Abtak Media Google News

Table of Contents

હાલો રે મેળે

વર્ષ 1953  થી વિવિધ સંસ્થાઓ, 1984 થી રાજ્ય સરકાર અને 1986થી વહિવટી તંત્ર દ્વારા શાસ્ત્રી મેદાનમાં ત્રણ દિવસનો લોકમેળો યોજાવાની શરૂઆત : વધતા માનવ મહેરામણને કારણે 2003થી રેસકોર્સ ખાતે  પાંચ દિવસીય યોજાઇ છે મેળો

રંગીલા રાજકોટની આગવી ઓળખ એટલે પ્રતિવર્ષ  રેષકોર્ષ મેદાનમાં યોજાતો લોકમેળો. હૈયુ દળાય તેટલો માનવ મહેરામણ આ મેળામાં ઉમટી પડે છે. આખુ વર્ષ જન્માષ્ટમીએ સૌરાષ્ટ્રભરના લાખો લોકો લોકમેળાની રાહ જોતા હોય છે. ઉંચા ઉંચા ફજર, ફાળકા સહિતની રંગબેરંગી રાઇડસમાં બેસવાની મોજ. એક અંદાજ મુજબ દર વર્ષે દસેક લાખ લોકો આ મેળામાં મહાલે છે. નાના બાળકોથી માડીને શતાયુ નાગરિકો સુધીના દરેક રાજકોટવાસી માટે મેળો એ આખું વર્ષ રાહ જોવાનો પ્રસંગ છે જેમ શિયાળો એ આખા વર્ષની તાજગી ભરી લેવાની મોસમ છે, એમ પ્રત્યેક રાજકોટવાસી માટે મેળો એ આખા વર્ષની મસ્તી માણી લેવાનો અવસર છે.

Advertisement

રાજકોટના મેળાનો ઇતિહાસ જોઇએ તો 1953 સુધી શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા લોકમેળાનું શાસ્ત્રી મેદાનમાં ત્રણ દિવસ સુધી આયોજન કરવામાં આવતું હતું. ઉત્સવપ્રિય રાજકોટમાં જન્માષ્ટમીના પાવન પર્વે નિમિત્તે 1984માં રાજ્ય સરકારના યુવક સેવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ત્રણ દિવસ સુધી શાસ્ત્રી મેદાન ખાતે જ લોકમેળો યોજવામાં આવ્યો. આ આયોજનનું 1985માં પણ પુનરાવર્તન કરાયું ત્યાર બાદ, 1986થી સરકારી અધિકારીઓની વિવિધ સમિતિ દ્વારા આયોજનબધ્ધ રીતે લોકમેળો યોજાવાની શરૂઆત થઇ.આ લોક મેળો રાજકોટની ભાતીગળ ઓળખ બની ગયો છે.

શરૂઆતથી શાસ્ત્રી મેદાનમાં યોજાતો આ મેળો વધતા જતાં માનવ મહેરામણના લીધે વર્ષ 2003થી રેસકોર્સ ખાતે યોજવામાં આવે છે. મેળાના સમયગાળો ત્રણ દિવસથી વધારીને પાચ દિવસનો કરવામાં આવ્યો. લોકમેળાના આયોજનના આ વિકેન્દ્રીકરણની લીધે રાજકોટનો મેળો વહીવટી રીતે નમૂનેદાર બન્યો છે. કોરોનાની મહામારી દરમ્યાન જાહેર જનતાના હિતાર્થે 02 વર્ષ મેળો બંધ હતો. અતિ લોકપ્રિય આ લોકમેળામાં  અનેક જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળે છે.

આ સાંસ્કૃતિક લોકમેળામાં પ્લોટ તથા સ્ટોલની ફાળવણી ડ્રો અને હરરાજી જેવી સિસ્ટમથી પારદર્શક રીતે થાય છે. ચાલુ વર્ષે તા. 05 થી 09 સપ્ટેમ્બર, 2023 એમ પાંચ દિવસ સુધી યોજાનારા આ મેળામાં ધંધો રોજગાર કરવા માટે 355 સ્ટોલ અને પ્લોટની ફાળવણી લોકમેળા સમિતિ દ્વારા થઈ રહી છે. જે પૈકી રમકડાના 178 સ્ટોલ, ખાણીપીણીના 14 સ્ટોલ, મધ્યમ ચકરડીના 04 પ્લોટ, નાની ચકરડીના 48 પ્લોટ ડ્રો સિસ્ટમથી ફાળવવામાં આવ્યા છે. જયારે ખાણીપીણીના 37 સ્ટોલ, યાંત્રિકના 44 પ્લોટ, આઈ સ્ક્રીમના 16 પ્લોટ, ફૂટ કોર્ટના 03 પ્લોટ, 01 ટી કોર્નર પ્લોટ હરરાજીથી ફાળવવામાં આવ્યા છે. લોકમેળામાં લોકોના મનોરંજન માટે વિવિધતાસભર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આકર્ષક ડોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દર વર્ષે થતી લોકમેળાની નામકરણ પ્રણાલિ મુજબ આ લોકમેળાને અગાઉ જમાવટ, ગોરસ, અમૃત સહીતના લોકરૂચિના નામો અપાયા હતા. તાજેતરમાં ચાલુ વર્ષના લોક મેળા માટે 252 લોકોએ લોકમેળા માટેના નામો સૂચવ્યા હતા, જેમાં વિપુલ સંઘાણી નામના વ્યક્તિ દ્વારા સૂચવેલ રસરંગ નામની પસંદગી થઈ હતી.

