Abtak Media Google News

એપોઇન્ટમેન્ટ વાળા અરજદારોને હડતાલની કોઈ જાણ ન કરાય હોવાને કારણે “પાસપોર્ટ ઓફિસ હાય હાય ” ના નારા સાથે ઠાલવાયો આક્રોશ

પાસપોર્ટ ઓફિસની કામગીરી અને ધક્કા ખવડાવવાની નીતિ સામે સવાલ ઉઠાવતા અરજદારો

એક તરફ વહીવટી ગતિશીલતા માટે સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તમામ સરકારી કામગીરીનું સંપૂર્ણપણે ડિજિટાઇઝેશન અને સિંગલ વિન્ડો કામગીરીની વ્યવસ્થાથી કોઈપણ અરજદારને મુશ્કેલી ન પડે તે માટે ખાસ તાકીદ રાખવામાં આવી છે   ગ્રામ્ય કક્ષાએ ઈ-ધરા માં વિવિધ પ્રકારના દાખલાઓ માં પણ વિલંબ ન થાય તે માટે તકેદારી રાખતા તંત્ર માટે રાજકોટમાં પાસપોર્ટ ની અરજી કરનાર અરજદારોની જાણે કોઈ કિંમત જ ન હોય  તેવો ઘાટ રાજકોટ પાસપોર્ટ ઓફિસમાં વારંવાર સર્જાય છે .

આજે જ પડતર પ્રશ્નોને લઈને પાસપોર્ટ ઓફિસના અધિકારી કર્મચારીઓએ’ અણધારી’ હડતાલ પાડી દેતા રાજ્યભરના દૂર દૂરથી આવતા અરજદારોને પાસપોર્ટ ઓફિસ એ આવ્યા બાદ રીતસર રજડી પડ્યા હતા અને કેન્દ્ર સરકાર અને પાસપોર્ટ ઓફિસના અધિકારી સામે આક્રોશ ઠાલવ્યો હતો.લોકોને આજરોજ પાસપોર્ટ ઓફિસ પોહચતા ખબર પડી કે આજે તો સાહેબોની’ હડતાલ’ છે .માત્ર આજ પુરતુ નહીં પરંતુ રાજકોટ પાસપોર્ટ ઓફિસનો સ્ટાફ કાયમી અરજદારો સાથે ઉધ્ધતાઇ ભર્યુ વર્તન કરી રહ્યા હોવાની ફરિયાદો સામે આવતી હોય છે.પાસપોર્ટ ઓફિસના ઉચ્ચ અધિકારીઓ આ મામલે રસ દાખવી લોકોની સમ્સયાનું સચોટ નિવારણ લાવે તે ખૂબ જ જરૂરી બન્યું છે.

કેન્દ્ર સરકારે તત્કાલીક લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવી જોઇએ

પાસપોર્ટ ઓફિસના અધિકારી અને કર્મીઓ જ્યારે હડતાલ પર છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા લોકોને હાલાકી ન પડે ,અરજદારોના સમય અને રૂપિયા બન્નેની બચત થાય તે માટે હડતાલ ના સમયે કામગીર ખોરવાઈ નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જ જોઈએ. હાલમાં ચાલી રહેલ અચોક્કસ મુદતની હડતાલ બાબતે લોકો હેરાનગતિ ભોગવી રહ્યા છે સરકારે આ મામલે તાત્કાલિક નિરાકરણ લાવી લોકોને પડતી તમામ મુશ્કેલીઓ દૂર કરવી જોઈએ

અરજદારોએ કહ્યું પાસપોર્ટ ઓફિસ માત્ર શોભાના ગાંઠિયા સમાન ,વારંવાર ધક્કાના રૂપિયા શું કેન્દ્ર સરકાર આપશે ??

રાજકોટ ના ગોંડલ રોડ પર આવેલી પાસપોર્ટ ઓફિસમાં રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી અરજદારો વેરિફિકેશન માટે આવે છે આજે જ નડિયાદ ,સુરત, ઉપલેટા, જામનગર સહિતના અરજદારોની પાસપોર્ટ ઓફિસે લાંબી કતારો લાગી હતી. અરજદારોને આજની એપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી પરંતુ પાસપોર્ટ ઓફિસના તમામ અધિકારી કર્મચારીઓ આજે હડતાલ પર હોવાથી ગુજરાત ભરમાં થી આવેલા  અરજદારોને ધક્કો થયો હતો .અણધારી હડતાલ થી અરજદારોમાં ભારે રોષ ફેલાયો હતો  રાજકોટ પાસપોર્ટ ઓફિસની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો. અરજદારોએ વ્યાપક પ્રમાણમાં ફરિયાદ કરી હતી કે પાસપોર્ટ માટે રાજકોટ કચેરી બે-ત્રણ ધક્કા ખવડાવે છે.

અને અરજદારને ઓછામાં ઓછા પાંચ થી દસ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે તેના માટે કોણ જવાબદાર? આજની હડતાલ અંગે પણ અરજદારોને કોઈપણ જાણ કરવામાં આવી નથી . એપોઇન્ટમેન્ટ અપાયેલા અરજદારોને ટેલીફોનિક જાણકારી કે મેસેજ કરવાની તસ્દી લેતા ભૂલી ગયેલા કચેરીના “બાબુ” કર્મચારીઓના કારણે અરજદારોને કિંમતી સમય અને આર્થિક ફટકો પડ્યો છે… પાસપોર્ટ ના અરજદારોને વિદેશ જવાની તૈયારી અને વ્યવસ્થા કરવાની હોય છે .ત્યારે કચેરી દ્વારા ખવડાવવામાં આવતા ધરમ ધક્કાથી લોકો પરેશાન થઈ ગયા છે. આજે પાસપોર્ટ ઓફિસમાં માત્ર ફિંગર પ્રિન્ટની કામગીરી ચાલુ છે.બાકી પાસપોર્ટ ઓફિસના તમામ અધિકારી કર્મચારીઓની હડતાલના કારણે અરજદારો રજડી પડ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.