Abtak Media Google News
  •  રૈયાધારનો યુવાન ‘ચોરીએ’ ચડે તે પહેલાં ’ચિતાએ’ ચડયો
  • ગોંડલ ચોકડી પાસે ઝૂંપડપટ્ટીમાં યુવાને ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત: કારણ અકબંધ

રૈયાધારમાં યુવાને પોતાના લગ્નના બે માસ પૂર્વે જ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. યુવાન ચોરીએ ચડે તે પહેલાં જ ચિતાયે ચડતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. જ્યારે અન્ય બનાવમાં ગોંડલ ચોકડી પાસે ઝૂંપડપટ્ટીમાં યુવાને ગળાફાસો ખાઇ આપઘાત કરી લીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયાધારમાં રાધે શ્યામ ગૌશાળા પાસે રહેતા અને શાકભાજીનું કામકાજ કરી પરિવારનું ગુજરાન ચલાવતા અનિલભાઈ વિજયભાઈ ચાંગાવડિયા નામના 21 વર્ષના યુવાન પોતાના ઘરે એંગલમાં લૂંગી વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોઈ જતા પરિવારજનોએ તુરંત તેને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવાર પર જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં જાણ થતાં સ્ટાફ તુરંત હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જ્યાં મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક યુવાન અનિલની ગાંધીધામની યુવતી સાથે સગાઇ થઇ હતી અને વે માસ બાદ તેના લગ્ન હતા. પરંતુ અનિલ ચોરીએ ચડે તે પહેલાં જ ચિતાએ ચડતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.મૃતક અનિલના પરીવજનોએ જણાવ્યા મુજબ બે દિવસ પહેલા યુવાને તેના બનેવીને ફોન કરીને માટે તમને કઈક વાત કરવી છે તેવું કહ્યું હતું. પરંતુ તે સમયે કોઈ સ્વજન આવી જતા અનિલે કઈ કહ્યું ન હતું અને ગઈ કાલે તેને આપઘાત કરી લેતા શોકનો મહ છવાયો છે.

પોલીસે ઘટનાની નોંધ કરી આપઘાત પાછળનું કારણ જાણવા માટે તજવીજ હાથધરી હતી.

તો અન્ય બનાવમાં ગોંડલ ચોકડી પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા હકાભાઈ મુકેશભાઈ નામના 25 વર્ષના યુવાને ગળાફાસો ખાઇ લીધો હતો. આ અંગે જાણ થતાં 108ની ટીમ ઘટના સ્થળે દોડી જઇ યુવાનને તપાસતા તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે તાલુકા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી ક્યાં કારણોસર હકાભાઈએ આપઘાત કર્યો તે અંગે હેડ કોન્સ્ટેબલ પી.વી. જિલરિયા તપાસ ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.