Abtak Media Google News

સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોના 11 દોષિતોની આત્મસમર્પણ માટે વધુ સમય આપવાની અરજીને ફગાવી દીધી છે. આ દોષિતોએ ગુરુવારે વ્યક્તિગત કારણોને ટાંકીને આત્મસમર્પણનો સમયગાળો વધારવાની માંગ કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે પોતાના જૂના આદેશ મુજબ તમામ આરોપીઓને 21 જાન્યુઆરી સુધીમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે.

Advertisement

21 જાન્યુઆરીની બદલે આત્મસમર્પણની મુદત વધારવાની દોષિતોની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

સુપ્રીમ કોર્ટે દોષિતોને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાનો ઇનકાર કરીને આત્મસમર્પણ કરવા માટે સમય વધારવાની માગણી કરેલી અરજીને ફગાવી દીધી હતી. હવે તમામ દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 11 દોષિતોએ આત્મસમર્પણ માટેનો સમય લંબાવવા માટે જે કારણો આપ્યા છે તેમાં કોઈ તથ્ય નથી. આ પહેલા તમામ દોષિતોએ કૌટુંબિક જવાબદારીઓ અને સ્વાસ્થ્યના કારણોને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં આત્મસમર્પણનો સમયગાળો વધારવાની માંગ કરી હતી. જેમાં કેટલાક દોષિતોએ 4 અઠવાડિયાનો જ્યારે કેટલાક દોષિતોએ 6 અઠવાડિયાનો સમય માંગ્યો હતો.

અગાઉ આ તમામ દોષિતો 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર ગેંગરેપ અને તેના પરિવારના સભ્યોની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા, પરંતુ ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે તેમની સજા માફ કરી તમામ દોષિતોને જેલમાંથી મુક્ત કરી દીધા હતા, જેના બાદ સુપ્રીમ કોર્ટે 08 જાન્યુઆરી 2024ના રોજ એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ બી.વી. નાગરથનાની બેન્ચે આ કેસમાં તમામ 11 દોષિતોને નિર્દોષ છોડવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો, ઉપરાંત સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં દોષિતોને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવા પણ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે 2002માં ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ થયેલા રમખાણો દરમિયાન બિલકિસ બાનો સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને તેમના પરિવારના 7 સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના સમયે બાનોની ઉંમર 21 વર્ષ હતી. 21 જાન્યુઆરી 2008ના રોજ સીબીઆઈની વિશેષ અદાલતે 11 લોકોને દોષી ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી હતી. ગયા વર્ષે 15 ઓગષ્ટના રોજ ગુજરાત સરકારે તમામ દોષિતોને જેલમાંથી મુક્ત કરી દીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.