Abtak Media Google News

તીર્થપતિ તીથઁકર,વિશ્વ વંદનીય અનંત ઉપકારી શાસનપતિ મહાવીર સ્વામી જયારે રાજગૃહી નગરીમાં ચાતુર્માસ કલ્પ વ્યતિત કરી રહ્યાં હતાં.

Advertisement

પ્રભુના પ્રથમ માસ ક્ષમણના પારણે પંચ દિવ્ય વૃષ્ટિને નિહાળીને ગોશાલક પ્રભુ પ્રત્યે આકર્ષાયો અને પ્રભુના શિષ્ય થવાની ઈચ્છા પ્રગટ કરી પરંતુ પરમાત્માએ તે વાતનો સ્વીકાર કર્યો નહીં. થોડા દિવસો બાદ આવા જ એક પ્રસંગે ગોશાલકે  શિષ્ય થવાની પુન : ઈચ્છા દોહરાવી ત્યારે પ્રભુ મૌન રહ્યાં, ગોશાલકે મૌનને સમ્મતિ સમજી પ્રભુ સાથે રહેવા લાગ્યો.

તેજો લેશ્યાની વિધિ: એકદા ગોશાલકે એક બાલ તપસ્વીની હસી – મજાક કરી તેમને ઉશ્કેર્યા એટલે વૈશ્યાયન નામના તપસ્વીએ ગોશાલક ઉપર તેજો લેશ્યા છોડી,પ્રભુએ કરૂણાસભર શીત લેશ્યા દ્રારા તેનું રક્ષણ કર્યું.આ ઘટનાથી ગોશાલકે પ્રભુ પાસેથી તેજો લેશ્યાની વિધિ જાણી.

ગોશાલક દ્રારા ધમકી : ગૌતમ સ્વામીના પ્રશ્ર્ન દ્રારા પ્રભુએ પરિષદનું ધ્યાન દોર્યુ કે મંખલિ પુત્ર ગોશાલક તીથઁકર નથી એટલે કે.. જિન નથી પરંતુ જિન પ્રલાપી છે.

આ સાંભળી ગોશાલક અતિ ક્રોધિત થયો અને આનંદ મુનિ દ્રારા અનર્થકારી ધમકી આપી કે હું મારા તપ તેજથી મહાવીરને બાળીને ભસ્મીભૂત કરી નાખીશ.પ્રભુએ દરેક સંતોને સાવચેત કરી દિધા કે ગોશાલક માર માર કરતો આવશે તમો બધા આત્મ ભાવમાં રમણતાં કરજો.

તેજો લેશ્યાનો પ્રહાર : પ્રભુ મહાવીરે સર્વે સંતોને સાવચેત કરી દિધેલ છતાં પ્રભુ મહાવીર પ્રત્યેના અહોભાવ અને અત્યંત ભક્તિભાવને કારણે સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર નામના બે મુનિરાજોએ ગોશાલકને શાંત કરવાનો પ્રયત્ન કર્યો,ક્રોધિત ગોશાલકે બંને સાધુઓ ઉપર તેજો લેશ્યા છોડી બાળીને ભડથુ કરી દિધા.એટલું જ નહીં ખુદ પરમ કૃપાળુ પરમાત્મા ઉપર પણ તેણે તેજો લેશ્યા છોડી.પરમ પુણ્યોદયે પ્રભુ બચી ગયા.

પરસ્પર ભવિષ્યવાણી : ગોશાલકનો પ્રહાર અસફળ રહેવાથી તે વધુ ક્રોધિત થઈ અનર્થકારી ભાષા બોલવા લાગ્યો કે આજથી છ મહીનામાં જ તમો છદ્દમસ્થ અવસ્થામાં જ મૃત્યુ પામશો.તેના પ્રત્યુત્તરમાં પ્રભુએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે…હે ગોશાલક ! હું તો આ પૃથ્વીના પટ ઉપર હજુ 16 વર્ષ સુધી અપ્રતિબધ્ધ પણે ગંધ હસ્તિની માફક તીથઁકર પણે વિચરવાનો છું,પરંતુ તું પોતે જ દાહ જવરથી પીડિત થઈ સાત દિવસમાં મૃત્યુને પામીશ.

પ્રભુ મહાવીરે ચતુર્વિધ સંઘને ચિંતામાંથી મુક્ત કરવા સિંહા નામના અણગારને રેવતિ ગાથાપતિના ઘરેથી બીજોરા પાક લાવવા માટે ગોચરીએ મોકલ્યા.

પ્રભુ મહાવીર સ્વામીના ચાતુર્માસનીગણતરી : પ્રભુએ ગોશાલકને આપેલા પ્રત્યુત્તરના આધારે દરેક ભાવિકો ચાતુર્માસની ગણતરી કરવા લાગ્યાં. જોતજોતામાં હસ્તિપાલ રાજાની પૂણ્યશાળી પાવાપુરી નગરીમાં અંતિમ ચાતુર્માસ માટે મંગલ પદાર્પણ થયું.પરમાત્માનો અમૂલ્ય અને અપૂર્વ લાભ લેવા માનવ મહેરામણ પાવાપુરીમાં આવી રહ્યો હતો.અઢાર દેશના રાજાઓ પણ બે દિવસના ઉપવાસ કરી ચતુરંગી સેના સાથે પાવાપુરીમાં આવી પહોંચ્યા. પ્રભુના શ્રી મુખેથી સોળ પ્રહર સુધી અવિરતપણે અસ્ખલિત જિનવાણીનો ધોધ વહી રહ્યો હતો.પ્રભુએ સુખ વિપાક સૂત્રના પંચાવન અધ્યયન અને દુ:ખ વિપાક સૂત્રના પંચાવન અધ્યયન ફરમાવ્યા.પરીષદમાં ઉપસ્થિત સૌ પ્રભુને અનિમેષ દ્રષ્ટિએ નીરખી રહ્યાં હતાં. તહ..ચિત્ત,તહ મને પ્રભુની દેશના શ્રવણ કરી ધન્ય બની રહ્યાં હતાં. ચરમ અને પરમ તીથઁકર કરૂણાસાગર પરમાત્માએ શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રના છત્રીશ અધ્યયન ફરમાવી આસો વદ અમાસના દિપાવલીના શુભ દિવસે અનંતા સિદ્ધ ભગવંતોની સાથે જ્યોતમાં જ્યોત મીલાવી સિદ્ધ – બુધ્ધ અને મુક્ત થઈ નિર્વાણ પામ્યા. પ્રભુના પટ્ટધર શિષ્ય ગણધર ગૌતમ સ્વામી પણ પ્રભુ પ્રત્યેનો રાગ ભાવ દૂર થવાથી કેવળ જ્ઞાન – કેવળ દર્શનને પામ્યાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.