Abtak Media Google News

આરંભડાની યુવતીની સગાઇ થઇ ગઇ હતી: બાઇક પર ખંઢેરી પાસે આવી ટ્રેન નીચે પડતું મૂકી જીવાદોરી ટુંકાવી

રાજકોટના ભાગોળે આવેલા ખંઢેરી ગામે રેલવે ટ્રેક પાસે ગઇકાલે સવારે આરંભડાના પ્રેમી પંખીડાએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યાની ઘટના પોલીસ ચોંપડે નોંધાઇ છે. મૃતક પ્રેમીકાની સગાઇ થઇ ગઇ હતી. બંને બાઇક પર આવી ખંઢેરી પાસે આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામ્યો છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખંઢેરી પાસે રેલવે ટ્રેક નજીક એક યુગલે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતાં રેલવે પોલીસ મથકનો સ્ટાફ તાબડતોડ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે તપાસ હાથ ધરતા મૃતકો આરંભડા ગામના મહેન્દ્રસિંહ ઇશ્ર્વરસિંહ વાઘેલા (ઉ.વ.22) અને સુમીબેન માણસીભાઇ કેર (ઉ.વ.19) હોવાનું જાણવા મળતાં પોલીસે પરિવારજનોને જાણ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક મહેન્દ્રસિંહ વાઘેલા અને સુમીબેન કેર બંને પ્રેમ સંબંધમાં હોવાનું સામે આવ્યું છે. જેમાં મૃતક સુમીબેનની બીજે ક્યાંક સગાઇ થઇ ગઇ હતી. જેથી બંને એક નહિં થઇ શકે તેવા ડરથી બાઇક પર નીકળી ગયા હતા. મહેન્દ્રસિંહ વાઘેલા અને સુમી કેરે ખંઢેરી રેલવે ટ્રેકથી એક કિલોમીટર દૂર બાઇક પાર્ક કરી ટ્રેનના પાટા તરફ ગયા હતાં અને ત્યાંથી નીકળેલી ટ્રેન હેઠળ પડતું મૂકી બંનેએ આપઘાત કરી લીધો હતો.

મૃતક મહેન્દ્રસિંહ વાઘેલા પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે તેમજ યુવાન બે ભાઇ, બે બહેનમાં નાનો હતો. જ્યારે યુવતી સુમીબેન કેર ચાર બહેન, એક ભાઇમાં નાની હોવાનું અને તેના પિતા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી બંનેના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.