Abtak Media Google News

શિક્ષણ, કૃષિ અને  સ્વાસ્થ્યની દિશામાં ‘ખોડલધામ ટ્રસ્ટ’ના ઉમદા પ્રયાસો

અમરેલીમાં શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું સર્વે સમાજની દિકરીઓ, અને મહાનુભાવોનાં હસ્તે ભૂમિપૂજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ,

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયા સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઈતિહાસનો સુવર્ણ દિવસ એટલે કે 21 જાન્યુઆરી.. આ ઐતિહાસિક દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સમાજસેવાની સુવાસ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે હંમેશા પ્રયાસો કરવામાં આવતા હોય છે. ત્યારે આ વર્ષે 21 જાન્યુઆરી 2024ના પાવન દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ શહેરથી 20 કિલોમીટર દૂર પડધરી તાલુકાના અમરેલી ગામે સર્વ સમાજના લાભાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. દેશના વડાપ્રધાન   નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યૂઅલ ઉપસ્થિતિમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન  નરેશભાઈ પટેલની હાજરીમાં શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનો ભવ્યાતિભવ્ય ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો.

T2 39

ગઈકાલે સવારે 7 કલાકે લોકડાયરા સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. લોકડાયરામાં સમાજના 27 જેટલા કલાકારોએ હાસ્યરસ, સાહિત્યરસ અને ભજનની રમઝટ બોલાવી હતી. ત્યારબાદ   મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાનું   નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટીની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરાયું હતું. દિપ પ્રાગટ્ય બાદ દીકરીઓ દ્વારા ગણેશ સ્તુતિની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

આ ભૂમિપૂજન સમારોહમાં હાજરી આપવા ખોડલધામના આંગણે પધારેલા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાનું  નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓ દ્વારા સન્માનપત્ર અને પુષ્પમાળા પહેરાવીને સન્માન કરાયું હતું. આ સાથે જ સમારોહમાં ઉપસ્થિત વિવિધ મંચસ્થ મહેમાનોનું પણ ટ્રસ્ટીશ્રીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના આ ભૂમિપૂજન સમારોહમાં સર્વ સમાજની દીકરીઓના હસ્તે કરવામાં આવેલા ભૂમિપૂજનની વીડિયો ક્લિપ દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ ધ્રોલ ક્ધયા છાત્રાલયની બાળાઓ દ્વારા સરસ મજાની મા ખોડલના રથ સાથેની લાઈવ પ્રસ્તુતિ રજુ કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન સમારોહમાં   વડાપ્રધાન   નરેન્દ્રભાઈ મોદી  વર્ચ્યૂઅલી જોડાયા હતા. તેમણે વર્ચ્યૂઅલી સંબોધનમાં શ્રી ખોડલધામ મંદિરે રૂબરૂ આવવાની ઈચ્છા પ્રગટ કરી હતી. વડાપ્રધાનએ કહ્યું કે, આ વિશેષ અવસરે ખોડલધામની પાવન ભૂમિ અને મા ખોડલના ભક્તો સાથે જોડાવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. જનકલ્યાણ અને સેવાના ક્ષેત્રમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટે આજે એક વધુ મહત્વનું પગલું ભર્યું છે. શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્સ સેન્ટરના નિર્માણ કાર્ય માટે વડાપ્રધાનશ્રીએ ટ્રસ્ટને શુભકામના પાઠવી હતી અને જણાવ્યું હતું કે, આજથી 14 વર્ષ પહેલા શ્રી ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના વખતે લેઉવા પાટીદાર સમાજે સેવા, સંસ્કાર અને સમર્પણનો સંકલ્પ લઈને ટ્રસ્ટની સ્થાપના કરી હતી. ત્યારથી લઈને આજ સુધી શ્રી ખોડલધામ ટ્રસ્ટે સેવાકાર્યોથી લાખો લોકોનું જીવન બદલવાનું કામ કર્યું છે. શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થ્ય એમ તમામ દિશામાં આપના ટ્રસ્ટે સારું કાર્ય કરવાનો સતત પ્રયાસ કર્યો છે. વડાપ્રધાનએ જણાવ્યું કે મને વિશ્વાસ છે કે અમરેલીમાં બનવા જઈ રહેલી કેન્સર હોસ્પિટલ સેવા ભાવનાની મિશાલ બનશે. આ કેન્સર હોસ્પિટલના નિર્માણથી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને ફાયદો મળશે. અંતમાં વડાપ્રધાનએ કહ્યું કે, અમરેલી ગામે બનવા જઈ રહેલી કેન્સર હોસ્પિટલ સર્વ સમાજની સેવાનું ઉદાહરણ બનશે. સાથે જ આ કાર્ય બદલ શ્રી ખોડલધામ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

