Abtak Media Google News

સરકારી કર્મચારી જો કર્મના સિદ્ધાંતને અનુસરે તો નાના કર્મચારી હોય તો પણ મોટું કાર્ય સિદ્ધ થતું હોય છે. કોરોના કાળમાં રાજકોટના વર્ગ-4ના ચાર કર્મચારીઓએ વૃક્ષો દ્વારા અપાતા પ્રાણવાયુનું મહત્વ સમજી બે વિઘાની પડતર જમીનમાં 3500 દેશી વૃક્ષોને જીવની જેમ ઉછેરી જતન  કરતાં આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર પાસે આવેલી  પાણી પુરવઠા બોર્ડની જલભવનની કચેરી હરિયાળી થઈ ગઇ છે.

Jalbhavan 6

નાના કર્મચારીઓની મોટી સિદ્ધિની વાત કરતા રાજકોટ પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર  એચ.બી.જોધાણીએ કહયુ હતું કે ગયા વર્ષમાં કોરોના કાળના પ્રારંભે અમને વિચાર આવ્યો કે અમારી જલ ભવન હસ્તકની પડતર જમીનનો પર્યાવરણના ઉમદા હેતુ માટે ઉપયોગ કરીએ અને એમાં અમને સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ અને ફોરેસ્ટના નિવૃત્ત અધિકારી શ્રી વરસાણીભાઈનો સહયોગ મળ્યો. વૃક્ષોનું વાવેતર તો થઈ ગયું પરંતુ અમારી સામે તેના રોજના જતન- ઉછેરનો, પાણી પાવાનો, માલ ઢોરથી રક્ષણ આપવાનો અને ઝાડના મૂળ આસપાસમાંથી નીંદણ કાઢીને નિયમિત કામગીરી કરવાનો પડકાર આવ્યો. આ પડકાર અમારા ચોથા વર્ગના ત્રણ ચાર કર્મચારીઓએ ઝીલી લીધો અને ખંતથી કચેરીના કામકાજની સાથે સાથે વિશેષ સમય ફાળવીને આ તમામ ઝાડ ઉછેરવાનું બીડું ઝડપી લીધું.

વિશેષમાં કાર્યપાલક ઇજનેર કહે છે કે આજે અમને અમારા કર્મયોગીઓ પર ગર્વ છે કે એક વર્ષમાં આ તમામ ઝાડ 10થી 15 ફૂટના થઈ ગયા છે અને જલભવનની  પડતર જમીન હરિયાળી બની ગઈ છે.તા.5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે પાણી પુરવઠા બોર્ડના કર્મયોગીઓએ પર્યાવરણના જતન માટેનું સામાજીક ઉત્તરદાયિત્વ સાચા  અર્થમાં ચરિતાર્થ કર્યુ છે.

ઝાડનો ઉછેર કરતા કર્મચારીઓને  અધિકારીએ ઝાડની ઉછેરની બાબતમાં સામેથી કોઈ પણ કાર્ય કરવાનું કહેવું પડ્યું નથી. કર્મચારીઓને આ કામ કર્યાનો આનંદ છે ,ગૌરવ છે.

Jalbhavan 4

આ બાબતે પ્રતિભાવ પુછતા  કચેરીએ આવીને પહેલું કામ ઝાડ માટે પાણીની મોટર ચાલુ કરી ટપક સિંચાઈ પદ્ધતિથી ઝાડનો ઉછેર કરતા રમેશભાઈ ધરમશીભાઈ સનુરાએ કહ્યું કે આ ઝાડને ઉછેરવામાં મને અનેરો આનંદ મળે છે. પહેલા આ ઉજ્જડ જમીન હતી. આજે બધું લીલુંછમ જોવા મળે છે . મારા સાથી કર્મચારીઓ સાથે મળીને અમે ઝાડનો ઉછેર કરીએ છીએ.

બીજા એક કર્મયોગી અશોકભાઈ સાગઠીયા કહે છે કે આજે આપણને ઓક્સિજનની જરૂર છે. એ ઓક્સિજન ઝાડ આપે છે. અમારી પાસે પડતર જમીન હતી એમાં વૃક્ષોનું વાવેતર થતાં અમે આ ઝાડ ઉછેરનો સંકલ્પ લીધો હતો. વૃક્ષોને વાવી દીધા પછી ઉછેર કરવો મહત્વનો હોય છે અને એ કામ ન થાય તો પરિણામ મળે નહીં. રાજ્ય સરકાર પણ વૃક્ષોના વાવેતર ઉછેર અને જતન માટે ઝુંબેશ ચલાવે છે. આ કામને અમે એક સત્કર્મ તરીકે ગણીને કર્યું છે. આજે એક વર્ષ પછી ઝાડ 10થી 15 ફૂટના થઈ ગયા છે . પહેલા અહીં જોવા મળતા ન હતા તે પોપટ ,મોર ,ચકલી તેમજ કોયલ સહિતના પક્ષીઓ બપોર પછી જલ ભવનમાં ઝાડ પર આવતા થયા છે. લીલુછમ જલભવન અને પક્ષીઓના કલરવથી અમને કંઈક કર્યાનો આનંદ મળે છે.

અન્ય કર્મચારી નારણભાઈ અને રાજેશભાઈ એ જણાવ્યું કે અમે ઉમરો, જાંબુ, દાડમ અને લીમડો સહિતના દેશી વૃક્ષો વાવ્યા છે . ઉમરાના વૃક્ષમાં તો ટેટા પણ વધારે આવ્યા હોવાથી બપોર પછી પક્ષીઓ અહીં આશરો લેતા થયા છે.

પાણી પુરવઠા બોર્ડની કચેરી દ્વારા આ 3500 વૃક્ષોના જતન માટે અને તેમને નિયમિત પાણી મળે તેમજ પાણીની બચત થાય તેવા ઉમદા હેતુએ ડ્રીપ ઈરીગેશન અપનાવી છે.આમ રાજકોટના પાણી પુરવઠા બોર્ડની કચેરીના ચોથા વર્ગના કર્મચારીઓએ પર્યાવરણ સંરક્ષણનું ઉમદા કાર્ય કરીને રાજકોટની અન્ય સરકારી કચેરીઓના કર્મયોગીઓને પણ પ્રેરણા મળે તેવું મોટું કાર્ય કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.