Abtak Media Google News

આદ્યશકિત વાઘેશ્વરી માતાજીના પટાંગણમાં વર્ષોથી ર્માંના નવલા નોરતા ઉજવવામાં આવે છે

સૌરાષ્ટ્રની ધન્યધરાના લખાયેલા ભવ્ય ભુતકાળના ઈતિહાસના ગોંડલનો ઈતિહાસ ગૌરવવંતા છે. મહારાજ ભાકુંભાજીના પુત્રરાન સંગ્રામસિંહજીએ ગોંડલી નદીના કાંઠે એક ધાર્મિક જગ્યાની સ્થાપના કરી હતી. આ ધાર્મિક જગ્યા એટલે ગોંડલની મોટી બજારમાં થઈ બાવાબારી શેરીમાં જતા કુબેરપુરીજી જાગીર (જગ્યા)માં બિરાજમાન આદ્યશકિત જગદંબા સ્વરૂપ જગત જનની માં વાઘેશ્વરી માતાજીનો પ્રાચીન મંદિર આવેલું છે. જેમાં ૧૪ બ્રહ્માંડ પર રાજ કરનારી રાજ શકિત સ્વરૂપ વાઘેશ્વરી માતાજી બિરાજમાન છે.

આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાલ ૧૮૯૮ના શ્રાવણ સુદ ૭ના થયેલ તેવું શીલાલેખ પર વાંચવા મળે છે. કુબેરપુરીજી જાગીર (જગ્યા) ઓળખતા આ ધાર્મિક સ્થળે વાઘેશ્વરી માતાજી તથા મંદિરની જમણી તરફ દેવાધિદેવ શ્રીકાશી વિશ્વનાથ મહાદેવ બિરાજે છે તથા શિવાલયની જમણી બાજુ પ્રાચીન મારૂતિનંદન શ્રી હનુમાનજી મહારાજ બિરાજે છે. કુબેરપુરી જાગીર (જગ્યા)ના ગાદીપતી તથા શ્રી નામદાર ગોંડલ સ્ટેટ વચ્ચે વંશ પરંપરાગત ગુરુ, શિષ્યોના સંબંધો હજુ પણ અનેક વર્ષો થયા જળવાઈ રહ્યા છે એટલે કે ગોંડલ સ્ટેટ સર ભગવતસિંહજી બાપા કચેરીમાં હાજર થતા પહેલા નિત્યક્રમ મુજબ કુબેરપુરી જાગીર (જગ્યા)માં વાઘેશ્વરી માતાજી તથા ગુરૂ મહારાજના દર્શને જતા.

સૌરાષ્ટ્રની ધરતી પર વંશ પરંપરાગત અહીંના ગાદીપતી મહંત આજ પણ ફકકડ તરીકે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે અને એક સંતને શોભે તેવું જીવન વ્યતિત કરે છે. હાલમાં અહીંના ગાદીપતી મહંત ભુપેન્દ્રપુરીજી ગુરૂ ભાનુપુરીજી તથા લઘુમહંત ધવલપુરીજી ગુરૂ ભુપેન્દ્રપુરીજી છે.

આદ્યશકિતમાં વાઘેશ્વરી માતાજીના પટાંગણમાં વર્ષોથી માંના નવલા નવરાત્રી ઉજવવામાં આવે છે અને માં જગદંબા સ્વ‚પે નાની બાળાઓમાં વાઘેશ્વરી માતાજી સન્મુખી ગરબીમાં જલતી જયોત સ્વરૂપને ફરતા માંના ગુણલા ગાઈને રાસ-ગરબાની રમઝટ બોલાવે છે. આસો (હવન) કરવામાં આવે છે. આ વર્ષે તા.૧૭/૧૦ને બુધવારના રોજ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે જેનું બીડુ (શ્રીફળ) હોમવાનો સમય બપોરના ૪ વાગ્યાનો છે તેમ મહંત ભુપેન્દ્રપુરીજીએ યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.