T1 81

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી  મનસુખભાઈ માંડવિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, કેન્સરના દર્દીઓ દિવસે દિવસે વધી રહ્યા છે. આ રોગ થવા માટે વ્યસન ઘણા અંશે જવાબદાર હોય વ્યસનમુક્ત બનીને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા તેઓએ હાકલ કરી હતી. મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, સ્વસ્થ સમાજ જ વિકસિત ભારતનું નિર્માણ કરી શકે.   નરેશભાઈ પટેલ અને સમગ્ર ખોડલધામની ટીમને અભિનંદન પાઠવતા શ્રી મનસુખભાઈ માંડવિયાએ કહ્યું કે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેન્સરના દર્દીઓને ઉત્તમ સારવાર મળે તે માટેનો આ પ્રયાસ સરાહનીય છે. આરોગ્યનો આ મહત્વનો પ્રકલ્પ શરૂ કરવા બદલ સમગ્ર ટીમને હું અભિનંદન પાઠવું છું. આરોગ્યની સેવા એ ઉત્તમ સેવા છે. આ ભૂમિપૂજન સમારોહમાં સમાજના દાતાઓ, શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન- વેરાવળ સોમનાથના ટ્રસ્ટીઓ, રાજકીય, સામાજિક અગ્રણીઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, સહિત બહોળી સંખ્યામાં મહાનુભાવો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્સર હોસ્પિટલનું ભૂમિ પૂજન કરીને અમે મૉં સમક્ષ લીધેલો એક સંકલ્પ પૂર્ણ  કર્યો: નરેશ પટેલ

શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે ખોડલધામને સાત વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. 21-1-2017ના રોજ મા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ખોડલધામના સંકલ્પ પૈકીનો એક સંકલ્પ એટલે આરોગ્ય.. હાલ દેશ અને વિશ્વમાં માનવજાતિને સૌથી વધુ સ્પર્શનાર રોગ કેન્સર છે. ત્યારે ખોડલધામે નિર્ણય લીધો કે એક ખૂબ જ અદ્યતન અને સર્વ સમાજ માટે કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવું. ત્યારે રાજકોટ નજીક 42.5 એકર જગ્યામાં સર્વ સમાજ માટે એક છત નીચે તમામ નિદાન અને સારવાર મળે તે માટેની કેન્સર હોસ્પિટલનું આજે ભૂમિપૂજન કરાયું છે. આ પ્રસંગે મા ખોડલને પાર્થના કરું કે આ કેન્સર હોસ્પિટલના નિર્માણ કાર્યમાં ગુજરાત સરકાર, ભારત સરકાર અને સૌ લોકોનો સાથ સહકાર મળે અને ઝડપથી આ કેન્સર હોસ્પિટલ પૂર્ણ કરી લોકોની સેવામાં અર્પણ કરીએ.

ખોડલધામે સેવાકીય પ્રવૃત્તિથી જન સેવા એજ  પ્રભુ સેવાનો ધ્યેય સાકાર કર્યો: ભુપેન્દ્ર પટેલ

શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભગવાન રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠાના પૂર્વ દિવસે આસ્થાના કેન્દ્ર સમાન કાગવડની ધરા પર સ્થિત ખોડલધામ મંદિરનો સાતમો પાટોત્સવ આજે ઉજવાઈ રહ્યો છે. ગુજરાતનું એકમાત્ર મંદિર છે જેના પ્રવેશદ્વાર પર દરરોજ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે. દીકરીઓના હસ્તે કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થયું છે અને સમાજ સેવા માટે દાતાઓ દ્વારા દાનની સરવાણી અને જે પણ સેવા મળી રહી છે તે બધું જ માતાજીના આશીર્વાદના ફળ સ્વરૂપે મળી રહ્યું છે. ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલ અને ટીમ હવે આરોગ્યધામના પ્રેરક બન્યા છે તે આપણા સૌ માટે આનંદની વાત છે. ઈશ્વરીય મદદ મળે ત્યારે જ આવા ભવ્ય આયોજનો પાર પડતાં હોય છે. ખોડલધામ મંદિરે માત્ર પાટીદાર જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતના માઈ ભક્તોની આધ્યાત્મિક ચેતનાને નવી ઊર્જા આપી છે. ખોડલધામે સેવાકીય પ્રવૃત્તિથી જન સેવા એ જ પ્રભુ સેવાનો ધ્યેય સાકાર કર્યો છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.