Abtak Media Google News

ભાજપ આજે જુનાગઢ બેઠક માટે જયારે કોંગ્રેસ રાજકોટ અને પોરબંદર બેઠક માટે ફોર્મ ભરશે

ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે ત્રીજા તબકકામાં ૨૩મી એપ્રીલના રોજ યોજાનારા મતદાન માટે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ભાજપે સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકો પૈકી ૭ બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. આજે ભાજપ જુનાગઢ બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરશે જયારે કોંગ્રેસ રાજકોટ અને પોરબંદર બેઠક માટે નામાંકન દાખલ કરશે. ભાવનગર બેઠક માટે હજી કોંગ્રેસે ઉમેદવાર પણ જાહેર કર્યો નથી.

૨૩મી એપ્રિલના રોજ ગુજરાતની ૨૬ બેઠકો માટે યોજાનારી લોકસભાની સામાન્ય ચુંટણી માટે ગત ૨૮મી માર્ચના રોજ જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું હતું. કાલે બપોરે ૩:૦૦ વાગ્યા સુધી ચુંટણી લડવા ઈચ્છુક વ્યકિત ઉમેદવારી ફોર્મ ભરી શકશે. ૫મી એપ્રીલ સુધી ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે ત્યારે ૮ એપ્રીલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. ભાજપે સૌરાષ્ટ્ર-કચ્છની તમામ બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે અને ૭ બેઠકો માટે ઉમેદવારોના ફોર્મ પણ ભરાઈ ગયા છે.

આજે ભાજપ બાકી રહેતી જુનાગઢ લોકસભા બેઠક માટે ફોર્મ ભરશે. જયારે કોંગ્રેસ રાજકોટ અને પોરબંદર બેઠક માટે ફોર્મ ભરશે. ભાવનગર બેઠક માટે હજી સુધી કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી. રાજયની ૨૬ બેઠકો માટે ૨૩મી એપ્રીલના રોજ મતદાન યોજાશે અને ૨૩મી મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. લોકસભા સાથે ઉંઝા, જામનગર ગ્રામ્ય, માણાવદર, હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક માટે પણ પેટાચુંટણી યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.