરાડીની ફરિયાદના આધારે આરોપી નેવાભાઈ કલાભાઈ ખરાડી સામે આઇપીસી કલમ ૩૦૨ અને જીપીએટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે, અને હત્યામાં વપરાયેલા લોખંડનો કુહાડો વગેરે કબજે કર્યા છે.
પોલીસને પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી નેવાભાઈ કે જે પોતાની પત્ની પર ચારિત્ર્ય અંગેની શંકા કુશંકા કરતો હતો, તેની પત્નીને વતનમાં અન્ય કોઈ પુરુષ સાથે આડા સંબંધો છે, તેવી શંકા કરીને અવારનવાર પત્ની સાથે ઝઘડો કરતો હતો. અને જે બાબતનું મનદુઃખ રાખીને ગઈ રાત્રે હત્યા ની ઘટનાને અંજામ આપી દીધો હતો. ત્યારબાદ પોતે પણ જીવન લીલા સંકેલી લીધી હતી.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.