Abtak Media Google News

ડીજીસીએ દ્વારા એનઓસી મળ્યા બાદ આગામી ઉનાળા થઈ હવાઈ સેવા શરૂ કરે તેવી શક્યતા

ભારતના અબજોપતિ રોકાણકાર અને શેર બજારના ખેરખા રાકેશ ઝુનઝુનવાલા  પોતાની એરલાઈન શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હતા, જે યોજના અંતે પૂર્ણ થઈ છે અને  રાકેશ ઝુનઝુનવાલાને પોતાની એરલાઈન શરૂ કરવા માટે એનઓસી પણ મળી ગયુ છે. અકાસા એરના સીઈઓ વિનય દુબેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું  કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સમર્થન અને એનઓસી આપવા બદલ અમે અત્યંત ખુશ અને આભારી છીએ. અમે અકાસા એરને સફળતાપૂર્વક શરૂ કરવા માટે જરૂરી તમામ નિયમો પર અમે નિયામક અધિકારીઓ સાથે કામ કરવાનું ચાલુ રાખશું.

ભારતીય વ્યાપારમાં  અને શેરબજારના રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ પ્રમોટ કરેલી અકાસા એરલાઈનને નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડીજીસીએ તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળ્યું છે. અને આગામી ઉનાળામાં એરલાઇન સેવા શરૂ કરવામાં આવશે તેવી શક્યતા સેવાઇ રહી છે.  અકાસા એરનું નેરો બોડી એરક્રાફ્ટના બોઈંગ ફ્લીટને પસંદ કરવામાં આવે તેવી શક્યતા વધારે છે અને આશા છે કે વિમાન સંપાદન બાદ એર ઓપરેટર પરમિટ ઉપલબ્ધ થશે.

રાકેશ  ઝુનઝુનવાલા નવી એરલાઈનમાં આશરે 40 ટકા હિસ્સો ધરાવે તેવી ધારણા છે અને તેઓ સાહસમાં 35 મિલિયન ડોલરનું રોકાણ કરવા માંગે છે. માહિતી અનુસાર સ્થાનિક એરલાઈન ઈન્ડિગોના ભૂતપૂર્વ ચેરમેન આદિત્ય ઘોષ, ઝુનઝુનવાલા અને જેટ એરવેઝના ભૂતપૂર્વ સીઈઓ વિનય દુબે સાથે અકાસાના સહ-સ્થાપક હશે.ઘોષ આ નવા અલ્ટ્રા-લો-કોસ્ટ કેરિયર (ULCC) સાથે ઉડ્ડયન ઉદ્યોગમાં પરત ફરશે.

2018માં તેમણે ઈન્ડિગોના ચેરમેન અને હોલ ટાઈમ ડિરેક્ટરનું પદ છોડીને ઉદ્યોગમાંથી બહાર નીકળ્યા હતા. તે હાલમાં ફેબ ઈન્ડિયા અને ઓયો રૂમમાં બોર્ડ મેમ્બર છે.  અકાસાના અન્ય મુખ્ય હોદ્દાઓ જેટ એરવેઝના ભૂતપૂર્વ વીપી પ્રવિણ અય્યર સીઓઓની ભૂમિકા નિભાવશે, જ્યારે ગો એરના (Go Air) ભૂતપૂર્વ રેવન્યુ મેનેજમેન્ટ વીપી આનંદ શ્રીનિવાસન સીટીઓ અને ભૂતપૂર્વ જેટ ફ્લાઈટ ઓપરેટર વીપી ફ્લોયડ ગ્રેસીઆસ પણ આ પ્રકારની ભૂમિકા ભજવે તેવી શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.