Abtak Media Google News

પ્રજાના પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેના નિરાકરણ માટે સરકાર કટીબધ્ધ: મુખ્યમંત્રી

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન મેળવી સેવા દાયિત્વ સંભાળી રહેલી તેમની નવી સરકારના કાર્યારંભે જ અમદાવાદ મહાનગર અને ઔડા વિસ્તારને 40.36 કરોડ રૂપિયાના મહત્વપૂર્ણ લોકહિત કાર્યની વિકાસ ભેટ આપી છે.

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઔડા દ્વારા એસ.પી. રિંગરોડ ઉપર વૈષ્ણોદેવી જંકશન પર નવનિર્મિત અંડર પાસનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યુ હતું.નવી સરકારનો પ્રથમ જાહેર કાર્યક્રમ સરદાર ધામ પરિસરમાં સરદાર પ્રતિમાના ચરણોમાં  યોજાયો છે તેનું ગૌરવ સ્મરણ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કર્યુ હતું.મુખ્યમંત્રીએ આ સરકાર પ્રજાના પ્રશ્નોને પ્રાયોરિટી આપી તેના નિવારણ માટે સદૈવ કર્તવ્યરત રહેશે તેવી પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક બની, નેક બની જે વિકાસ કાર્યો આપણે કર્યા છે, તેના પરિણામો તાજેતરની ચૂંટણીમાં જોવા મળ્યા છે. આટલો વ્યાપક જનાધાર મળતા સરકારની જવાબદારી વધી જાય છે, ગુજરાતની જનતાએ અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે તેને લાંબા સમય સુધી ટકાવી રાખવા અને આ વિશ્વાસને વધુ મજબૂત કરવાની શરૂઆત આજથી જ કરી દીધી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિકાસની રાજનીતિથી જ ચૂંટણીઓ જીતી શકાય એવી પરિપાટી વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરી દીધી છે.

તેમણે કહ્યું કે,  કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિતભાઈ શાહના સંસદીય મત ક્ષેત્રમાં આ વિકાસ કાર્યનું લોકાર્પણ વિશેષ આનંદની વાત છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ તેમના આ સંસદીય મતવિસ્તારને ભારતનો સર્વશ્રેષ્ઠ અને વિકસીત વિસ્તાર બનાવવાની નેમ રાખી છે.

દેશના ગૃહમંત્રી તરીકે સમગ્ર દેશની જિમ્મેદારી છતાં પણ લોકસેવક તરીકેની જવાબદારી  અમિતભાઈ શાહ ક્યારેય વિસર્યા નથી. તેમની આદર્શ લોકપ્રતિનિધિ તરીકેની કાર્યપદ્ધતિ અનુકરણીય છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

આ પ્રસંગે ઔડાના ચેરમેન એમ.થેન્નારસને સ્વાગત પ્રવચનમાં આ નવનિર્મિત અંડરપાસની વિગતો આપતા જણાવ્યું હતું કે,  કુલ રૂ. 40.36 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ અંડરપાસની લંબાઈ 720 મીટર અને પહોળાઇ 23 મીટર (6 લેન) (11સ2 મીટર કેરેજ વે) છે. અંડરપાસની આર.સી.સી. દીવાલ 536 મીટર લંબાઈ (268 મીટર + 268 મીટર) ધરાવે છે જ્યારે આર.સી.સી. બોક્સની લંબાઈ 70 મીટર છે.

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી  જગદીશ પંચાલ, મણીનગરના ધારાસભ્ય   અમૂલ ભટ્ટ, દરિયાપુરના ધારાસભ્ય   કૌશિક જૈન, દસક્રોઈના ધારાસભ્ય   બાબુભાઈ પટેલ, એલિસબ્રિજના ધારાસભ્ય   અમિતભાઈ શાહ, નારણપુરાના ધારાસભ્ય   જીતેન્દ્ર પટેલ, વેજલપુરના ધારાસભ્ય  અમિત ઠાકર,  સાબરમતીના ધારાસભ્ય ડો. હર્ષદ પટેલ, અસારવાના ધારાસભ્ય  દર્શનાબેન વાઘેલા, ઠક્કરબાપાનગરના ધારાસભ્ય   કંચનબેન રાદડિયા, નરોડાના ધારાસભ્ય   ડો. પાયલ કુકરાણી, બાપુનગરના ધારાસભ્ય   દિનેશ કુશવાહ, વટવાના ધારાસભ્ય   બાબુસિંહ જાદવ,  અમરાઈવાડીના ધારાસભ્ય  ડો. હસમુખભાઈ પટેલ , અમદાવાદના મેયર   કિરીટભાઈ પરમાર અને ડેપ્યુટી મેયર  ગીતાબેન પટેલ, ગાંધીનગરના મેયર   હિતેશ મકવાણા, ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને રજની પટેલ, ઔડાના મુખ્ય કારોબારી અધિકારી  ડી.પી.દેસાઈ, અઞઉઅ અને અખઈના સભ્યો-અધિકારીઓ – પદાધિકારીઓ, સરદારધામના સંચાલકગણ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.