Abtak Media Google News

ઓઝત છલકાતા 300 ગામોની પીવાના પાણીની સમસ્યા હલ થઈ

સોરઠના પાટનગર જુનાગઢ પર મેઘરાજો છેલ્લા 13 દિવસથી મહેરબાન થતાં જુનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા 3 ડેમોમા એક વર્ષ  ચાલે તેટલા પાણીના જથ્થાની આવક થતા હવે લગભગ જૂનાગઢનું જળસંગ કટ દૂર થઈ જવા પામ્યુ છે. આ સિવાય જૂનાગઢ જિલ્લાના 300 ગામોને પીવાની પૂરું પાણી પૂરું પાડતો ઓજત – 2 ડેમ ભરાઈ જવા આવ્યો છે જેને કારણે 300 ગામોની પીવાની અને સિંચાઈના પાણીની ચિંતા ઓછી થતા સર્વત્ર ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

Advertisement

જુનાગઢ જિલ્લામાં અષાઢી બીજથી સતત 13 દિવસ સુધી હળવોથી લઈને ભારે વરસાદ પડતા જુનાગઢ મહાનગર સહિત સમગ્ર જિલ્લો પાણીથી તરબતર બન્યો છે. જિલ્લાના તમામ બોર, તળાવ અને કૂવાના પાણી ઊંચા આવવાની સાથે જિલ્લાના 6 જેટલા ડેમો અવર ફલો થયા છે તો જુનાગઢ શહેરને પાણી પૂરા પાડતા 3 ડેમોમાં એક વર્ષ ચાલે તેટલા પાણીના જથ્થાની આવક થઈ જવા પામી છે. જેને લઈને જુનાગઢ શહેરની પીવાના પાણીની ચિંતા મોટા ભાગે હળવી થઈ છે.

જુનાગઢ શહેરને દરરોજ 10 એમએલડી પાણી પૂરા પાડતા હસનાપુર ડેમ પૂરી સપાટી પર ભરાય તે માટે હવે માત્ર 6 ફૂટ જ બાકી છે અને હજુ વરસાદનો પહેલો રાઉન્ડ જ વરસ્યો છે. ત્યારે સીઝનના બાકીના વરસાદ દરમિયાન 33 ફૂટની સપાટી ધરાવતો હસનાપુર ડેમ પણ સારા વરસાદ સાથે છલકાઈ જશે, ત્યારે જુનાગઢને 10 એમએલડી પાણી પૂરું પાડતો હસનપુર ડેમ આ વર્ષે પણ જુનાગઢ વાસીઓને પાણી વગર નહીં રાખે તેવું સિંચાઈ વિભાગ દ્વારા આશાવાદ દર્શાવાય રહ્યો છે.

આ સાથે સતત વરસતા વરસાદને કારણે જૂનાગઢને દરરોજ 15 એમએલડી પાણી પૂરું પાડતો આણંદપુર ડેમ હાલમાં ઓવરફ્લો થઈ રહ્યો છે. તો દરરોજ 2 એમએલડી જુનાગઢ મહાનગરને પાણી આપતા વિલિંગડન ડેમ પણ 34 ફૂટે  ઓવર ફલો થઈ રહ્યો છે. આમ જુનાગઢને પુરા પાડતા 2 ડેમો અવર ફ્લો થયા છે. જ્યારે 1 ડેમ ભરાવાને હવે માત્ર 6 ફૂટ બાકી છે ત્યારે જુનાગઢ મહાનગરની પાણી સમસ્યા પહેલા વરસાદમાં જ મોટાભાગે હલ થઈ જવા પામી છે. આ સાથે જિલ્લાના 300થી વધુ ગામોને પીવાનું પાણી ઉપરાંત 4918 હેક્ટરમાં પિયત માટે ખેડૂતોને પાણી પુરૂ પાડતા જિલ્લાનો સૌથી મોટો ઓઝત-2 ડેમ મેઘરાજાના પ્રથમ રાઉન્ડમાં જ 80 ટકા જેટલો ભરાઈ જતા ડેમના ગઈકાલે 7 દરવાજા ખોલવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.