Abtak Media Google News

“જિલ્લા પ્રમુખ જેવા હાઈ પ્રોફાઈલ ખૂન કેસની તપાસમાં ગાંધીનગર કક્ષાએથી વરવો રાજકીય ચંચુપાત શરૂ થયો !

રાજકીય હુંસા તુંસી

રાષ્ટ્રીય પાર્ટીએ સંસદની મધ્યસત્ર ચુંટણીમાં પોરબંદર લોકસભાની બેઠક રાષ્ટ્રવાદી પાર્ટી પાસેથી આંચકી લેવા વિદેશ સ્થિત ગેંગ લીડર જે આઠ આઠ ટાડાના ગુન્હાઓમાં વોન્ટેડ હોવા છતા રાજ્ય સરકાર પોતાની હોવાથી તંત્રમાં ગોઠવણ કરીને ચુંટણીના મેદાનમાં ઉતારવા છતા પોરબંદરની બેઠક તો રાષ્ટ્રવાદી પાર્ટી જ જીતી ગઇ.

તે સમયે જૂનો પ્રજા પક્ષ પોતાના તમામ વિધાયકો સાથે રાષ્ટ્રીય પાર્ટીમાં ભળી ગયેલો અને મુખ્યમંત્રી જે પ્રજા પક્ષના હતા તે જ રાષ્ટ્રીય પાર્ટીના રહ્યા. સરકાર તો ચાલતી હતી પરંતુ પ્રજાપક્ષના સભ્યો અને રાષ્ટ્રીય પાર્ટીના જૂના સભ્યોને બરાબર જામતી ન હતી. પેલા નાતરા જેવુ નવીના અને જૂનીનાનો મન મેળ પડતો ન હતો.

જેમાં જૂની રાષ્ટ્રીય પાર્ટીના જૂનાગઢ જીલ્લા પંચાયતના પ્રમુખ જે પણ પોરબંદરની ગેંગ લીડરની જ્ઞાતિના જ હતા. પણ તેઓને આ ગેંગનું રાષ્ટ્રીય કરણ થયુ તે જરાય પસંદ ન હતું. લોકસભાની ચુંટણી સભાઓ દરમ્યાન થતા તે પછીના કાર્યક્રમોમાં જાહેરમાં જ આ પ્રમુખ પક્ષમાં નવા આવેલ ગેંગ વાળા રાજકારણીઓ વિશે ઉતરતો ભાષા પ્રયોગ કરતા હતા. આથી આ રાષ્ટ્રીય પાર્ટીમાં નવુ આવેલુ ગેંગ વાળુ પ્રજાપક્ષનું જૂથ ખૂબ જ નારાજ હતું. અને આવા ભાષા પ્રયોગને કારણે અકળામણ અનુભવતુ હતું. બગવદર ફોજદાર જયદેવને આ વાત જાણવા મળી કે હવે ગેંગ વાળા અકળાયા છે કાંઇક નવા જૂની થશે અને તે પણ જીલ્લા પંચાયત પ્રમુખ સાથે.

દરમ્યાન પોરબંદર જીલ્લા પોલીસ વડાએ માસિક ક્રાઇમ મિટિંગનુ આયોજન કર્યુ. પોરબંદર પોલીસ જીલ્લાના તમામ અધિકારીઓની મિટિંગ થઇ. પોલીસ વડાનો નિયમ એવો હતો કે મિટિંગની છેલ્લી પંદર વીસ મિનિટ થાણાના અધિકારીઓ સાથે રજૂઆત માટે મુક્ત અભિવ્યક્તિની ચર્ચા કરતા હતા.

