Abtak Media Google News
  • આજી ડેમમાં 201 એમસીએફટી અને ન્યારી ડેમમાં 165 એમસીએફટી પાણી ઠાલવવામાં આવશે

શહેરની જળ જરૂરિયાત સંતોષતા આજી ડેમમાં હાલ 31મી મે સુધી અને ન્યારી ડેમમાં 10 જૂન સુધી ચાલે તેટલો જળ જથ્થો સંગ્રહિત છે. કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસે માંગવામાં આવેલા 1350 એમસીએફટી નર્મદાના નીર પેટે હજુ 366 એમસીએફટી નર્મદાના નીર ઠાલવાના બાકી છે.

દરમિયાન આગામી શનિવારથી ફરી આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવાનું શરૂ કરવામાં આવશે. જો કે, કોર્પોરેશન દ્વારા 15મી મે થી પાણીની માંગણી કરવામાં આવી છે.

પરંતુ સિંચાઇ વિભાગ દ્વારા શનિવારથી જ પાણી ઠાલવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ઉનાળાના આરંભે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કુલ 1350 એમસીએફટી નર્મદાનું પાણી માંગવામાં આવ્યું હતું. જે પૈકી આજી ડેમમાં 1080 અને ન્યારી ડેમમાં 270 એમસીએફટી જથ્થો માંગવામાં આવ્યો છે. જે પૈકી આજી ડેમમાં 879 અને ન્યારી ડેમમાં 105 એમસીએફટી પાણી ઠાલવી દેવામાં આવ્યો છે. આજીમાં 31મી મે સુધી અને ન્યારીમાં 10 જૂન સુધી ચાલે તેટલું પાણી હાલ ઉપલબ્ધ હોય ગત મહિને મ્યુનિ.કમિશનર દ્વારા સરકારમાં પત્ર લખી મંજૂર થયેલા સૌની યોજના અંતર્ગત બાકી રહેતું પાણી આજી અને ન્યારી ડેમમાં 15 મે સુધીમાં ફાળવાની માંગણી કરવામાં આવી હતી.

સાથોસાથ જો વરસાદ ખેંચાય અને જળાશયોમાં પ્રયાપ્ત માત્રામાં પાણીની આવક ન થાય તો શહેરીજનોને પીવાના પાણીની હાડમારી વેઠવી પડે. ઓગસ્ટ સુધી પાણી વિતરણ વ્યવસ્થા સુચારૂં રૂપે જળવાય રહે તે માટે આજી ડેમમાં મંજૂર કરાયેલા જથ્થા ઉપરાંત વધુ 430 એમસીએફટી અને ન્યારી ડેમમાં 200 એમસીએફટી પાણી ઠાલવવાની માંગણી કરવામાં આવી છે. જો કે, સરકાર દ્વારા વધારાની માંગણીનો હજુ સુધી સ્વિકાર કરવામાં આવ્યો નથી. જુના મંજૂર થયેલા નર્મદાના નીર પૈકી આજી ડેમમાં 201 એમસીએફટી અને ન્યારી ડેમમાં 165 એમસીએફટી પાણી ઠાલવાનું બાકી છે તે આગામી શનિવારથી શરૂ કરવામાં આવે તેવી સંભાવના હાલ જણાઇ રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.