Abtak Media Google News

મોરબીમાં સતનપર રોડ પાસે અવાવરૂ સ્થળે ઓરડીમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા મોરબી પોલીસે તપાસ હાથધરી હતી. જેમાં મૃતક ચાર દિવસથી લાપતા હોવાનું અને સતનપર રોડ પરની બંધ ઓરડીમાંથી મૃતદેહ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીમાં સતનપર રોડ પર આવેલી એક વાડીની બંધ ઓરડીમાં કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં પોલીસે તેની ઓળખ મેળવવા તજવીજ હાથધરી હતી. જેમાં પોલીસને આ યુવક મોરબીનો મનોજભાઈ ગોરધનભાઈ દેસાઈ નામનો 37 વર્ષનો યુવાન હોવાનું જાણવા મળતા તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

મિત્રને ત્યાં ધાર્મિક પ્રસંગે જવાનું કહી યુવકે અવાવરૂ સ્થળે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક મનોજભાઈ દેસાઈ સિરામિક કંપનીમાં સુપરવાઈઝરની નોકરી કરતો હતો. ગત તા.17મી સપ્ટેમ્બના રોજ પોતે પોતાના મિત્રના ઘરે રાંદલ માતાજીના કાર્યક્રમમાં જતો હોવાનુ કહીને નીકળ્યો હતો. ત્યાર બાદ બીજા દિવસે પોતાની પત્નીને કોલ કરી સાંજ સુધીમાં આવી જશે તેવું કહ્યું હતું. પરંતુ યુવાન ઘરે પરત ન આવતા પરિવારજનોએ પોલીસમાં ગુમ નોંધ કરાવી હતી.

ત્યાર બાદ સતનપર રોડ પર આવેલી એક વાડીની બંધ ઓરડી પાસે એક અવાવરૂ બાઈક પડ્યું હોય અને તેમાંથી દુર્ગંધ આવતા રહેવાસીએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા મનોજભાઈ દેસાઈનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં પડ્યો હોવાનુ જાણવા મળતા પરિવારજનોને જાણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મનોજભાઈ ઝેરી દવા પી આપઘાત કરી લીધાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.