Abtak Media Google News

ભૂતપૂર્વ ક્રિકેટરો દ્વારા પાકિસ્તાનનાં સુકાની સરફરાઝ પર અનેકવિધ પ્રશ્ર્નો ઉદભવિત કર્યા

ભારત સામેનાં મેચમાં પાકિસ્તાનને જે હારનો સામનો કરવો પડયો છે તેનાથી ટીમ અને પાકિસ્તાનમાં વસતા લોકો પણ ખુબ જ ચિંતાતુર થઈ ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનનાં લોકોને હાર પચાવી ખુબ જ અઘરી બની ગઈ છે. સાથોસાથ પાકિસ્તાનનાં ક્રિકેટ રસિકોએ પણ પાકિસ્તાન ટીમ પર પ્રતિબંધ મુકવા માટે કોર્ટમાં અરજી પણ દાખલ કરી છે. માનવામાં આવે છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચેનો મેચ હરહંમેશ અતિ રોમાંચક બની રહેતો હોય છે ત્યારે વિશ્ર્વકપમાં આમને-સામને ટકરાવ્યા બાદ જે રીતે પાકિસ્તાનનો પરાજય થયો હતો જેને જોતા પાકિસ્તાનનાં ક્રિકેટ ચાહકોમાં રોષની લાગણી ફાટી નિકળી હતી.

પાકિસ્તાન ટીમનાં સુકાની સરફરાઝ અહેમદે ટીમને તાકીદ કરતા જણાવ્યું હતું કે, જો ટીમ આવનારા મેચોમાં સારું પ્રદર્શન નહીં કરે અને સેમીફાઈનલ પહેલા જ જો ટીમ ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ જશે તો ટીમ જયારે વતન પરત ફરશે ત્યારે દેશનાં નાગરિકોનાં રોષનો સામનો કરવો પડશે તેમ તાકીદ પણ કરવામાં આવી હતી. રેકોર્ડ પ્રસ્થાપિત થયો છે કે કોઈપણ મોટી ટુર્નામેન્ટ હોય ત્યારે ભારત-પાકિસ્તાન વચ્ચેનાં મેચમાં ભારતનું પલડુ સૌથી વધુ મજબુત રહ્યું છે ત્યારે સરફરાઝ અહેમદની સુકાની અને તેની કેપ્ટન્સીને લઈ પાકિસ્તાનનાં ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો દ્વારા તેમની કેપ્ટન્સીને લઈ અનેકવિધ સવાલો ઉઠાવ્યા હતા. મેચ પૂર્વે પાકિસ્તાનનાં વડાપ્રધાન અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઈમરાન ખાને પણ સરફરાઝ અહેમદને ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનું સુચવ્યું હતું ત્યારે સરફરાઝ દ્વારા તેમની અવગણના પણ કરવામાં આવી હતી તે જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, ટીમ દ્વારા પગ ઉપર જાણે કુહાડો મારવામાં આવ્યો હોય. વધુમાં જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનનાં ક્રિકેટ રસિકે પણ પાકિસ્તાનની કોર્ટમાં અરજી દાખલ કરી પાકિસ્તાન ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગણી કરી હતી. આ જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનની પ્રજા ભારત સામેનાં મેચમાં મળેલા પરાજયને પચાવી શકી નથી ત્યારે જો આવનારા મેચોમાં પાકિસ્તાનની ટીમ ખરાબ પ્રદર્શન કરશે તો ઘરવાપસી સમયે તેણે અનેકવિધ રીતે લોકોનાં રોષનો સામનો કરવો પડશે જેથી બાકી રહેતાં તમામ મેચો પાકિસ્તાન તેની નેચરલ રમત રમશે તેવું પણ હાલ સામે આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.