Abtak Media Google News

તાવ, શરદી-ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના 355 કેસ નોંધાયા: મચ્છરોની ઉત્પતિ સબબ 738 આસામીઓને નોટિસ

શહેરમાં ઘણા દિવસથી કોરોનાનો કહેર સતત ઘટી રહ્યો છે. જો કે, સતત વરસાદી વાતાવરણના કારણે મેલેરિયા અને ડેન્ગ્યૂ સહિતના રોગોએ માથુ ઉંચક્યું છે. ગત સપ્તાહે શહેરમાં મેલેરિયાના ચાર અને ડેન્ગ્યૂના 60 કેસ નોંધાયા હતા. જ્યારે ચીકનગુનિયાના પણ એક કેસ નોંધાયો છે.

કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શરદી-ઉધરસના 224 કેસ, સામાન્ય તાવના 63 કેસ અને ઝાડા-ઉલ્ટીના 68 કેસ નોંધાયા હતા. મેલેરિયાના નવા ચાર અને ડેન્ગ્યૂના આઠ કેસ નોંધાયા છે. જ્યારે ચીકનગુનિયાનો એક કેસ મળી આવ્યો હતો. ચાલુ વર્ષે આજ સુધીમાં શહેરમાં મેલેરિયાના 22, ડેન્ગ્યૂના 60 અને ચીકનગુનિયાનો 14 કેસ નોંધાઇ ચુક્યા છે.

ગત સપ્તાહે ટાઇફોઇડ, કમળો કે મેલેરિયાના કેસ ન નોંધાતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો છે. રોગચાળાને નાથવા માટે કોર્પોરેશન દ્વારા 64,922 ઘરોમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી અને 1844 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. જે વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવનું વધુ હોય ત્યાં વ્હીકલ માઉન્ટેશન ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કરવામાં આવ્યું હતું. મચ્છરોની ઉત્પતિ અંગે બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારનો ડેલો, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ અને સરકારી કચેરીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન રહેણાંક વિસ્તારોમાં 738 સ્થળેથી મચ્છરોની ઉત્પતિ જણાતા નોટિસ ફટકારી રૂ.1.84 લાખ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.