જયદેવને તો વિશ્વાસ હતો કે ગેંગવાળા જે કોઇ કળા કરશે તે બગવદરનો બરડો વિસ્તાર મૂકીને જ કરશે. પરંતુ પોતે જે હકીકત જાણે છે તે  તમામ પોલીસ અધિકારીઓને જાણ કરી કે જીલ્લા પ્રમુખ જાહેર સભાઓમાં અને કાર્યક્રમોમાં પણ રાષ્ટ્રીય પાર્ટીના નવા સભ્યો અને અમૂક લોકો પ્રત્યે કડક તીખા અને ભારોભાર નફરત દર્શાવતા ભાષા પ્રયોગ કરતા હોય કાંઇક અજુગતુ કે અમંગળ બને તેની તકેદારી રાખવા જણાવ્યું. પરંતુ અહિં પોરબંદરમાં તો આવુ ચાલ્યા જ કરે તેમ સમજી આ મુદ્દે કોઇ ચર્ચા થઇ નહિ અને કોઇ ખાસ નોંધ પણ લેવાઇ નહિં.

બગવદર મોઢવાડા રોડ ઉપર એક નવુ પણ વિશાળ મંદિર રાંદલમાતાજીનું બનતું હતું. સાથી કર્મચારીઓ કેટલાય સમયી જયદેવને આ મંદિર જોવા જવાનું કહેતા હતા. એક દિવસ સમય કાઢીને સાંજના પાંચેક વાગ્યે જયદેવ જીપ લઇ પોતાના સાથી કર્મચારીઓને લઇને આ રાંદલ માતાજીના મંદિરે આવ્યો. મંદિરમાંથી દર્શન કરી હજુ બહાર જ આવ્યા હતા ત્યાં જીપમાં વાયરલેસી કંટ્રોલરુમ પોરબંદરની વર્ધી આવી કે દેગામની સીમમાં કુવા ઉપર બે લાશો પડેલ છે બગવદર ફોજદારે તાત્કાલીક પહોંચી જઇ કાયદેસરની કાર્યવાહી કરવી.

જયદેવ તાત્કાલીક બગવદર આવી જરુરી સાધન સામગ્રી અને માણસોને લઇને દેગામ આવ્યો. ગામના પાદરમાં જ આ બનાવ અંગે પૂછપરછ કરતા તમામ લોકો અજાણ હતા કોઇને કાંઇ ખબર ન હતી. આથી જયદેવ કોસ્ટલ હાઇવે દેગામ ત્રણ રસ્તે આવ્યો ત્યાંની ફીક્સ પોલીસ પાર્ટીને આ લાશો અંગે પૂછતા તેમને પણ કાંઇ ખબર ન હતી. આથી જયદેવે કંટ્રોલરુમને ચોક્કસ ઠેકાણુ જણાવવા કહેતા કંટ્રોલરુમે કહ્યુ દેગામી પાંડાવદર ગામના રસ્તે જાવ.

જયદેવ છેક પાંડાવદર પહોંચ્યો. સરપંચ કૃષ્ણસિંહ જેઠવાને આ બાબતે પૂછતા તેમણે કહ્યુ કે અહિં આવુ કાંઇ બન્યુ નથી અને અમારા ગામમાં કોઇને વાંધો વચકો પણ નથી. જયદેેવ પાંડાવદરી દેગામ પાછા આવતા વચ્ચે બોખીરા જતા રસ્તા ઉપર એક સફેદ ફીયાટ કાર ઉભી હતી.

જયદેવે જીપ ઉભી રાખી જોયુ તો તેમાં એક રાષ્ટ્રીય પાર્ટીના જ મોટા ગજાના રાજકારણી સફેદ વોમાં પોતે એકલા જ હતા. આ રાજકીય નેતા ફીઆટ માંથી નીચે ઉતરી જયદેવને મળ્યા અને કહ્યુ લાશો અંગે તપાસ કરો છો ને ? જયદેવે હા કહી. તેમણે કહ્યું આ સિંગલ પટ્ટી રસ્તો બોખીરા જાય છે ત્યાં આગળ થોડે દૂર જતા જ કાર પડી છે. આથી જયદેવે જીપ તે તરફ લીધી. આ ફીયાટ કાર પણ પાછળ પાછળ જ આવી.

