Abtak Media Google News

ચૂંટણીમાં ભાજપનું મજબૂત સંગઠ્ઠન, નેટવર્ક અને આર્થિક સુગમતા મોહનભાઈ માટે ફાયદાકારક, જયારે કોંગ્રેસ પાસે ત્રણે પાસાનો અભાવ લલિતભાઈ માટે નુકશાનકારક, સાબિત થાય તેવી સંભાવનાઓ

સૌરાષ્ટ્રના પાટનગર સમાન ગણાતા રાજકોટની બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ મડાયો છે. ત્યારે આ બેઠકના પરિણામની અસર સૌરાષ્ટ્રભરનાં રાજકારણ પર પડતી હોય આ બેઠક જીતવા બંને રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાના પ્રશ્ર્ન સમાન સાબિત થાય છે. આ બેઠકનાં લેખા- જોખા જોઈએ તો સંગઠ્ઠન, નેટવર્કીંગ, મતદારોની ઉદાસીનતા અને નાણાનું પરિબળ તેના પરિણામ નકકી કરતા હોવાનું રાજકીય પંડીતોનું માનવું છે. આ બેઠક પર ભાજપ તરફથી વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારીયા ફરીથી પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. જયારે કોંગ્રેસ તરફથી ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરાને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે.

રાજકોટ લોકસભા બેઠક પર રાજકોટ શહેર ઉપરાંત વાંકાનેર, પડધરી, ટંકારા, લોધીકા, કોટડા સાંગાણી, જસદણ, વિંછીયા વગેરે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. આ બેઠક પર ૧૮.૮૩ લાખ મતદારોમાં ૬૦ ટકા જેટલા શહેરી જયારે ૪૦ ટકા જેટલા ગ્રામ્ય વિસ્તારોનાં મતદારો છે. આ ચૂંટણીમાં અસરકર્તા જે પ્રથમ મહત્વનું પરિબળ છે તે છે સંગઠ્ઠન ભાજપ પાસે વર્ષો જુનુ સુગઠ્ઠીત સંગઠ્ઠનનું માળખુ શહેરથી માંડીને ગ્રામ્ય કક્ષા સુધી છે. જેનો સીધો ફાયદો ઉમેદવાર પોતાના ચૂંટણી પ્રચાર અને કામગીરીમાં ઉઠાવી શકે છે. જયારે કોંગ્રેસ પાસે શહેરથી માંડીને ગ્રામ્ય કક્ષા સુધી સંગઠ્ઠન તો છે. પરંતુ આ સંગઠ્ઠન માત્ર કાગળ પર હોય છે. કોંગ્રેસના મોટાભાગના આગેવાનો, કાર્યકરો પોતાને યોગ્ય લાગે તો જ ચૂંટણી પ્રચારમાં સક્રિય કામગીરી કરે છે. જેથી ભાજપ સંગઠનના મુદે હંમેશા કોંગ્રેસ કરતા એક કદમ આગળ રહ્યું છે.

બીજો મહત્વનો મુદો નેટવર્કીંગનો છે. ભાજપ પાસે પાર્ટીના મુખ્ય સંગઠ્ઠનથી માંડીને વિવિધ સેલો, બુથ પ્રમુખો, પેજપ્રમુખો સુધીનું ચૂંટણી પ્રચાર માટેનું સબળ નેટવર્ક છે. ઉચ્ચ કક્ષાએથી પણ ભાજપના ઉમેદવારને નેટવર્ક દ્વારા સતત નવા વિચારો નવા ચૂંટણી મુદાઓ પ્રચાર સામગ્રીઓ સહિતની માર્ગદર્શન મળતુ રહે છે. જયારે કોંગ્રેસમાં નેટવર્કનો સંપૂર્ણ અભાવ છે. કોંગ્રેસમાં આગેવાનો, કાર્યકરો સંકલન વગર પોતાની રીતે આડેધડ પ્રચાર કરતા હોય છે. જેના કારણે પાર્ટીની વિચારધારા મુદાઓ જે મતદારો સુધી યોગ્ય રીતે પહોચવા જોઈએ તે પહોચતા નથી જેથી યોગ્ય માહિતીના અભાવે મતદારો કોંગ્રેસને મત આપવા ઈચ્છતા હોય તો પણ ભાજપના નેટવર્કના જાળમાં ફસાય ને પોતાની ઈચ્છાશકિતથી વિમૂખ થઈ જાય છે.

