Abtak Media Google News

વન વિભાગ દ્વારા 37 ઉતાર-અન્નક્ષેત્ર માટે જગ્યા ફાળવાશે

ભજન, ભકિત અને ભોજનના ત્રિવેણી સંગમ સમા મેળામાં ભાવિકોની સગવડતા માટે તંત્રની પ્રતિબદ્ધતા

જૂનાગઢના ભવનાથમાં પર્વતાધિરાજ ગિરનારના સાંનિધ્યમાં દર વર્ષે યોજાતો ભક્તિમય મહાશિવરાત્રનો મેળો આ વર્ષે તા.15 ફેબ્રુઆરીથી તા.18 ફેબ્રુઆરી 2023 સુધી યોજાશે. મહાવદ નોમથી ભવનાથ મહાદેવના મંદિરે ધ્વજારોહણ સાથે મેળાનો પ્રારંભ થશે. મહાશિવરાત્રીની રાત્રીએ સાધુ-સંતોની રવેડી અને મૃગીકુંડમાં સ્નાન સાથે મેળો સંપન્ન થશે.મેળામાં ભાવિકોને કોઇ અવગડતા ન પડે તે માટે જિલ્લા વહિવટી તંત્ર, મહાનગરપાલિકા તંત્ર વિવિધ વ્યવસ્થા, સુવિધા, આયોજન અંગે તૈયારી કરી રહ્યું છે. વિવિધ વિભાગો દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. તો બીજી બાજુ ઉતારા મંડળ, સેવાકીય, સામજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટેની ઉતારા વ્યવસ્થા, અને અન્ન શેત્ર ઊભા કરવામાં આવી રહ્યા છે, જ્યા લાખો ભાવિકો પાંચ દિવસ પ્રસાદ ગ્રહણ કરશે, અને ઉતારા કરાશે.

જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો ભક્તિમય મેળો હોય, તમામ યાત્રિકોને સુવિધા મળે અને કોઈ મુશ્કેલી ન થાય તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યું છે. તો ડીઆઈજી તથા જિલ્લા પોલીસ વાળાના માર્ગદર્શન હેઠળ સઘન પોલીસે બંદોબસ્ત ગોઠવાયો છે અને મેળા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સીસીટીવી કેમેરા સહિતની યાત્રિક ઉપર બાજ નજર રાખવામાં આવશે.

શિવરાત્રના મેળામાં રાઉન્ડ ધી ક્લોક સફાઇની કામગીરી કરવામાં આવશે. આ માટે 225 સફાઇ કામદાર, 17 સુપરવાઈઝર, 2 જનરલ સુપરવાઈઝર અને 1 લાઈઝીનીંગ અધિકારીને ફરજ સોંપવામાં આવશે. ભવનાથમાં કુલ-9 સફાઇ રૂટ નિયત કરાયા છે. અન્નક્ષેત્રોમાંથી 6 ડોર ટૂ ડોર વાહન મારફત ત્રણ દિવસ કચરો એકત્રિત કરાશે. તેમ નાયબ મ્યુ. કમિશનર જયેશ વાજાએ જણાવ્યું હતું.

મહાશિવરાત્રીના મેળામાં ગંદકી ન થાય તે માટે તંત્ર દ્વારા લોક સહયોગ મેળવી ઝુંબેશ હાથ ધરાશે. જરૂરિયાત મુજબ પાંચ સ્થળે તા.12 ફેબ્રુઆરી સુધીમાં ભારતી આશ્રમ ગ્રાઉન્ડ, મંગલનાથબાપુની જગ્યા પાસે, જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ અને કચ્છી ભવન પાસે મોબાઈલ ટોઇલેટ મુકવામાં આવશે. આ ઉપરાંત સાત જાહેર શૌચાલય રહેશે. રખડતા પશુઓને પકડવાની કામગીરી માટે કર્મચારીઓની ટીમ બનાવવામાં આવશે.

રવેડી માટે 3580 મીટરની લોખંડની બેરીકેટ

ભવનાથના મેળામાં રવેડીનો ખૂબ મોટું મહત્વ છે અને મહાશિવરાત્રીની રાત્રે ભવનાથ ક્ષેત્રમાં વિવિધ અખાડા અને મહામંડલેશ્વર સહિતના સંતો મહંતો અને નાગા સાધુઓની રવેડી નીકળે છે, ત્યારે લાખોની સંખ્યામાં ભાવીકો આ રવેડીના દર્શન કરે છે ત્યારે રવેડી દરમિયાન અવ્યવસ્થા ન સર્જાય તે માટે  રવેડીના રૂટ પર શિવરાત્રીના દિવસે રોડ ઉપર 3580 મીટરની લોખંડની બેરીકેટ પણ કરવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા ધંધા-વ્યવસાય માટે  કુલ-82 પ્લોટ ફાળવવામાં આવશે. ઉતારા મંડળોને તા.10/02/2023થી વન વિભાગ દ્વારા વન વિસ્તારમાં કુલ-37 ઉતારા મંડળો -અન્નક્ષેત્રો માટે જગ્યા ફાળવાશે.

મેળામાં ચાર ફાયર ફાઈટર અને કડક સુરક્ષા વ્યવસ્થા

મેળા વિસ્તારમાં રીંગરોડ, જિલ્લા પંચયત ગેસ્ટ હાઉસ, ભવનાથ પોલીસ સ્ટેશન પાસે અને ભવનાથ ઝોનલ કચેરી પર ફાયર ફાઈટર રાઉન્ડ ધ ક્લોક કર્મચારીઓ સાથે રાખવામાં આવશે.

ભવનાથ ક્ષેત્રમાં મેળા દરમિયાન 5000 લીટરની ક્ષમતાવાળી કુલ 60 પીવાના પાણીની પી.વી.સી. ટાંકીઓ મુકવામાં આવશે. આ ઉપરાંત પાણી વિતરણ વ્યવસ્થા જળવાય રહે તે માટે સુપરવિઝન પણ કરાશે.

ભવનાથ મેળામાં લાખો ભાવિકો આવતા હોય કોમ્યુનિકેશન જળવાય રહે તેમજ યાત્રિકોને મોબાઈલ નેટવર્ક મળી રહે તે માટે મોબાઈલ કંપનીના પ્રતિનિધિઓ સાથે બેઠક થઈ છે. જેમાં મોબાઈલ કોલની ફ્રિકવન્સીમાં વધારો કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

મેળા દરમિયાન યાત્રિકોની સુરક્ષા, સલામતી તેમજ ઈમરજન્સીમાં મદદ મળી રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત તેમજ ટ્રાફિક વ્યવસ્થા વગેરે માટે પુરતો પોલીસ બંદોબસ્ત રહેશે. પોલીસ તંત્ર દ્વારા પોલીસ, હોમગાર્ડ, એસઆરપી તેમજ અન્ય સુરક્ષા કર્મચારીઓ સહિત 2 હજારથી વધુનો સ્ટાફ બંદોબસ્ત જાળવશે. આ માટે પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યાત્રિકોને ટ્રાફિક સહિતની સમસ્યા ન રહે તે માટે પોલીસની ટીમ આયોજન કરી રહી છે. પોલીસ વિભાગ દ્વારા પાસ માટેની કામગીરી ભવનાથ ખાતે કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.