Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં 32 ઘટાડો છતાં પેટ્રોલ – ડીઝલ – સીએનજીમાં અસહ્ય ભાવ વધારાએ લોકોની કમર તોડી નાખી છે. ‘અચ્છે દિન’નાં વાયદા અને વચન આપનાર ભાજપએ દેશ અને ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે, તેવા આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે છેલ્લા 8 મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલમાં 32 ટકાનો ઘટાડો અને એલપીજીમાં 40 ટકા જેટલો ઘટાડો છતાં સામાન્ય જનતાને ભાવ ઘટાડાનો લાભ આપવામાં આવતો નથી.

ક્રુડ ઓઇલના સતત ભાવ ઘટાડોમાં ભાજપ સરકાર પોતાની
તિજોરી ભરવામાં મસ્ત અને દેશની જનતા ત્રસ્ત: કોંગ્રેસ

જૂન 2022થી ક્રૂડ ઓઇલ પ્રતિ લીટર રૂપિયા 57 થી ઘટીને રૂપિયા 39 જેટલું થઈ ગયું. આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં સતત ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં અસહ્ય ભાવ વધારો એ ભાજપ સરકારની સિદ્ધી છે. ક્રુડ ઓઈલના સતત ભાવ ઘટાડોમાં ભાજપ સરકાર પોતાની તિજોરી ભરવામાં મસ્ત અને દેશની જનતા ત્રસ્ત બન્યા છે. ભાજપ સરકારે જાણે ‘લુટતંત્ર’ ચાલતું હોય તેમ નાગરીકોના ખિસ્સામાંથી 28 લાખ કરોડ રૂપિયા લૂંટી લીધા છે. ભાજપ સરકારે પેટ્રોલ, ડીઝલ, સીએનજી, રાંધણ ગેસ સહિત અનાજ, દાળ, લોટ, ચોખા, દહી, પનીર, મધ જેવી રોજબરોજની આવશ્યક ચીજવસ્તુઓ પર આકરો જીએસટી ઝીકી પ્રજાનું જીવન જીવવું મુશ્કેલી વધારવાનું કામ કર્યું છે. જેના લીધે દેશની 130 કરોડ અને ગુજરાતની 6 કરોડ જનતા મોંઘવારીનાં મારમાં પીસાઈ રહી છે.

મોંઘવારીને કાબુમાં લેવાને બદલે ભાજપ સરકાર પ્રજા પર આકરા ટેક્સનો બોજ લાદીને પોતાની તિજોરી ભરવામાં વ્યસ્ત છે. ભાજપ સરકાર ઈચ્છે તો પેટ્રોલ-ડીઝલની કીંમતમાં 18 રૂપિયા જેટલો ઘટાડો કરી શકે છે. પરંતુ ભાવ ઘટાડવાને બદલે માત્ર એક જ વર્ષમાં એટલે કે વર્ષ 2021-22માં કેન્દ્ર સરકારે 7.74 લાખ કરોડ નાણાં અને રાજ્ય સરકારે 1.4 લાખ કરોડ ટેક્ષ પેટે ઉઘરાવી લીધા છે. પેટ્રોલ-ડીઝલમાં અસહ્ય ભાવ વધારા પાછળ ભાજપ સરકાર અને કંપનીઓ સુનિયોજિત રીતે નગરિકોનાં ખિસ્સા પર લૂંટ ચલાવી રહી છે. છેલ્લા બે વર્ષમાં તુવેરદાળ અને અડદની દાળનો ભાવ અસહ્ય વધીને રૂ.110ને પાર થયો છે. 410માં મળતો સિલીન્ડર આજે ડબલથી પણ વધારે ભાવ સાથે 1100માં મળી રહ્યો છે. ઉપરથી ગેસ સિલીન્ડરમાં મળતી સબસીડી બંધ કરી દીધી છે. વર્ષ 2014માં પેટ્રોલ પ્રતિ લિટર 64માં મળતું હતુ. જેને વધારીને 97 અને ડીઝલ પ્રતિ લિટર 54 રૂપિયે મળતુ હતુ. જે વધીને 92 રૂપિયા પહોંચાડી દેવામાં આવ્યુ છે. જે સીએનજી કોંગ્રેસના શાસનમાં 42 રૂપિયે પ્રતિ કિલો મળતો હતો. જે ભાજપ સરકારે 84 રૂપિયા પહોંચાડી દીધો છે. જંગી ભાવ વધારાએ જનતાની કમર ભાંગી નાખી છે.આર્થિક અસમાનતા વધી રહી છે, બચત કરવાનું તો દુર જીવનનિર્વાહ કરવાનું પણ અધરું બન્યું છે. બેંકોમાં વ્યાજના દર ઘટાડો, રૂપિયાનું સતત અવમુલ્યન અને નાગરીકોની આવકમાં ઘટાડોએ ભાજપની ભેટ છે. આર્થિક બદહાલીમાંથી યુવાનોને બચવાની જગ્યાએ ભાજપ સરકાર પોતાના ઉદ્યોગપતી મિત્રોનું લાખો કરોડો રૂપિયાનું દેવું માફ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના યુવાનો, મહિલાઓ, ખેડૂતો, ગરીબ-શોષિત-વંચિત સહીત તમામ વર્ગને આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં ઘટાડાનો લાભ સત્વરે આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.