થોડે દૂર એક ફાર્મ હાઉસના ઝાંપા પાસે જ અકસ્માત થયેલી એમ્બેસેડર કાર પડેલી હતી તેનું આગળનું બોનેટ સામેના ટ્રક જેવા મોટા વાહન સાથે ભટકાવાથી અંદર તરફ વળી ગયુ હતું. પરંતુ સામેનું વાહન ત્યાં ન હતું. કારમાં આગળની સીટ ઉપર એક વૃધ્ધની લાશ અને પાછળ એક વૃધ્ધ સ્ત્રીની લાશ પડેલી હતી.

બંને લાશો લોહી લુહાણ હાલતમાં હતી. કારના આગળ તેમજ પાછળના વિન્ડ સ્ક્રીન ઉપર પણ અગ્નીશસ્ત્રોની ગોળીઓના કાણા દેખાતા જ જયદેવ સમજી ગયો કે ક્રૂર હત્યા છે. આગળની સીટ ઉપર પડેલ વૃધ્ધની લાશનો હાથ બાજુની ખાલી સીટ ઉપર પડેલ પોર્ટ ફોલીયા ઉપર હતો. જે પોર્ટ ફોલીયુ જોતા તેમાં લાયસન્સ સહિતની રિવોલ્વર હતી.

પણ તે તેમજ પડેલી હતી. એટલે કે ગુનેગારોએ રિવોલ્વર કાઢવાનો પણ સમય રહેવા દીધા ન હતો. જયદેવે વૃધ્ધનો ચહેરો નીરખીને જોયો. તો તે જીલ્લા પંચાયત પ્રમુખ હતા. જયદેવને જે અગાઉ અમંગળની એંધાણી દેખાઇ હતી તે સાચી પડી પરંતુ જયદેવને નવાઇ લાગી કે ગેંગ વાળા બગવદરની હદમાં પણ આવુ કરી શકે ? પરંતુ ડી સ્ટાફના કોન્સ્ટેબલ જોષીએ કહ્યું સાહેબ આ જગ્યા બોખીરા ગામની ઉદ્યોગ નગરની હદ છે. પરંતુ જયદેવ તો હવે આવ્યા છીએ તો પ્રાથમીક કાર્યવાહી કરી જ નાખીએ તેમ નક્કી કરી તેણે પોરબંદર કંટ્રોલરુમને વાયરલેસની બીજી ચેનલ ઉપર લઇ જઇને આ માઠા સમાચાર આપ્યા.

જોગાનું જોગ તેજ સમયે પોરબંદર ચોપાટી ઉપર આવેલ વિલા ગેસ્ટ હાઉસમાં રાજ્યના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ તથા પોરબંદર પોલીસવડા અને જૂનાગઢ રેન્જના ડી.આઇ.જી. પણ ચુંટણી અંગેની મિટિંગમાં હતા ત્યાં મર્ડર કેસ હતો અને આ બનાવના પડઘા સમગ્ર રાજ્યમાં અને સરકારમાં પણ પડવાના હતા. આથી પોલીસવડાએ ક્રાઇમ બ્રાંચના ફોજદાર રાણાને તુર્તજ ગુન્હાવાળી જગ્યાએ રવાના કર્યા.

ગુન્હાવાળી જગ્યાએ પેલા ફીઆટ કારવાળા રાજકારણીએ જયદેવને એકબાજુ બોલાવીને કહ્યુ સાહેબ એક વિનંતી છે. જયદેવે કહ્યું “કહો તેમણે કહ્યુ ” આ એમ્બેસેડર કારની ડેકીમાં એક બેગ છે અને તે બેગમાં એક ચાવીને જુડો છે તે હું લઇ શકુ ? જયદેવે કહ્યું હવે આ તમામ મુદામાલ કહેવાય કોર્ટમાંથી મેળવજો.

પણ તેમણે આજીજી કરી અને ઓફર કરી કે તમે કહો તે રીતે ! જયદેવે કહ્યુ મારે બીજી કોઇ જરુરત નથી મારો રસ તો આ ખૂન કેસ ડીટેક્ટ થાય તેમાં છે. અને તે માહિતી માટેનો છે. આથી રાજકારણીએ કહ્યુ ભલે તેની બાતમી આપુ પરંતુ રાત્રે દસ વાગ્યે તમે પોલીસ સ્ટેશનના ટેલીફોન ઉપર રહેજો હું ફોનથી માહિતી આપીશ.

