Abtak Media Google News

સાગર સંઘાણી

Advertisement

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વાર 7 મેના રોજ ‘તલાટી મંત્રી’ની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપણા હેઠળ જિલ્લા વિકાસ અધિકારી , જિલ્લા પોલીસ વડા , અધિક નિવાસી કલેક્ટર તેમજ જિલ્લા શિક્ષણાધિકારી સાથે ‘જિલ્લા પરીક્ષા સમિતિ’ ની રચના કરવામાં આવી છે. જામનગર શહેરના તથા તાલુકાના મળીને કુલ 70 શાળા / કોલેજોના 84 યુનિટના 794 વર્ગ ખંડોમાં કુલ 23, 820 ઉમેદવારો પરીક્ષા આપશે.

અન્ય જિલ્લામાંથી પરીક્ષા આપવા આવતા યુવાનોનો જુસ્સો વધે અને તેઓને કોઇ અગવળતા ન પડે તે માટે અનેક સેવાકીય સંસ્થાઓ પણ આગળ આવી છે, જેમાં પરીક્ષા આપવા આવતા ઉમેદવારો માટે રહેવા-જમવા માટેની સુવિધા આપવામાં આવશે. આવી જ એક સંસ્થા જામનગરમાં રહેલી બૌદ્ધિસત્વ ફાઉન્ડેશન છે.

જામનગરમાં એજ્યુકેશન ક્ષેત્રે બૌદ્ધિસત્વ ફાઉન્ડેશન કાર્યરત

બૌદ્ધિસત્વ ફાઉન્ડેશન નામની સંસ્થા જામનગરમાં એજ્યુકેશન ક્ષેત્રે છેલ્લા અનેક વર્ષથી કાર્યરત છે, જેમાં તેઓ જરૂરિયાતમંદ બાળકો માટે શૈક્ષણિક અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાનો માટે જરૂરી તમામ સુવિધા પુરી પાડી રહ્યાં છે. આ વખત તલાટીની પરીક્ષા આપવા માટે અન્ય જિલ્લામાંથી જામનગર આવતાં ઉમેદવારો માટે બૌદ્ધિસત્વ ફાઉન્ડેશન દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેમાં ઉમેદવારો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા હશે. આ માટે ઉમેદવારોએ શંકરટેકરીમાં સિદ્ધાર્થ કોલોનીમાં આવેલી વણકર સમાજની વાડીમાં સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. તમામ સમાજના લોકો માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે આ માટે ઉમેદવારોએ વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. 9979891947 નંબર પર સંપર્ક કરવાનો રહેશે.

આ પરીક્ષા માટે પરીક્ષા કેંદ્રો પર કેંદ્ર સંચાલક, સુપરવાઈઝર, ઈન્વિજીલેટર, ક્લાર્ક, પટાવાળા અને સી. સી. ટી. વી. સંચાલક તરીકે 1729 જેટલો સ્ટાફ ફરજ બજાવશે. જે શાળા/કોલેજો પાસે પૂરતો સ્ટાફ ઉપલબ્ધ ના હોય, તો તેવા કેંદ્રોને સરકારી શિક્ષકો પૂરા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત, દરેક કેંદ્ર પર બોર્ડ પ્રતિનીધિ તથા સી. સી. ટી. વી. ઓબ્ઝર્વર તરીકે 180 થી વધુ સ્ટાફને મુકવામાં આવ્યો છે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ના થાય તે માટે ડાયરેક્ટર ડી. આર. ડી. એ. ને મુખ્ય ઓબ્ઝર્વર તરીકે અને તાલુકાના મામલતદારોને તાલુકા ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરેલા છે. જેઓ તમામ પરીક્ષા કેંદ્રો ઉપર ચાંપતી નજર રાખશે.

