Abtak Media Google News

જામનગરના એક પટેલ યુવાને દોઢ મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા પછી ગઈકાલે પટા વડે ગાળિયો બનાવી  ગળાફાંસો ખાઈ લેતા ચકચાર જાગી છે. પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. આ યુવાનની અંતિમવિધિમાં સાથે રહેલા તેમના મોટાબાપુને ચક્કર આવતા હેમરેજથઈ જવાથી અમદાવાદ દવાખાને ખસેડવામાં આવ્યા છે.

જામનગરના હરિયા કોલેજની પાછળના વિસ્તારમાં આવેલી મધુવન રેસીડેન્સી, સમર્પણ પાર્કમાં રહેતા અને એક ગેસ એજન્સીમાં નોકરી કરતા જયભાઈ અમૃતલાલ જાગાણી નામના ઓગણત્રીસ વર્ષના પટેલ યુવાને ગુરૂવાર રાત્રે પોતાના ઓરડામાં ગયા પછી ગઈકાલ બપોર સુધીના ચામડાના પટા વડે લાકડાના કબાટમાં હેન્ડલ સાથે પટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હોવાની તેના પરિવારને જાણ થઈ હતી.

ગુરૂવારની રાત્રે જયભાઈ પોતાના ઓરડામાં ગયા પછી ગઈકાલે સવારે પાણા નવેક વાગ્યા સુધી ઓરડામાંથી બહાર નહીં નીકળતા તેના પરિવારે  તપાસ કરતા જયભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. આથી પિતા અમૃતલાલ લાલજીભાઈ જાગાણીએ પોલીસને જાણ કરી હતી.

સિટી-સી ડિવિઝનના પીએસઆઈ આઈ.એસ. વસાવા તથા અન્ય પોલીસ કાફલો બનાવના સ્થળે દોડી ગયો હતો. પોલીસે અમૃતલાલનું નિવેદન નોંધ્યું હતું જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેઓના પુત્ર જયભાઈએ દોઢેક મહિના પહેલા જ પોતાની સાથે ગેસ એજન્સીમાં નોકરી કરતી અન્ય જ્ઞાતિની એક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

તે પછી આ યુવતીએ બ્યુટીપાર્લરનો કોર્ષ કરવા માટે અમદાવાદ જવાની વાત કરતા જયભાઈએ પત્નીને અમદાવાદ પણ મોકલી હતી ત્યાર પછી આ દંપતી વચ્ચે કોઈ બાબતે વિખવાદ થતા ગઈકાલે જયભાઈએ આ પગલું ભર્યું છે. પોલીસે તે બનાવની ઉંડાણપૂર્વકની તપાસ શરૃ કરી છે.

આ યુવાનની ગઈકાલે નીકળેલી અંતિમયાત્રામાં તેમના મોટાબાપુ ગોકળભાઈ લાલજીભાઈ જાગાણી (ઉ.વ.૭૦) પણ જોડાયા હતા. સ્મશાને જ્યારે જયભાઈની અંતિમવિધિ ચાલી રહી હતી ત્યારે અચાનક ચક્કર આવતા ગોકળભાઈ ફસડાઈ પડતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ આ વૃદ્ધને હેમરેજ થઈ ગયું હોવાનું જણાવી હાયર સેન્ટર લઈ જવાનો અભિપ્રાય આપ્યો હતો. સાથે આવેલા વ્યક્તિઓનું જી.જી. હોસ્પિટલ પોલીસચોકીના  જમાદાર નારણભાઈ લૈયાએ નિવેદન નોંધ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.