જયદેવને મનમાં શંકા ગઇ કે કદાચ પાછળથી આ વ્યક્તિ ફરી જાય તો ! પરંતુ બીજી બાજુ અહિં કોઇ પુરાવો હતો નહિં અને ખૂન કેસ ડીટેક્ટ કરવો પણ અત્યંય જરુરી હતો. પોરબંદરમાં આમેય સરાજાહેરમાં બનાવો બને તો પણ કોઇ સાક્ષી આપતુ ન હોય ત્યાં આ સીમ વગડે એકાંત જગ્યામાં શું સાક્ષી કે માહિતી મળવાની ? જયદેવ સાહસિક નિર્ણય કર્યો કે ચાવીનો જુડો આપવો જ.

કોન્સ્ટેબલ જોષીએ કહ્યુ કે આ વ્યક્તિ ભરોસાપાત્ર છે ફરી નહીં જાય. જેથી જયદેવે એમ્બેસેડર કારની ડેકી ખોલી તેમાં એક બેગ હતી. જેને લોક મારેલુ ન હતું. બેગ ખોલતા જ તેમાં થોડા કાગળો અને ચાવીનો જુડો પડેલો હતો. જયદેવે તે જુડો ઉપાડી આ રાજકારણી વ્યક્તિને આપ્યો.

બેગ અને ડેકી પાછા હતા તેમ જ બંધ કરી દીધા. પેલા રાજકારણી ફીઆટ લઇને રવાના થતા હતા ત્યાં જયદેવે તેને પૂછ્યુ કે હવે આના ફરિયાદી કોને બનાવવાના ? તેમણે ફાર્મ હાઉસના ઝાંપાની સામે રોડના કાંઠે આવેલવાડી તરફ આંગળી ચીંધીને કહ્યુ આ વાડી વાળો પ્રમુખનો ભાણે જ છે અને તે હાજર જ હશે તેને બોલાવી લો અને રવાના થયા.

કોન્સ્ટેબલ ઓડેદરા અને જોષી તે બતાવેલ વાડીમાં તપાસ કરવા ગયા. આ દરમ્યાન જયદેવે ગુન્હાવાળી જગ્યા. એમ્બેસેડર કાર અને લાશોનું બાહ્ય નિરિક્ષણ કર્યુ. આ માહોલ જોતા એવુ લાગતું હતુ કે એમ્બેસેડર જેવી ફાર્મ હાઉસમાંથી બહાર નીકળી હશે.

ત્યાં જ સામેની દિશામાં દેગામ બાજુ કોઇ એક ટ્રક રાહ જોઇને ઉભો હશે, જેવી કાર રોડ ઉપર આવી હશે કે તુર્ત જ તે ટ્રકે ૫ૂરઝડપે આવી કાર ઉપર ચઢાવી દીધેલ હશે તેવુ જણાતુ હતું અને કાર રોકાયાની થોડીક જ ક્ષણોમાં કારમાં રિવોલ્વર કે પીસ્તોલી આંધાધૂંધ ગોળીબાર થયો હશે.

જે વીન્ડસ્ક્રીન ઉપરના બુલેટના કાણાથી જણાતું હતું. આ ફાયરિંગ કરનાર આરોપીઓ પણ ટૂકમાં જ આવેલા હશે. અને કામ પતાવી પાછા ટ્રકમાં નાસી ગયા હશે અને પાછળ બેઠેલા વૃધ્ધા પ્રમુખના પત્ની હતા પણ આ અવાવરુ જગ્યાએ કોઇ સાક્ષી પુરાવો ન રહે તે માટે તેમને પણ ઝપટે લઇ લીધા હશે.