મેળામાં સફાઈથી લઈ ફુડ ચેકીંગ સુધીની કામગીરી માટે ટિમો સજ્જ

મેળામાં સફાઈથી લઈ ફૂડ ચેકીંગ સુધીની કામગીરી માટે ટિમો સજ્જ રાખવામાં આવશે.લોકમેળામાં પાણી પુરવઠા, યાંત્રિક રાઇડ્સની ચકાસણી, ફાયર સર્વિસ, સફાઈ, આરોગ્ય, ફુડ એન્ડ ડ્રગ્સ, કાયદો વ્યવસ્થા સહિતની જુદીજુદી સમિતિઓ લોકમેળાના સુચારૂ આયોજન અને અમલીકરણની કામગીરી કરશે.

17 જગ્યાએ પાર્કિંગ અને 4 જગ્યાએ શૌચાલયની વ્યવસ્થા

લોકમેળામાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો આવે છે. જેથી લોકમેળા સમિતિ દ્વારા જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં પણ કોઈ કસર છોડવામાં નહિ આવે. ચાર જગ્યાએ જાહેર શૌચાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રભરના ગામડાઓમાંથી આવતી પ્રજા માટે જુદી જુદી 17 જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

જન્માષ્ટમીએ દર વર્ષે લોકમેળામાં ઉંચા ફજર ફાળકા સહિતની રંગબેરંગી રાઇડસમાં બેસવાની મોજ લેતા સૌરાષ્ટ્રભરના દસ લાખ લોકો

દરરોજ ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા બાદ જ યાંત્રિક રાઈડ શરૂ થઈ શકશે

લોકમેળામાં લોકોની સુરક્ષા માટે યાંત્રિક રાઇડ્સ ચકાસણી માટે દરરોજ ફિટનેસ સર્ટીફીકેટ મેળવ્યા બાદ જ રાઇડ્સ શરૂ કરવાની મંજુરી અપાશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ અનેક સ્થળોએ યાંત્રિક રાઈડની દુર્ઘટનાઓ સર્જાઈ છે. જેને પગલે તંત્ર આ મામલે વધુ એલર્ટ છે.

તા.5 થી 9 સપ્ટેમ્બર સુધી રાજકોટમાં યોજાનારા “રસરંગ લોકમેળા-2023” 355 રમકડાના, ખાણીપીણી, આઈસ્ક્રીમ, નાની ચકરડી, ફજર ફાળકા રાઇડસના સ્ટોલ-પ્લોટ

સુરક્ષા માટે 3 ડીસીપી, 10 એસીપી, 28 પીઆઇ અને 81 પીએસઆઈ ખડેપગે રહેશે

લોકમેળામાં કાયદો વ્યવસ્થાની જાળવણી માટે 03 ડી.સી.પી., 10 એ.સી.પી., 28 પી.આઈ., 81 પી.એસ.આઈ., 1067 પોલીસ, 77 એસ.આર.પી. સહીત કુલ 1266 જેટલા પોલીસ સ્ટાફ તૈનાત કરાશે. આ ઉપરાંત 100 ખાનગી સિક્યોરીટી ગાર્ડ ફરજ બજાવશે. જનતાની સુરક્ષા માટે 18 વોચટાવર ઉપર સીસીસી ટીવી કેમેરાથી વોચ રખાશે. લોકોની સુરક્ષા માટે રસરંગ લોકમેળાનો રૂ. 4 કરોડનો વીમો પણ લેવામાં આવેલ છે.

13 સંસ્થાઓને સેવાના ઉદ્દેશથી સ્ટોલની નિ:શુલ્ક ફાળવણી

લોકમેળા સમિતિ દ્વારા પ્રાદેશિક માહિતી કચેરીને પ્રદર્શન સ્ટોલ ફાળવાશે, જેમાં રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને પ્રદર્શિત કરવામાં આવશે. 13 જેટલી સંસ્થાઓને સમાજ ઉપયોગી માર્ગદર્શન માટે વિનામૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે. મહિલાઓ તથા નાના કારીગરોને રોજગારી તથા માર્કેટિંગનું પ્લેટફોર્મ પૂરું પાડવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહિલા આર્થીક વિકાસ નિગમ અને ઇન્ડેક્સ્ટ-સી ને સ્ટોલ ફાળવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.