Abtak Media Google News

રાજ્ય સરકાર દ્વારા બાળકોને શિક્ષણની સાથે સ્વાસ્થ્યપ્રદ જીવન મળી રહે તેવા સર્વાંગી વિકાસના ઉમદા હેતુસર “મધ્યાહન ભોજન યોજના” અમલી છે. બાળકોના શારીરિક વિકાસમાં ચાવીરૂપ ભુમિકા ભજવતી આ યોજના હેઠળ સંવેદનશીલ રાજ્ય સરકારે સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોને ફુડ સિક્યુરીટી એલાઉન્સ ચુકવાવાનો નિર્ણય લીધો છે.  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળની રાજ્ય સરકારે આ નિર્ણય લઈને કોરોના સંક્રમણને કારણે બંધ રહેલ પ્રાથમિક શાળાઓના ગરીબ અને મધ્યમ વર્ગીય બાળકોના હિતનું ધ્યાન રાખ્યું છે.

Advertisement

જે અંતર્ગત રાજકોટ જિલ્લાના તાલુકાઓની સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત નોંધાયેલ ધોરણ ૧થી ૫ના કુલ ૮૨,૭૬૬ અને ધોરણ ૬થી ૮ના કુલ ૪૬,૨૬૭ વિદ્યાર્થીઓ મળી કુલ ૧ લાખ ૨૯ હજારથી વધુ બાળકો માટે રૂપિયા ૫૨૦.૯૧ લાખ કુકીંગ કોસ્ટ અને ૧૦૬૪૫.૦૨ ક્વિન્ટલ અનાજનો જથ્થો ફાળવવામાં આવ્યો છે.

ચાર તબક્કામાં શરૂ કરેલ કુકીંગ કોસ્ટ રકમ અને અનાજ ફાળવણીની કામગીરીના ત્રણ તબક્કા પૂર્ણ થઈ ગયેલ છે. જેમાં ચોથા તબક્કામાં જસદણ, જામકંડોરણા, જેતુપર અને ઉપલેટા  તાલુકામાં આ કામગીરી પૂર્ણ થઈ છે.અન્ય તાલુકામાં આ કામગીરી પ્રગતિમાં છે,તેમ જિલ્લા પુરવઠા અધિકારી પુજા બાવડાની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.