રોડ ઉપર બારીકાઇ થી નિરિક્ષણ કરતા કારના બોનેટ સાથે ટ્રકનું બમ્પર ભટકાયુ હશે તે જગ્યાએ ટ્રકના બમ્પરનો રંગ લાગી ગયો હતો તથા જમીન ઉપર ત્રિરંગા રંગ કરેલ એક સાંકળનો પાંચેક ઇંચ લંબાઇનો ટુકડો પડ્યો હતો. જયદેવે અનુભવે અનુમાન લગાવ્યુકે ટૂક માલીકો ટ્રકના બમ્પર ઉપર પોતે રાષ્ટ્રપ્રેમી છે.

તે દર્શાવવા જે સાંકળોની હાર લગાડી ડીઝાઇન બનાવી હોય તેને પણ કેસરી સફેદ અને લીલા રંગે રંગતા હોય છે. અને ટ્રકની બોડી ઉ૫ર કે દરવાજા ઉપર શહિદ ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદના ફોટા પણ ચીતરાવતા હોય છે. તે બમ્પર ઉપરની ડીઝાઇન પૈકીની આ જમીન ઉપર પડેલ સાંકળ હોવી જોઇએ જેથી તે અગત્યના એક માત્ર ઓળખના પુરાવારુપે હોય હાવગી રાખી.

દરમ્યાન ઓડેદરા તથા જોષી પેલી વાડીમાંથી એક પાંત્રીસ કે ચાલીસ વર્ષની વયના માણસને લઇ આવ્યા. તે વ્યક્તિને પૂછપરછ કરતા તે પોરબંદર સ્ટાઇલે સાવ અજાણ્યો હોવાનો ઢોંગ કરવા લાગ્યો તે તો ઠીક પણ આ લાશો કોની છે તે ઓળખવાનો પણ સ્પષ્ટ ઇન્કાર કરવા લાગ્યો. જયદેવ તેનો ન્યાયદંડ ઉપાડ્યો અને બે-ત્રણ કચકચાવીને ચખાડ્યા ત્યાં તે બોલ્યો કે આ મારા સગા મામા છે મને આ લફરામાં કાં પાડો ?

જયદેવે આ સર્વે નંબર ક્યા ગામનો છે તે અંગે પૂછતા જણાવ્યું કે જે ફાર્મ હાઉસમાંથી કાર બહાર (આવી તે સર્વે નંબર બોખીરા એટલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો અને આ ફાર્મ હાઉસ બહારનો રોડ અને પોતાની વાડી દેગામના સર્વે નંબર એટલે કે બગવદર થાણાની હદ. આથી જયદેવને થયુ કે હવે આ અનડીટેક્ટ ખૂનનો ગુન્હો આપણી જ હદનો રહ્યો. ગુનેગારોએ આ હદ વિસ્તાર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો માનીને આ પરાક્રમ કરેલું હતું તેમના કમનસીબે આ હદ ઉદ્યોગનગર થાણાી પાંચ ફૂટ માટે જ દૂર રહી ગઇ હતી.

જયદેવે આ વાડીવાળાની એફ.આઇ.આર. લખીને તૈયાર કરી ત્યાં ક્રાઇમ બ્રાંચના ફોજદાર રાણા આવી ગયા તેમણે જગ્યા તથા દ્રશ્ય જોયુ અને હવે આ હાઇપ્રોફાઇલ મર્ડરના પડનારા સંભવિત પ્રત્યાઘાતો હડતાળો, બંધ, મોટા-મોટા માથાઓની વિજીટો, ઉચ્ચ અધિકારીઓનું ગુન્હો શોધવાનું દબાણ અંગે ચર્ચા કરી.

