Abtak Media Google News

કલોલ ખાતે ઇફકો દ્વારા સ્થાપિત વિશ્વના પ્રથમ પ્રવાહી નેનો ડીએપી બનાવવાના પ્લાન્ટનું લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ઇફકો દ્વારા સૌ પ્રથમ નેનો યુરિયા અને નેનો ડીએપી કૃષિ ક્ષેત્રમાં ભારતની વિશ્વને અમૂલ્ય ભેટ છે. નેનો યુરિયા અને નેનો ડીએપી પ્લાન્ટ મેક ઇન ઇન્ડિયાનું તેમજ આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર કૃષિનાં શ્રેષ્ઠ ઉદાહરણ છે.

કલોલ ખાતે વિશ્વનો પ્રથમ નેનો યુરિયા પ્લાન્ટ ખુલ્લો મુકતા કેન્દ્રીય સહકારીતા મંત્રી

દેશમાં ક્રુડ ઓઇલ પછી સૌથી વધારે વિદેશી હુંડિયામણ રાસાયણિક ખાતરો અને તેના કાચામાલ પાછળ ખર્ચવામાં આવે છે. આ સ્થિતિને મહદઅંશે ઘટાડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના સૂત્ર હેઠળ રાસાયણિક ખાતરના ઉત્પાદન, ખાસ કરી વિદેશથી આયાત થતાં ડીએપી, પોટાશ જેવા ખાતરોનું ભારતમાં ઉત્પાદન થાય એ માટે રાસાયણિક ખાતર મંત્રાલયને સૂચના આપી હતી. દેશભરમાં વિતેલા પાંચ વર્ષમાં ખાસ કરીને રશિયા-યુક્રેન યુદ્ધના પગલે વિદેશથી આયાત થતાં ખાતરની કિંમતો અનેક ગણી વધી ગઇ છે.

આની સામે હવે દેશમાં નેનો યુરિયા બાદ હવે નેનો ડીએપી ખાતરના ઉત્પાદનની શરૂઆત થઇ છે. આ ખાતર લિક્વિડ રૂપમાં હોય છે અને તેના ઉપયોગથી જમીનને નહિવત્ નુકસાન થાય છે જ્યારે ઉત્પાદનમાં વધારો થાય છે. નજીવા લિક્વિડને પાણીમાં ભેળવીને તેનો આવશ્યક ઉપયોગ કરવાથી ખેડૂતોને રાસાયણિક ખાતરોના છંટકાવથી થતાં ગંભીર નુકસાનથી પણ બચી શકાય છે. ઇફ્કોના કલોલ ખાતે આવેલા એકમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇના હસ્તે નેનો ડીએપી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

અમિત શાહે કહ્યું કે આજે વિશ્વમાં કૃષિ લાયક જમીન ઘટતી જાય છે ત્યારે કૃષિ ઉત્પાદન અને ખાદ્યાન્નની વાસ્તવિક જરૂરિયાત વચ્ચે સંતુલન સાધવું અત્યંત આવશ્યક છે. પ્રવાહી નેનો ફર્ટિલાઇઝર આ દિશામાં મહત્વપૂર્ણ કદમ છે. બીજ સંગ્રહણ અને કૃષિ ઉત્પાદનોના નિકાસ ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિ દ્વારા નવા પરિણામ હાંસલ કરી શકાશે. હવે ભારત દેશના ખેડૂતો નેનો યુરિયા બાદ નેનો ડીએપીનો વપરાશ કરશે. નેનો ડીએપી બનાવવામાં જે ટેકનોલોજીનો ઉપયોગ થયો છે, તે તમામ સ્વદેશી છે. નેનો ડીએપીની કિંમત ડીએપી ખાતરની થેલી કરતા 50 ટકા ઓછી છે, જે ખેડૂતો માટે લાભદાયી છે.

નેનો ડીએપીના ઉપયોગ થકી આપણે જમીનનો બગાડ અટકાવી શકીશું પાણીની બચત કરી શકીશું અને પાકનું ઉત્પાદન વધશે, તેવો વિશ્વાસ ૬ હજાર એકર જમીનમાં પ્રયોગ કર્યા બાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. નેનો યુરીયાના અને નેનો ડીએપીના ઉપયોગ થી સરકારને સબસીડી માં ખૂબ મોટી બચત થશે. 2.50 લાખ કરોડ જેટલી ખાતરની સબસીડી દેશના ખેડૂતોને ચૂકવાય છે અને રાજ્યમાં 22 હજાર કરોડ જેટલી આ સબસીડી ચૂકવવામાં આવે છે.

કલોલ ખાતેના પ્લાન્ટમાં દરરોજ નેનો યુરિયાની 2 લાખ બોટલનું ઉત્પાદન કરવામાં આવનાર છે. મહત્વપૂર્ણ બાબત છે કે, લીકવીડ નેનો યુરિયાને લીધે જમીનને નહિવત નુકસાની થશે અને સામે ઉત્પાદન પણ સારૂ મળશે જેથી ઓર્ગેનિક ફાર્મિંગને પ્રોત્સાહન મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.