Abtak Media Google News

મોરબી જિલ્લામાં સુશાસનના પાંચ વર્ષ અંતર્ગત ટાઉન હોલ ખાતે શહેરીજન સુખાકારી દિન નિમિતે કાર્યક્રમ યોજાયો: નગરપાલિકાને જી.એમ.એફ.બીની ગ્રાન્ટ પેટે ચેક વિતરણ કરાયા

સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ સુશાસનના પાંચ વર્ષ અંતર્ગત મોરબી જિલ્લામાં  શહેરી જન સુખાકારી દિવસ નિમિતે મોરબીના ટાઉનહોલ ખાતે સાંસદ મોહન કુંડારીયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા સાસંદ મોહન કુંડારીયાએ જણાવ્યું હતું કે, સરકારના પાંચ વર્ષના હિસાબના લેખા જોખા જોવા માટે આપણે ભેગા થયા છીએ. મા ની ભૂમિકા અને નગરપાલીકાની ભૂમિકા એક સમાન જ છે.

આપણી તમામ અપેક્ષા પુર્ણ કરવાની જવાબદારી નગરપાલીકાની છે. આપણે પણ નગરપાલીકામાં આપણાપણાનો ભાવ રાખવો જોઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગરીકોના વિચારને આધારે મન કી બાત કહે છે. કાઉન્સીલોએ પણ પ્રજાના વિશ્વાસને સાર્થક કરવો જોઇએ. મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતુ કે આપણે સૌનો સાથ સૌનો સહકાર માટે ભેગા થયા છીએ. લોકોના કામને વિકાસ આપવા માટે અને પડતર કામોના હિસાબ માટે આ કાર્યક્રમ યોજાયો છે.

શહેરી જન સુખાકારી દિન નિમિત્તે મોરબી જિલ્લાની તમામ નગરપાલીકાને જી.એમ. એફ.બી. ની ગ્રાન્ટ પેટે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને હુકમ અને ચાવી એનાયત, તેમજ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ અને કેનાલ રોડ ઉપર ફૂટપાથ, સાઇકલ ટ્રેક અને બસ શેલ્ટરનું પણ ખાતમુહુર્ત કરવામા આવ્યું હતુ. કાર્યક્રમના પ્રારંભે મોરબી ચીફ ઓફીસર ગીરીશ સરૈયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ મોરબી નગરપાલીકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું. અને અંતે હળવદ ચીફ ઓફીસર સંદિપસિંહ ઝાલાએ આભારવિધિ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે યોજાનારા વર્ચ્યુઅલ કાર્યક્રમનું પણ ઉપરોક્ત  સ્થળોએથી જીવંત પ્રસારણ કરાયું હતું.

આ કાર્યક્રમમાં રાજકોટ સાસંદ મોહન કુંડારીયા, મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા, મોરબી નગર પાલીકાના પ્રમુખ કુસુમબેન પરમાર, હળવદ નગરપાલીકાના પ્રમુખ રમેશભાઇ, મોરબી નગરપાલીકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા,  જિલ્લા કલેકટર જે.બી. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, મોરબી ચીફ ઓફીસર ગીરીશ સરૈયા, હળવદ ચીફ ઓફીસર સંદિપસિંહ ઝાલા, અગ્રણી અરવિદભાઇ, લાખાભાઇ, જયુભા જાડેજા સહિત સબંધિત વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ કોવીડ-19ની માર્ગદર્શીકા અનુસાર લાભાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.