તથા કહ્યું કે જો ગેંગ સંડોવાયેલ હોય તો પણ રાજકીય દાવપેચ તથા સરકારની તપાસમાં દખલગીરીની આશંકા વ્યક્ત કરી અને કહ્યું કે આ તપાસ કરવી એટલ હવે તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. જયદેવ નિર્ભય હતો તેણે કહ્યુ પડશે તેવા દેવાશે ! રાણાએ કહ્યુ કે આ ગુન્હો ડીટેક્ટ કરવો તે હવે આપણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે પણ શોધવો કઇ રીતે ? જયદેવે રાણાને પેલા રાજકારણી અને ડેકીમાંની બેગમાંથી ચાવીના જુડા વાળી વાત કરી તેથી રાણા ખુશ થઇ ગયા અને કહ્યુ પણ પેલા રાજકારણીનો ભરોસો કેટલો ? જયદેવે કહ્યુ આ તો “હવામાં તીર માર્યુ છે અને “વિશ્વાસે વહાણ ચાલે છે તે ન્યાયે ચાન્સ લીધો છે.

બાકી અહિં બીજો પુરાવો પણ શું છે ? આવી રાજકીય હત્યાના પ્રત્યાઘાતરુપે હંમેશા બને છે તેમ કઢી અભડાય પણ દુધપાક અભડાય નહિં તે ન્યાયે નાના અધિકારીનો જ ભોગ લેવાતો હોય છે. જયદેવને લાગ્યુ કે બીજુ તો શું કરી લેશે ? પોતાની બદલી થશે ? પરંતુ બદલી થાય તે પહેલા સ્વમાનભેર જવાનાં ઉપાય તરીકે ગુન્હો જેમ બને તેમ જલ્દી ડીટેક્ટ થાય અને આરોપી પકડાય જાય તો પોતાનો પણ વટ રહી જાય તેવુ જયદેવ વિચારતો હતો. પરંતુ કપટી રાજકારણમાં જયદેવની આ વિચારધારા ખોટી હતી. તે અનુભવે પાછળથી જાણ્યુ કે જો આ ડબલ મર્ડર કેસ અનડીટેક્ટ રહ્યો હોત તો જયદેવની બદલી થઈ ન હોત.

જયદેવે એફ.આઇ.આર. ઉપરી વણશોધાયેલ ડબલ ખૂન કેસનો ગુન્હો નોંધાવ્યો અને તપાસ નિયમ મુજબ સીપીઆઇને સોંપાઇ અને જયદેવ પ્રાથમિક તપાસમાં મદદ કરી રાત્રે દસ વાગ્યે બગવદર પોલીસ સ્ટેશનના ટેલીફોન ઉ૫ર બેસી ગયો. જયદેવ માટે આ ટેલીફોન અને બાતમી પ્રતિષ્ઠા અને તેની નિષ્ઠાનો પ્રશ્ન હતો.

એક-એક મિનિટ જયદેવ ઇન્તજારમાં પસાર કરતો હતો. થોડીવારે ટેલીફોન આવ્યો સામા છેડે પેલા રાજકારણી જ હતા. તેમણે કહ્યુ “સાહેબ ટ્રકના નંબર લખો ૯૯૭૭. “જયદેવે કહ્યુ બસ ? કોઇ નામ નહિં ? ટ્રકની પૂરી સીરીઝ પણ નહિં ? તેમણે કહ્યુ “હવે આગળ તમારુ કામ જયદેવે બીજે દિવસે આર.ટી.ઓમાં આ નંબર ૯૯૭૭ની આગળની સીરીજો GTX. GTY. GTM  કે GJR વિગરેમાં ટ્રકો કેટલા છે અને તેના માલિકોના નામ સરનામા શું છે તેની તપાસ કરી આર.ટી.ઓમાં જાણવા મળ્યુ કે જામનગર પાસીંગની ટ્રક GJR ૯૯૭૭ ટ્રક છે અને આ ટ્રકની માલિકી બગવદર થાણાના જ ગામ કીંદરખેડાની વ્યક્તિની છે.

