Abtak Media Google News

વાડી વિસ્તારમાં ગાડી જઈ શકે એમ નહોતી પોલીસે બે કિલોમીટર પગે ચાલીને પાણીમાંથી લોકોને બહાર કાઢ્યા

બિપરજોય વાવાઝોડાંની ભયાનક પરિસ્થિતિ વચ્ચે પણ કચ્છ જિલ્લા વહીવટી તંત્રના કર્મનિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે, ત્યારે ગતરાત્રે બિપરજોય વાવાઝોડાના લેન્ડફોલ થકી માંડવી તાલુકાના દુર્ગાપુર વાડી વિસ્તારમાં ભારે વરસાદ થકી કમરસમા પાણી ભરાઈ જતા વાડી વિસ્તારમાં રહેતા મજૂર પરિવારો પર જીવનું જોખમ સર્જાયું હતું. જેની જાણ માંડવી પોલીસને થતા પોલીસ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી 16 લોકોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા.

માંડવી તાલુકામાં  વાવાઝોડાને પગલે ભારે વરસાદ થતાં દુર્ગાપુરના વાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે અહીંયા મજૂરી અર્થે રહેતા પરિવારો પર જીવનું જોખમ ઊભું થતાં આ અંગેની જાણકારી પોલીસ કંટ્રોલ રૂમમાં પરિવારજનોએ કરી હતી. જેની જાણ માંડવી પોલીસને થતા જ સવારના 10:00 વાગ્યે નવ બાળકો ચાર મહિલા અને ત્રણ પુરુષોને પોલીસે પાણીમાંથી બહાર કાઢ્યા હતા. માંડવી પી.આઈ એમ.જે. ચૌહાણે જણાવ્યું હતું કે, પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા જાણ કરવામાં આવતા સવારે 10 વાગ્યે માંડવી પોલીસની ટીમ રેસ્ક્યુ ઓપરેશન માટે પહોંચી ગઈ હતી .

પરંતુ સ્થળ ઉપર જતા માલુમ પડ્યું હતું કે, પરિવારો વાડી વિસ્તારમાં જ્યાં રહેતા હતા ત્યાં સુધી ગાડી જઈ શકે એમ નથી. જેથી મુખ્ય રોડ ઉપર જ ગાડીઓ ઉભી રાખીને બે કિલોમીટર સુધી પોલીસ કમરસમા પાણીમાં પગે ચાલીને પરિવારો સુધી પહોંચી હતી. અને તમામ પરિવારના લોકોને દોરડા અને અન્ય સાધનોની મદદથી મુખ્ય રોડ સુધી લઈ આવી  સહી સલામત શેલ્ટર હોમ સુધી પહોંચાડ્યા હતા. આ પરિવારજનોમાં કુલ 16 લોકોનો સમાવેશ થતો હતો. જેમાં નવ બાળકો ચાર મહિલા અને ત્રણ પુરુષ સામેલ હતા.w

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.