તમામ પરીક્ષા કેંદ્રો સી. સી. ટી. વી. થી સજ્જ છે. જે સંસ્થાઓ પાસે સી. સી. ટી. વી. ના હોય, તો તેઓને એજન્સી પાસેથી ભાડેથી સી. સી. ટી. વી. મેળવીને કામચાલઉ ફીટીંગ કરી આપવામાં આવ્યા છે. પરીક્ષાલક્ષી તમામ કામગીરી સી. સી. ટી. વી. / વિડીયોગ્રાફી સર્વેલન્સ હેઠળ કરવામાં આવશે. પરીક્ષાલક્ષી સીલબંધ સાહિત્ય જિલ્લા મથકે હથિયારધારી પોલીસ / એસ. આર. પી. ની દેખરેખ હેઠળ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે. આ સાહિત્યને પરીક્ષા કેંદ્રો સુધી પહોંચાડવા માટે 21 રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં વર્ગ- 1/2 કક્ષાના અધિકારી સાથે એક આસિસ્ટન્ટ, હથિયારધારી પોલીસ અને વિડીયોગ્રાફર મુકેલા છે.

પરીક્ષા દરમિયાન કાયદો- વ્યવસ્થાની જાળવણી કરવા માટે જિલ્લા પોલીસ વડાના નેતૃત્વ હેઠળ DySPઓ, P.I. / P.S.I., પરીક્ષા કેંદ્રો ઉપર ઉમેદવારોની ચકાસણી અને કેંદ્ર બહાર બંદોબસ્ત રાખવા તથા પેટ્રોલીંગ માટે હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, મહિલા કોન્સ્ટેબલ અને હોમગાર્ડ/TRB પોલીસ કર્મીઓ ફરજ બજાવશે. ઉમેદવારોએ પરીક્ષા ખંડમાં મોબાઈલ, સ્માર્ટ વોચ કે અનઅધિકૃત સાહિત્ય લઈ જવા પર પ્રતિબંધ, પરીક્ષા કેંદ્રની આસપાસ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા, પરીક્ષા કેંદ્રની આસપાસ એકઠા થવા ઉપર પ્રતિબંધ, ખોદકામ કરવા ઉપર પ્રતિબંધ માટેના જાહેરનામાં કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.

પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો ખોરવાય નહીં, તે માટે વીજ વિભાગને સુચના આપેલી છે. તેમજ અન્ય જિલ્લાના ઉમેદવારોને જામનગર મુકામે પરીક્ષા કેંદ્ર સુધી પહોંચવામાં અને પરત જવામાં કોઈ અગવડ ના પડે, તે માટે એસ.ટી. વિભાગને વધારાની બસો ગોઠવવા સુચના આપેલી છે. તમામ પરીક્ષા સ્ટાફને જિલ્લા મથકે ગત તા. 29 એપ્રિલના રોજ સઘન તાલીમ આપવામાં આવી હતી. તેમજ તા. 04 મે ના રોજ સમગ્ર રાજ્યમાં બાયસેગના માધ્યમથી ઓનલાઈન સંયુક્ત તાલીમ આપવામાં આવી છે.

ગત તા. 27 એપ્રિલથી લઈને પરીક્ષા દિવસ તા. 07 મે સુધી જિલ્લા પંચાયત મથક ઉપર Help Line Center No. 0288- 2672466 શરૂ કરેલો છે. જેના થકી, ઉમેદવારોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. આમ, જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે મહેસૂલ, પંચાયત અને પોલીસ વિભાગ સંયુક્ત રીતે સજ્જ થયેલું છે, અને જિલ્લા કક્ષાએથી પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

આ તકે, ઉમેદવારોને કોઈ અનધિકૃત વ્યક્તિઓ પાસેથી પરીક્ષાલક્ષી સાહિત્ય નહીં મેળવવા તાકીદ કરવામાં આવે છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા આવી ગેરરીતિઓ માટે કડક કાયદો પણ ઘડવામાં આવેલો છે. તેમ જિલ્લા વિકાસ અધિકારી, જામનગરની યાદીમાં જણાવવમાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.