તથા આ ટ્રક હાલ પોરબંદરની “માં કૃપા ટ્રાન્સપોર્ટમાં ચાલતો હોવાનું જાણવા મળ્યુ તપાસ કરતા ટ્રાન્સપોર્ટમાંથી પાંચેક દિવસ પહેલા પોરબંદરની એક ઓઇલ મીલમાંથી તેલના ડબ્બા ભરીને અમદાવાદ ગયો હતો પરંતુ પાછો આવ્યો નથી. ઓઇલ મીલમાં તપાસ કરતા જાણવા મળ્યુ કે બીજે જ દિવસે ટ્રક પાછો આવી ગયો હતો. જયદેવે કીંદરખેડા તેના માલિકના ઘેર તપાસ કરી ફક્ત બૈરા જ હતા અને તેમણે કહ્યુ કે અઠવાડીયાી ટ્રક લઇને ગયા છે પાછા આવ્યા જ નથી.

જયદેવે ઘરમાં લગાડેલા ફોટા ઓળખ માટે લેતા અને જોતા તેમાં ટ્રક નંબર GJR ૯૯૭૭ સાથે માલિક ઉભો હોય તેવો ફોટો હતો. તેનું બારી કાઇથી નિરિક્ષણ કરતા ટ્રકના આગળના બમ્પરના ભાગ ઉપર ત્રિરંગાવાળી સાંકળોની હાર લગાડી ડીઝાઇન બનાવેલી હતી. પ્રાથમિક પુરાવો તો મળી જ ગયો કે ગુન્હામાં વપરાયેલ ટ્રક તો આજ હતો. ફોટો કબ્જે થયો.

આ પ્રમુખ ખૂન કેસના પડઘા પોરબંદરથી ગાંધીનગર સુધી પડ્યા અને રાષ્ટ્રીય પાર્ટી સમક્ષ નવા ભળેલા પ્રજાપક્ષ અને જૂના સભ્યોનો ગંભીર મતભેદ ઉભો થયો. સમાચાર પત્રોમાં મામલો ખૂબ ચગ્યો. સમાચાર પત્રો તો આમેય દેકારો બોલાવીને આંગળી ચીંધામણુ તો ગેંગ તરફ અને ગેંગના આકા તરફ જ કરતા હતા.

તેમાં આ “માં કૃપા ટ્રાન્સપોર્ટનો ટ્રક અને ટ્રક અદ્રશ્ય થવાની ઘટના તથા તે ટ્રક જ ગુન્હામાં સંડોવાયેલાના પ્રથમ દ્રષ્ટિના પુરાવા મળતા રાજકીય ગરમી વધી ગઇ અને ગાંધીનગર તખ્તો ગરમ થઇ ગયો. ગાંધીનગર ખાતેથી કોઇપણ સંજોગોમાં આ ખૂન કેસ ડીટેક્ટ ન થવો જોઇએ અને જો થાય તો ફક્ત દાડીયા જ પકડાય મુખ્ય સુત્રધારો ન પકડાય તે માટે થવી જોઇતી તજવીજો થવા લાગી.

આ દરમ્યાન પોરબંદરમાં પ્રમુખની શોકસભાનું આયોજન થયુ. આ શોકસભામાં રાજ્યના મંત્રી પણ ઉપસ્થિત રહ્યા. નવી તથા જૂની શાખાના રાષ્ટ્રીય પાર્ટીના નેતાઓએ શોકાંજલી આપી. જે શોકસભાને સંબોધતા રાજ્યના મંત્રી (જે મુળ પ્રજાપક્ષના હતા) એ જણાવ્યુ કે અમોને દુ:ખ છે કે અમારુ તંત્ર આ ગુન્હો રોકી શક્યુ નહિં.

પરંતુ તે પછીના વક્તા જે સ્વર્ગસ્થ પ્રમુખના સગાપણ હતા અને મુળ (જૂની) રાષ્ટ્રીય પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ પણ હતા. તેમણે રાજ્યના મંત્રીના મંતવ્યનું ખંડન કર્યુ અને જણાવ્યુ કે પોલીસને દોષ દેવા કરતા આત્મ નિરિક્ષણ કરવાની જરુર છે કે ” આ આપણી આંતરિક હુંસા તુંસીનું પરિણામ છે. આ બનાવ ઉપરથી આપણે ઘડો લેવો જોઇએ અને નક્કી કરવુ જોઇએ કે હવે આવુ ક્યાં સુધી ચલાવવાનું છે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.