Abtak Media Google News

રેલવે હવે તમામ રીતે સમયની સાથે ચાલવા માગે છે. રેલવેને હવે તમારો સમય બગાડવામાં પણ રસ નથી. રેલવેમાં મુસાફરી કરવા માટે લોકો કલાકોના કલાકો લાઇનમાં ઊભા રહેતા હોવાના પણ દાખલા છે. પરંતુ રેલવે માને છે કે ટીકીટ લેવામાં તમારો 5 મીનીટથી વધુ સમય બગડવો જોઇએ નહીં. માટે હવે ટીકીટબારીએ 5 મીનીટમાં ટીકીટ ન મળી જાય તો તમે રેલ તંત્રને ફોન કરીને ફરિયાદ કરી શકશો.

રેલવેએ કહ્યું કે આ માટે 9724097967 નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર ઉપર કોઇ પણ રેલવે સ્ટેશનની બુકીંગ વિન્ડો પર ટીકીટ લેવા માટે ઊભાર હ્યા પછી જો 5 મીનીટમાં ટીકીટ ન મળે તો આ નંબર ઉપર જાણ કરી શકાશે. આ નંબર તુરંત મુસાફરને રિસ્પોન્સ આપશે. મુસાફરની ટીકીટ મેળવવા માટે કરેલા તમામ સંઘર્ષની આપવીતી સાંભળશે અને જરૂરી માહિતી મેળવીને લાગુ પડતાં રેલવે સ્ટેશનને તપાસ સોંપી શા માટે ટીકીટ આપવામાં પાંચ મીનીટથી વધારે મોડું થયું છે તેની તપાસ પણ કરશે અને જરૂર લાગશે તો જવાબદાર વ્યક્તિ સામે પગલાં પણ લેશે અને જો કોઇ ચોક્કસ વયક્તિ જવાબદાર નહીં હોય અને સિસ્ટમ જ જવાબદાર હશે તો સિસ્ટમમાં ફેરફાર કરવાનાં પગલાં લેવાશે.

રેલવેને યાત્રીનો સંપૂર્ણ ફીડબેક મેળવવામાં રસ છે અને તે માટે રેલવેએ જાહેર કરેલો નંબર પણ તુરંત લાગશે અને તે નંબર ઉપર યાત્રીને ધીરજપૂર્વક અને વિગતવાર સાંભળવામાં પણ આવશે. રુલવેએ આ માટે રેલવે સ્ટેશનો પર આ અંગેની જાહેરાત કરતાં પોસ્ટરો પણ લગાવી દીધાં છે. આ સાથે રેલવેએ યુટીએસ અને એટીવીએમ એપનો ભરપુર ઉપયોગ કરવા પણ સલાહ આપી છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.