Abtak Media Google News

ચોકી ગામની સીમમાં રાતવાસો કરવા રોકાયેલા માલિકના ઘેટા બકરા રાત્રીનાં પોતાની મેળે ચાલતા થયા હતા: રાત્રીનાં સમયે રખેવાળી પોલીસે કરી

જુનાગઢ પોલીસે હાઈવે રોડ ઉપરથી રેઢા મળી આવેલ ઘેટા બકરાને તેના માલિકને શોધી, સોંપી, કપરા સંજોગોમાં મદદ કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ  પોલીસે સાર્થક કર્યું હતું.

જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.યુ.સોલંકી સહિતની ટીમ સાબલપુર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં તેમજ હાઈવે ઉપર લોક ડાઉન સંદર્ભે પેટ્રોલિંગમાં હતા દરમિયાન ખેડૂત પોલી પ્લાસ્ટવાળા ભાવેશ ભાઈ લાખાણી એ જાણ કરી કે, હાઈવે રોડ ઉપર આશરે ૨૦૦ જેટલા ઘેટા બકરા કોઈ માલિક વગર રેઢા જૂનાગઢ તરફ આવી રહયા છે.

જેથી જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.યુ. સોલંકી, જયેશભાઇ, ખેડૂત પોલી પ્લાસ્ટના મલિક સહિતની ટીમ દ્વારા ત્યાં પહોંચી, ઘેટા બકરાને વડાલ ચોકડી ખાતે એકબાજુ સાઈડ ઉપર રાખી, રાત્રીના સમયે ઘેટાં બકરાની રખેવાળી પોલીસ દ્વારા કરવામાં આવેલ હતી.

આ ઘેટા બકરા રેઢા ક્યાંથી આવેલ છે…? તે બાબતે પોલીસ દ્વારા  ગામોમાં પેટ્રોલિંગ ફરી, તપાસ કરતા, ચોકી, અકાળા, કાથરોટા રોડ ઉપરથી ઘેટા બકરાના રખેવાળ સુરાભાઈ ભોજાભાઈ મોરી રબારી રહે. સિંગજ તા. લાલપુર જી. જામનગર તથા શાર્દુલભાઈ ભોજાભાઈ મોરી રબારી પોતાના ઘેટા બકરા શોધતા રોડ ઉપરથી મળી આવેલ હતા.

આ બંને માલધારીઓને લઈને વડાલ ચોકડી ખાતે રાખવામાં આવેલ ઘેટા બકરા બતાવતા, પોતાના હોવાના ઓળખી બતાવેલ હતા. તથા ઘેટા બકરાના રખેવાળ સુરાભાઈ તથા શાર્દુલ ભાઈ રબારી એ પોતાના ઘેટા બકરા લઈને વાંઢે કુટુંબ કબીલા સાથે નીકળેલા હોઈ, ત્યારે ચોકી ગામની સીમમાં રાતવાસો રોકાયેલ હોઈ, થાકી જવાથી સુઈ ગયા હતા ત્યારે ઘેટા બકરા એની મેળે જ ચાલતા થયા હતા. રાત્રે પોતાની નીંદર ઉડતા, ઘેટા બકરા જોવામાં આવેલ ના હતા. જેથી, બને જણા ગભરાયા હતા અને શોધવા લાગેલ હતા. એ દરમિયાન પોલીસની મોબાઇલ મળતા, જીવમાં જીવ આવ્યો હતો. પોતાના ઘેટા બકરા મળી આવતા, પોલીસ દ્વારા તેઓને ઘેટા બકરાનો કબ્જો સોંપેલ હતો.

જુનાગઢ પોલીસની સતર્કતાના કારણે ચોકી ગામની સીમમાંથી નીકળી ગયેલ ઘેટા બકરાના મૂળ મલિકને જૂનાગઢ પોલીસે શોધી,  બે કલાક સુધી આશરે ૨૦૦ જેટલા ઘેટા જેની કિંમત આશરે ૪ થી ૫ લાખ જેટલી થાય તેને સાચવી, સાહિષ્ણુતાભરી કાર્યવાહી કરી, પરત સોંપી, મદદ કરવામાં આવેલ હોઈ, ઘેટા બકરાના રખેવાળો ભાવવિભોર થઈ ગયેલ અને સુરાભાઈ અને શાર્દુલ ભાઈ રબારીએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે, જો પોલીસ દ્વારા ઘેટા બકરાને રોકવામાં આવેલ ના હોત તો, પોતાની મરણ મૂડી ગુમાવી, પોતે રોડ ઉપર આવી જાત.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.