આ બેઠક પર ત્રીજુ મહત્વનું પરિબળ મતદારોની ઉદાસીનતાછે. મતદારો પાસે ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષો સિવાય ત્રીજો કોઈ સબળ વિકલ્પ ન હોય તેના વિવિધ નીતિઓ, નિર્ણયોથી હેરાન થયેલા મતદારોને ઈચ્છા હોવા છતાં બંને ઉમેદવારો યોગ્ય ન હોવાનું માનીને મતદાન કરવા જતા નતી જેથી મતદાનની ટકાવારી પ્રમાણમાં ઘટે છે. મતદારોની ઉદાસીનતા બંને પક્ષો માટે ખૂબજ નિર્ણાયક માનવામાં આવે છે. ભાજપ પાસે ઉદાસીન મતદારોને સમજાવીને મતદાન મથક ખેંચી લાવે તેવી આખી આગેવાનો કાર્યકરોની ટીમ છે. જયારે કોંગ્રેસ પાસે આવી ટીમનો અભાવ હોય આ મુદે પણ ભાજપ-કોંગ્રેસને મહાત આપે તેવી સંભાવના છે.

ચોથો અને અતિ અસરકારક મુદો છે. નાણાનું પરિબળ ભાજપના ઉમેદવારોને પાર્ટી તરફથી ચૂંટણી લડવા બે થી અઢી કરોડ જેવું ચૂંટણી ફંડ આપવામા આવનાર છે. જયારે કોંગ્રેસના ઉમેદવારને પાર્ટીમાંથી આવા ચૂંટણી ફંડ આપવાની આશા બહુ ઓછી છે. જો આવું ફંડ આવે તો તે પણ મામુલી રકમમાં આવે તેવી સંભાવના છે. જેથી કોંગ્રેસના ઉમેદવારે પોતાની આર્થિક તાકાતના જોરે ચૂંટણી લડવાની હોય છે. ભાજપ રાજય અને કેન્દ્રમાં શાસનમાં હોય ઉમેદવાર માટે જ‚ર પડયે વધારે ચૂંટણી ભંડોળ મોકલી શકે છે. જયારે કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર માંગ કરે તો પણ આર્થિક મદદ કરી શકે તેવી સ્થિતિમાં નથી. ચૂંટણીમાં માહોલ નાણાંના જોરે બનતો હોય છે. જેથી, કોંગ્રેસના ઉમેદવાર આર્થિક સંકડામણ અનુભવતા હોય તેમના માટે યોગ્ય માહોલ ઉભો થઈ શકતો નથી.

ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાની મદદમાં ભાજપનું શહેર, તાલુકા અને ગ્રામ્ય કક્ષાનુંમજબૂત સંગઠ્ઠનના નેટવર્કી અને નાણાંની સુગમતા જોવા મળી રહી છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ કગથરા આ તમામ મુદે નિર્બળ પૂરવાર થઈ રહ્યા છે. તાજેતરમાં કોંગ્રેસમાં ભળેલા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ મેયર અશોકભાઈ ડાંગર લલિતભાઈ માટે શહેરમાં સા‚ વાતાવરણ સર્જવા દિવસ રાત મહેનત કરી રહ્યા છે. પરંતુ હજૂ કોંગ્રેસના મોટાભાગના કોર્પોરેટરો પોતાના વોર્ડમાં પણ પ્રચારમા દેખાતા નથી. કગથરાનું પોતાનું રાજકીય વર્ચસ્વ પડધરી, ટંકારા તાલુકાવિસ્તાર સુધી મર્યાદીત હોય તેમને અન્ય વિસ્તારોનાં કોંગ્રેસી આગેવાનો, કાર્યકરો હજુ ઉમેદવાર તરીકે સ્વીકારવામાં પણ તૈયાર નથી જે કગથરા માટે નબળા પાસા સમાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.