Abtak Media Google News

જામનગરના એક ભોઈ યુવાન પર છૂટાછેડા મેળવવાની બાબતે પત્ની, પત્નીના પ્રેમી સહિતના ચાર વ્યક્તિઓએ હુમલો કર્યાની તેમજ ગોકુલનગરમાં એક મહિલાને મકાન ખાલી કરવાનું કહી સાત મહિલાઓએ મારકૂટ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. ઉલ્લેખનીય છે કે, ભોગ બનનાર યુવાને થોડા વર્ષ પહેલા જ પ્રેમલગ્ન કર્યા હતા.

Advertisement

જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં આવેલા ભોઈવાડામાં રહેતા રાહુલ અશોકભાઈ મહેતા નામના ભોઈ યુવાન શનિવારે બપોરે ત્રણેક વાગ્યે શાક માર્કેટ નજીક બેઠા હતા ત્યારે ત્યાં ધસી આવેલા તેના પત્ની બંસરીબેન મહેતા તેમજ કિશન જોષી અને બે અજાણ્યા શખ્સોએ છરી તેમજ બેઝબોલના ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘવાયેલા રાહુલને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો

જ્યાંથી તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ રાહુલના પત્ની બંસરીબેનને કિશન જોષી નામના શખ્સ સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેણીએ રાહુલ પાસેથી છૂટાછેડાની માગણી કરી હતી તે બાબતનો ખાર રાખી હુમલો કરાયો છે. ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષ પહેલા રાહુલ તથા બંસરીએ પ્રેમલગ્ન કર્યા હતા.

લાલપુર તાલુકાના જોગવડ ગામના નાગજીભાઈ દુલાભાઈ વાનરિયા ગઈકાલે મેઘપર પાસે ભરાતી ગુજરી બજારમાં શાક લેવા ગયા હતા ત્યારે બાજુમાં જ શાકની ખરીદી કરતા મેઘપરના લીપસિંહ જાલમસિંહને તેઓનો ખભ્ભો અડકી જતાં નાગજીભાઈને ધોકાવી નંખાયો છે. પોલીસે લીપસિંહ સામે ગુન્હો નોંધ્યો છે.જામનગરના ગોકુલનગર નજીકના મુરલીધરનગરની શેરી નં.૮માં રહેતા ભાવનાબેન સંજયભાઈ ખુંટ નામના મહિલાને ગોકુલનગરમાં રહેતા જયશ્રીબેન વિનોદભાઈ નકુમ, દેવાંગી વિનોદભાઈ નકુમ, જયશ્રીબેનના માતા, બહેન તથા ત્રણ અજાણી મહિલાઓએ મકાન ખાલી કરવાનું કહી ઢીકાપાટુ વડે માર માર્યાની તેમજ ભાવનાબેનનો માલસામાન ઘરની બહાર ફેંકી તેમાં નુકસાની કર્યાની સિટી-સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.