મંદિરની ગરીમા જળવાય તે માટે ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય
સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. મંદીરની ગરીમા જળવાય તેવા વસ્ત્રો પહેરી પ્રવેશ કરવા અનુરોધ કરાયો છે.
કરોડો લોકોની આસ્થાના પ્રતિક સમા દ્વારકાધીશ મંદિરમાં યાત્રીકો ભારતીય સંસ્કૃતિ અનુસારના વસ્ત્રો પહેરીને જ જગતમંદિરમાં પ્રવેશે તેવો નિર્ણય દેવસ્થાન સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે. જગતમંદિરે આવતાં કોઈપણ ભાવિકની લાગણીને ઠેસ ન પહોંચે તે માટે લેવાયેલા નિર્ણય અંગે જગતમંદિર પરિસરમાં ગુજરાતી – હિન્દી – અંગ્રેજી ભાષામાં બેનર્સ લગાવવામાં આવ્યા છે તેમજ વિવિધ માધ્યમોથી પણ જગતમંદિરના દર્શનાર્થે આવતા ભાવિકોને માહિતગાર કરવામાં આવી રહયા છે. બીજીબાજુ દ્વારકાવાસીઓ દ્વારા પણ આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે. આ સાથે સ્થાનીક તંત્ર, હોટેલ માલીકો, રીક્ષાચાલકો તેમજ સ્થાનીક નાગરીકો પણ યાત્રાળુઓને આ વાતથી માહિતગાર કરે તેવી અપેક્ષા પણ વ્યકત કરી છે.
રાજયના અનેક તિર્થધામોમાં મંદિર પ્રશાસન દ્વારા આ પ્રકારના બોર્ડ લગાવવામાં આવ્યા છે અને ભાવિકો ટૂંકા વસ્ત્રછ પહેરીને આવે તો તેમને મંદિરમાં દર્શનાર્થે પ્રવેશ આપવામાં આવતો નથી. આજની યુવા પેઢી મંદિરમાં ભગવાનના દર્શન માટે જાય ત્યારે પણ પોતાની ફેશન ધેલાછાને છોડી શકિત નથી. મંદિરની અસ્મિતા અને ગરીમા ન જળવાય તે પ્રકારના વસ્ત્રો ધારણ કરતા હોય છે જેના કારણે અન્ય ભાવિકોને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે છે.
મંદિરની ગરીમાને પણ હાનિ પહોંચે છે. કેટલાક યુવાન-યુવતિઓ દ્વારા મંદિરમાં પણ એવી હરકતો કરવામાં, આવતી હોય છે. જે સભ્ય સમાજ માટે ખુબ જ ક્ષોભજનક હોય છે.